નવા શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ ધો.11ના 4,494 વર્ગખંડોની ઘટ ઊભી થશે, એક વર્ગ ખંડમાં 30ની સંખ્યા પણ ગણીએ તો, 1.34 લાખ વિદ્યાર્થીઓને મુશ્કેલી ઊભી થશે
ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન
આ વર્ષે 8.57 લાખ વિદ્યાર્થી થયા પાસ
ધો.11માં પ્રવેશ માટે વધી શકે છે મુશ્કેલી
ધોરણ 10મા માસ પ્રમોશનને કારણે 8.57 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થવાના કારણે વિદ્યાર્થીઓને ધોરણ 11મા પ્રવેશ માટે મુશ્કેલીઓ વધી શકે છે. શિક્ષણ વિભાગે રાજ્યની દરેક સ્કૂલ પાસેથી ધો.9થી 12ના વર્ગખંડોની સંખ્યાની માહિતી મગાવી હતી. જેમાં જાણવા મળ્યું કે, માત્ર સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં ધો.10ના 9,635 વર્ગ ખંડો સામે ધો.11મા 5,141 વર્ગખંડો છે. આથી નવા શૈક્ષણિક વર્ષમાં સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં જ ધો.11ના 4,494 વર્ગખંડોની ઘટ ઊભી થશે. એક વર્ગ ખંડમાં 30ની સંખ્યા પણ ગણીએ તો, 1.34 લાખ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે મુશ્કેલી ઊભી થશે. તજજ્ઞોના મતે ગ્રાન્ટેડ સ્કૂલો સૌથી વધુ શહેરી વિસ્તારમાં હોવાથી પ્રવેશની મુશ્કેલી શહેરી વિસ્તારમાં જ ઊભી થઈ શકે છે.
ધો.10ના માસ પ્રમોશન બાદ સૌથી મોટી સમસ્યા વિદ્યાર્થીઓને ધો.11માં સમાવવાની છે. ખાનગી સ્કૂલો પાસે યોગ્ય સંખ્યામાં ક્લાસરૂમ હોવાનો દાવો બોર્ડના અધિકારીઓ કરે છે. પરંતુ સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં મોટી સંખ્યામાં વર્ગખંડોની જરૂરિયાત ઊભી થશે. આ માટે શિક્ષણ વિભાગ એક્શન પ્લાન તૈયાર કરી રહ્યો છે. પરંતુ વિદ્યાર્થીઓની સંખ્યા મોટા પ્રમાણમાં હોવાથી ઇન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં વધુ સમય લાગી શકે છે. નવા વર્ગોની મંજૂરી માટે બોર્ડે જુલાઈ સુધીનો સમય આપ્યો છે. એવું બની શકે છે કે, નવા વર્ગોની મંજૂરી માટેના નિયમોમાં ફેરફાર કરાય. ગ્રાન્ટેડ સ્કૂલો સૌથી વધુ શહેરી વિસ્તારોમાં હોવાથી મુશ્કેલી શહેરી વિસ્તારમાં થશે.
ખાનગીમાં ધો.10ના 6,500 સામે ધો.11મા 6,300 વર્ગ હોનાની ગુજરાત બોર્ડ પાસેથી મળતી માહિતી મળી છે. આ માહિતી પ્રમાણે, ખાનગી સ્કૂલોમાં ધોરણ 10ના 6500 વર્ગો સામે ધોરણ 11ના 6300 વર્ગો છે. આથી ખાનગી સ્કૂલોમાં વિદ્યાર્થીઓને સમાવેશ કરવામાં મુશ્કેલી થશે નહીં. પરંતુ જે વિદ્યાર્થીઓ વધુ ફી ભરી પ્રાઈવેટમાં અભ્યાસ કરવા નથી માંગતા તેમના માટે ગ્રાન્ટેડ સ્કૂલ જ ઓપ્શન છે અને ગ્રાન્ટેડ સ્કૂલમાં વર્ગો વધારવાનો વારો આવશે.
આ વર્ષે માસ પ્રમોશન આપવાથી મોટાભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11મા પ્રવેશ લેશે અને કેટલાક વિદ્યાર્થીઓ ડિપ્લોમામાં જશે પરંતુ મોટા ભાગના વિદ્યાર્થીઓ ધોરણ 11માં પ્રવેશ લેવાના હોવાથી દરેક સ્કૂલના ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં શિક્ષકોની ભરતી કરવી પડશે. સ્કૂલોમાં મોટી સંખ્યામાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે. પ્રવાસી શિક્ષકને ક્લાસ દીઠ રૂ.90 ચૂકવાય છે, જે 13,500ની મર્યાદામાં હોય છે. માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો પ્રવાસી શિક્ષક તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. અને નવા શિક્ષકોને તક મળશે.