રાજ્યમાં આવે વરસાદનું જોર ઘટતા વહીવટી તંત્ર દ્વારા રાહત-બચાવ કામગીરી યુદ્ધનાં ધોરણે શરૂ કરી છે. ત્યારે રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ 100 ટકાને પાર નોંધાયો છે. મુખ્યમંત્રીનાં માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર રાહત-બચાવ કામગીરી માટે ખડેપગે છે.
આજે કચ્છના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ વરસાદ નોંધાયો
રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકાને પાર
વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું
રાજ્યભરમાં ભારે વરસાદને પરિણામે સર્જાયેલી સ્થિતિને પૂર્વવત કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને આપદા પ્રબંધન માટે સુસજ્જતા સાથે કામ કરી રહ્યું છે. રાજ્યમાં ગત ૩-૪ દિવસોના પ્રમાણમાં આજે વરસાદનું જોર ઘટ્યું છે. આજે સવારના ૬.૦૦ થી સાંજના ૬.૦૦ કલાક દરમિયાન કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં જ ૪ ઇંચથી વધુ, જ્યારે માત્ર ૩ જ તાલુકામાં ૩ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યમાં સીઝનનો કુલ સરેરાશ વરસાદ ૧૦૦ ટકા પૂર્ણ થયો છે, તેમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલમાં જણાવાયું છે.
વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૦ અને SDRFની ૧૦ ટીમ ખડેપગે
અહેવાલમાં વધુમાં જણાવાયું છે કે, વરસાદ પ્રભાવિત ૯ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ ૧૬,૩૬૦થી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ૮ જિલ્લાના ૧૦૭૯ લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે. રેસ્કયું કામગીરી માટે વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં NDRFની ૧૦ અને SDRFની ૧૦ ટીમ ખડેપગે તહેનાત કરાઈ છે. જરૂર પડ્યે વધુ ૫ ટીમ NDRFની અને SDRFની ૧૩ ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.
વીજ તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો
તંત્ર દ્વારા ત્વરાએ ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો
ભારે વરસાદને કારણે રાજ્યમાં હાઇવે તથા પંચાયત માર્ગોને જે અસર પડી છે તેને પણ ઝડપભેર મરામત કરી ફરી શરૂ કરવા તંત્ર દ્વારા ખડેપગે રહી કામગીરી કરવામાં આવી રહી છે. ભારે વરસાદને પગલે અસરગ્રસ્ત વિસ્તારોના ૧૭,૨૪૨ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. તંત્ર દ્વારા ત્વરાએ ૧૭,૧૪૯ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરાયો છે, જ્યારે બાકીના ૯૩ ગામમાં વીજ પુરવઠો પૂર્વવત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે, તેમ વધુમાં જણાવાયું છે.