આપણે સવા કરોડ છીએ, જરૂર પડે તો ભેગા થઈ જવું: નરેશ પટેલ
લેઉવા પટેલ સમાજના આસ્થાના પ્રતિક સમાન ખોડલધામ મંદિર ખાતે શ્રી ખોડલધામ ટ્રસ્ટ- કાગવડની યુવા પાંખ ખોડલધામ વિદ્યાર્થી સમિતિ-KDVS 2023ની મીટ યોજાઈ હતી. નરેશભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને ખોડલધામ વિદ્યાર્થી સમિતિ કન્વીનર મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં KDVS દ્વારા એક એડવાન્સ લેવલ એપ્લીકેશન લોન્ચ કરવામાં આવી હતી. જેમાં ગુજરાતનાં કોઈપણ ખૂણેથી KDVS સાથે જોડાયેલ દરેક સભ્યો એપ્લીકેશન મારફતે ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ વિશેની સંપૂર્ણ જાણકારી મેળવી શકશે તેમજ મહત્વના સંપર્ક સાધી શકશે.
3P થીયરી
ખોડલધામ વિદ્યાર્થી સમિતિ દ્વારા અગત્યનું પાસું એવા શિક્ષણને પ્રધ્યાન્ય આપવામાં આવે છે. સમાજના વિદ્યાર્થીઓને 3P થીયરી અંતર્ગત પોલીસ અને સરકારી નોકરી તથા પ્રેસ અને પોલિટિક્સ અને સામાજિક લીડરશીપ અંગે વિકસિત થવા માટે માર્ગદર્શન અને સહકાર આપવામાં આવી રહ્યું છે. જેના થકી આજદિન સુધી 475થી વધારે ઉમેદવારો સરકારી નોકરી અંતર્ગતની વિવિધ પરીક્ષાઓ ઉર્તીણ કરીને વર્તમાનમાં સરકારી નોકરી કરી રહ્યાં છે.
1200 જેટલા યુવાનોની ટીમે હાજરી
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડનાં નેજા હેઠળ તેમજ કોર કમિટી દ્વારા સીધા માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી ખોડલધામ વિદ્યાર્થી સમિતિ(KDVS) પોતાનું કાર્યક્ષેત્ર વિકસિત કરીને હાલ સમગ્ર ગુજરાતમાં કાર્યરત થઈને વિવિધ સેવાકાર્ય કરે છે. ત્યારે KDVS કન્વીનર મીટ-2023નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના દરેક જિલ્લા,તાલુકા અને ગામે-ગામથી KDVSનાં કન્વીનરો, સહકન્વીનરો તથા સોશિયલ મીડિયા સહિતનાં 1200 જેટલા યુવાનોની ટીમે હાજરી આપી હતી.
નરેશ પટેલનું નિવેદન
આ પ્રસંગે નરેશ પટેલે ગર્ભીત ઈશારો કરતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. ઉપરાંત પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડાનો ઉપયોગ રાખતા થયા છે. મૂછોના આકડા રાખવા પણ ઉપયોગ કરવા જેવો લાગે ત્યારે કરી લેવો જોઈએ. પટેલ સમાજ ભોળો છે. જે ભોળપણનો ફાયદો ઉઠાવવામાં આવી રહ્યો હતો. યુવાનો હવે બહાર આવી રહ્યા છે. ખોડલધામ ખાતે દરરોજના 20 હજાર જેટલા દર્શનાર્થીઓ દર્શન કરવા માટે આવે છે.