રાજ્યમાં કોરોના વાયરસ આફતની જેમ વરસી રહ્યો છે, રાજ્ય સરકાર દ્વારા દરરોજ 50 હજારથી વધુ કોરોનાના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે રાજ્યમાં કોરોનાના ટેસ્ટ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સામે આવ્યો છે.
રાજ્યમાં કોરોના ટેસ્ટ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ
રાજ્ય સરકાર ICMRથી પણ છુપાવી રહી છે આંકડા
2.10 લાખ ટેસ્ટનો રિપોર્ટ ICMRમાં મોકલાયો જ નથી
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, ગુજરાત સરકાર ICMRથી પણ આંકડા છુપાવી રહી હોવાનું સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. નોંધનીય છે કે, 2.10 લાખ ટેસ્ટનો રિપોર્ટ રાજ્ય સરકાર દ્વારા ICMRમાં મોકલાયો જ નથી.
ICMRથી સરકારે છૂપાવ્યા આંકડા
તો એવી પણ જાણકારી પ્રાપ્ત થઇ છે કે, રાજ્યમાં એન્ટીજેન ટેસ્ટ કરી કોરોનાના સાચા કેસ છુપાવાયા છે અને લક્ષણો વિનાના દર્દીઓનો RT-PCR ટેસ્ટ જ નથી કરતો. ઉલ્લેખનીય છે કે,રાજ્યમાં માત્ર 22 ટકા જ RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે. જો કે, આજે જ ICMRએ જણાવ્યું હતું કે, દેશમાં 34 લાખ જેટલા કોરોનાના દર્દીઓની નોંધ જ થયેલી નથી.
દિવાળી બાદ ગુજરાતમાં કોરોનાને લઇને સ્થિતિ બગડી
દિવાળીના તહેવારો બાદ ગુજરાતમાં કોરોના ગાંડા થયેલા આખલાની જેમ તોફાને ચડ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી ચિંતાજનક કેસ નોંધાઇ રહ્યા છે તો ખાસ કરીને અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસી છે. ત્યારે આજરોજ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલ કોરોનાના આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 1607 કેસ નોંધાયા છે.
છેલ્લા 24 કલાક દરમિયાન 16 દર્દીઓના થયાં મોત
નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા કેસની સામે આજે 1388 દર્દીઓ સાજા થતા કુલ સાજા થયેલા દર્દીઓનો આંકડો 1,86,446 પર પહોંચ્યો છે. આજે 16 દર્દીઓના કોરોનાને કારણે મોત થતાં કુલ મૃત્યુઆંક 3922 પર પહોંચ્યો છે.
અમદાવાદ જિલ્લામાં 353 કેસ આવતા ચિંતા વધી
આજે અમદાવાદ શહેરમાં 325, અમદાવાદ જિલ્લામાં 28, સુરત શહેરમાં 238, સુરત જિલ્લામાં 61, વડોદરા શહેરમાં 127, વડોદરા જિલ્લામાં 40 , રાજકોટ શહેરમાં 95, રાજકોટ જિલ્લામાં 44,ગાંધીનગર શહેરમાં 35, ગાંધીનગર જિલ્લામાં 31 તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં નવા 51 કોરોનાના કેસ નોંધાયા છે. નોંધનીય છે કે, અમદાવાદ બાદ સુરતમાં કોરોનાને લઇને સ્થિતિ વધુ વણસેલી છે. છેલ્લા 5 દિવસ દરમિયાન આ બંન્ને શહેરોમાં 1700થી વધુ કેસ નોંધાતા સ્થાનિક તંત્ર વધુ એલર્ટ થયું છે.
ગાંધીનગરની ઍમ્બ્યુલન્સમાં એકસાથે 4 ડેડબોડી જોવા મળી
ગાંધીનગર સેકટર-30ના સ્મશાનમાં એક એમ્બ્યુલન્સમાં ચાર બોડી લવવામાં આવી છે. જેથી ગુજરાતમાં કોરોના મૃત્યુદર વધારે હોવાની સ્થિતિ સામે આવી છે. એમ્બ્યુલન્સની અછતને કારણે એક ગાડીમાં વધારે મૃતદેહ લાવવામાં આવ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી ગાંધીનગરમાં સરકારી ચોપડે એક પણ મૃત્ય નોંધાયા નથી. જો 3 દિવસમાં સરકારી ચોપડે મોત નથી નોંધાયા તો ડેડ બોડી ક્યાંથી આવી?
મોતના આંકડામાં વિસંગતતા
ગાંધીનગરમાં કોરોનાથી મૃત્યુના આંકડા છુપાવાતા હોવાનો ખુલાસો થયો છે જેમાં છેલ્લા 10 દિવસમાં 118 લોકોના કોરોનાથી મોત થયા હોવાનું માલૂમ પડ્યું છે. જ્યારે સરકારી ચોપડે 16 નવેમ્બરથી 25 નવેમ્બર સુધીમાં સરકારી ચોપડે માત્ર 2 જ મોત નોંધાયા છે. આમ જોઈએ 116 જેટલો મોટો તફાવત સામે આવતા ખળભળાટ મચી ગયો છે.