પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના શાહી લગ્નમાં હાજરી આપવા માટે મહેમાનો ઉદયપુર 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. અભિનેત્રી ભાગ્યશ્રીએ વેડિંગ વેન્યુનો અંડરનો વિડીયો શેર કર્યો છે.
રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરા આજે લગ્નના બંધનમાં બંધાશે
આમ આદમી પાર્ટીના સાંસદ રાઘવ ચઢ્ઢા અને બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા આજે લગ્નના બંધનમાં બંધાશે. આ શાહી લગ્નમાં હાજરી આપવા માટે તમામ મહેમાનો રાજસ્થાનના ઉદયપુર સ્થિત 'ધ લીલા પેલેસ' પહોંચી ગયા છે. આજે બપોરે 1 વાગ્યે રાઘવ ચઢ્ઢાની સહેરા સેરેમની થશે અને તેઓ 'લેક પેલેસ'થી બારાત સાથે બપોરે 2 વાગે લીલા પેલેસ પહોંચશે. અહીં યોજાનારા લગ્ન માટે ઓલ્ વ્હાઇટ લગ્નની થીમ રાખવામાં આવી છે. આ માટે હોટેલ લીલા અને લેકપેલેસને સફેદ ફૂલોથી સજાવવામાં આવ્યા છે.
4 વાગ્યે લગ્ન સમારોહ યોજાશે
શાહી લગ્નમાં પરિણીતી ચોપરા પેસ્ટલ રંગના લહેંગામાં જોવા મળશે જે ડિઝાઇનર મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. રાઘવ ચઢ્ઢા તેમના ડિઝાઈનર પવન સચદેવા દ્વારા ડિઝાઈન કરેલા વેડિંગ આઉટફિટમાં જોવા મળશે. બપોરે 3:30 વાગ્યે રાઘવ-પરિણીતીની જયમાળા સમારંભ થશે અને પછી સાંજે 4 વાગ્યે લગ્નની વિધિ થશે. આ પછી સાંજે 6.30 કલાકે વિદાય થશે. આજે રાત્રે 8:30 વાગ્યે એક રિસેપ્શનનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ઘણી મોટી હસ્તીઓ હાજરી આપે તેવી શક્યતા છે.
લગ્નમાં 3 રાજ્યોના સીએમ આવશે
એક દિવસ પહેલા બે રાજ્યોના સીએમ (અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન) રાઘવ-પરિણિતીના લગ્નમાં હાજરી આપવા માટે ચાર્ટર્ડ પ્લેન દ્વારા ઉદયપુર પહોંચ્યા હતા. આ સિવાય છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલ પણ આજે ઉદયપુર આવવાના છે. AAP સાંસદ સંજય સિંહ અને TMC સાંસદ ડેરેક ઓ બ્રાયન પણ ઉદયપુર પહોંચી ગયા છે. બોલિવૂડ જગતની ઘણી મોટી હસ્તીઓ પણ આ શાહી લગ્નમાં હાજરી આપશે તેવી ચર્ચા છે. તેમાંથી આજે પ્રખ્યાત દિગ્દર્શક અને હોસ્ટ કરણ જોહરનું આગમન નિશ્ચિત માનવામાં આવે છે.
90ના દાયકાના ગીતોના ટ્વિસ્ટ સાથે મ્યુઝિક નાઇટ
લગ્નની આગલી રાત્રે લીલા પેલેસમાં એક મ્યુઝિક નાઈટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની થીમ 90ના દાયકાના ગીતો હતી. આ માટે ડીજે સુમિત સેઠીને ખાસ ઉદયપુર બોલાવવામાં આવ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ અનુસાર લોકપ્રિય પંજાબી સિંગર નવરાજ હંસે પરિણીતી અને રાઘવની સંગીત નાઇટમાં પરફોર્મ કર્યું હતું.
ભાગ્યશ્રીએ લગ્ન સ્થળની અંદરની ઝલક બતાવી
પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્ન સ્થળની અંદરનો વીડિયો સામે આવ્યો છે, જેને અભિનેત્રી ભાગ્યશ્રીએ શેર કર્યો છે. તે જોઈ શકાય છે કે સમગ્ર મહેલને રાજસ્થાની અને શાહી શૈલીમાં શણગારવામાં આવ્યો છે. આમાં મારવાડી થીમ જોવા મળે છે. નૃત્ય અને સંગીતના સૂર પણ મારવાડી છે.