બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / Bilnath Mahadev temple is situated in Bileswar village of Porbandar
Last Updated: 07:22 AM, 22 April 2024
ભારત દેશમાં ભગવાન શિવના અનેક શિવાલયો આવેલા છે, પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે બિલ્વગંગા નદીના તટ પર બિરાજતા સ્વયંભુ બીલનાથ મહાદેવ વિશેષ સ્થાન ધરાવે છે. મહાદેવજી મંદિરના પ્રાંગણમાં બિરાજતા વિશાળકાય નંદીના દર્શન કરવા માત્રથી અનેક મનોકામનાઓ પૂર્ણ થાય છે .
ADVERTISEMENT
બિલ્વગંગા નદી તટે બિરાજમાન સ્વયંભુ બીલનાથ મહાદેવ
હરિયાળા પહાડો, લીલાછમ ખેતરો અને બિલ્વગંગા નદીનો કિનારે, પોરબંદર જીલ્લાના રાણાવાવ તાલુકાનુ બિલેશ્ર્વર ગામમાં સ્વયંભુ બિલનાથ મહાદેવ બિરાજે છે. આશરે 1300 વર્ષથી પણ વધુ પૌરાણિક છે. બિલનાથ મહાદેવનું મંદિર રાજસ્થાનના બુન્દાકોટી શહેરના રાજા સુરજમલ હાડા નામના રાજવીએ બિલનાથમહાદેવ મંદિરનુ નિર્માણ કરાવ્યુ હતુ. પૌરાણિક કથા અનુસાર મંદિરની પ્રથમ પૂજા ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના ઘરે પુત્ર પ્રાપ્તિના હેતુસર કરી હતી, પુત્ર પ્રાપ્તિ માટે ભગવાન શ્રીકૃષ્ણએ શિવલિંગ પર સવા લાખ કમળ ચડાવી પૂજા કરી હતી. પુજામાં શુદ્ધ જળ ચડાવવા માટે સ્વયં માતા ગંગાને આહવાન કરી પ્રગટ કર્યા હતા એટલે જ બિલનાથ મહાદેવના શિવલિંગ પાછળ માતા ગંગા અને પાર્વતી પણ બિરાજમાન છે.
ADVERTISEMENT
અનેક મનોકામનાઓ તથા ઈચ્છોઓ પૂર્ણ થાય છે
પૂજન વિધિમાં સવા લાખ કમળ ચડાવતા સમયે એક કમળ ઓછું પડતા ભગવાન શ્રીકૃષ્ણ પોતાની નેત્ર કટાર વડે કાઢવા જતા, ભગવાન શિવ પ્રસન્ન થયા અને શ્રીકૃષ્ણને પુત્ર પ્રાપ્તિ સાથે અનેક વરદાનો આપ્યા હતા અને મહાદેવના વરદાનથી ભગવાન શ્રીકૃષ્ણના ઘરે પુત્રની પ્રાપ્તિ થઇ હતી. બિલેશ્વર ગામમાં જ બિલનાથ મહાદેવ નજીક બિલ્વગંગા નદી આવેલી છે ત્યાં અસંખ્ય બીલીપત્રના વૃક્ષો છે ભક્તો ત્યાં જળ અર્પણ કરી ધન્યતા અનુભવે છે. દરેક શિવ મંદિરમાં શિવની સમીપમાં જ નંદી મહારાજ બિરાજમાન હોય છે જ્યારે બિલનાથ મહાદેવ મંદિરમાં નંદી શિવના શિવાલયની બહાર મંદિરના પ્રાંગણમાં ઊંચા ઓટલા પર બિરાજમાન છે. નંદી મહારાજની કથા અલગ અને અનોખી છે, મહમદ ગઝની પોતાના લશ્કર સાથે સોમનાથ સહીતના શિવાલયો તોડવા નીકળ્યો અને શિવ મંદિરો તોડતા તોડતા બિલેશ્વર ગામમાં બિલનાથ મહાદેવના શિવાલય સુધી લશ્કર સાથે પહોચ્યો, ત્યારે નંદીએ બિલનાથ મહાદેવ પાસે મંદિરની બહાર ઊંચા ઓટલા પર જઈ મોઢામાંથી હજારોની સંખ્યામાં ભમરાઓ કાઢી મહમદ ગઝની અને તેના લશ્કર ભગાડ્યુ હતુ. વિશાળકાય નંદી મહારાજ સ્વયં ભગવાન બિલનાથ મહાદેવના આદેશથી મંદિરની બહાર પ્રાંગણમાં બિરાજ્યા છે, માન્યતા અનુસાર કોઈપણ ભક્તો નંદી મહારાજની ચાર પ્રદક્ષિણા કરી તેમના કાનમાં પ્રાર્થના કરવાથી નિર્ધારિત કરેલી અનેક મનોકામનાઓ તથા ઈચ્છોઓ પૂર્ણ થાય છે.
ઈતિહાસ રસપ્રદ
બિલનાથ મહાદેવ મંદિરના ગર્ભગુહમાં શિવલિંગની પાછળના ભાગે બે અખંડ જ્યોત મુકવામાં આવી છે, અખંડ જ્યોત પોરબંદર અને જામનગરના મહારાજા દ્વારા 1865ની સાલમાં વિશ્વ શાંતિ માટે મુકવામાં આવી હતી. બિલેશ્વર મહાદેવ મંદિરના પટાંગણમાં ધનકેશ્ર્વર મહાદેવનું મંદિર આવેલુ છે. ધનકેશ્ર્વર મહાદેવના મદિર સાથે પણ એક કથા જોડાયેલ છે. આશરે 1300 વર્ષ પૂર્વે રાજેસ્થાનના બુન્દાકોટી શહેરના રાજા સુરજમલ હાડાએ બિલેશ્વર મંદિરનુ નિર્માણ કર્યુ હતુ બિલેશ્વર મંદિરના નિર્માણ કાર્ય માટે રાજકોષમાંથી રૂપિયા,સોના.ચાંદીના આભૂષણો આપવામાં આવ્યા હતા. બિલેશ્વર મંદિરનું નિર્માણ કાર્ય પુર્ણ થયા બાદ રાજા દ્વારા આપેલા રૂપિયા,સોના.ચાંદીના આભૂષણો વધ્યા હતા.ત્યારે આ વધેલ રૂપિયા,સોના.ચાંદીના આભૂષણો રાજકોષમાં પરત લઇ જવાની મનાઈ હોવાથી વધેલા રૂપિયા, સોના, ચાંદીના આભૂષણોનો ઉપયોગ કરવા માટે બિલેશ્વર મહાદેવના મંદિરના પટાંગણ માંજ મહાદેવનું મંદિર બનવામાં આવ્યું હતું અને વધેલા રૂપિયા,સોના, ચાંદીના આભૂષણોથી મંદિર બનાવ્યુ એટલે મંદિરનું નામ ધનકેશ્ર્વર મહાદેવ રાખવામાં આવ્યું.
ADVERTISEMENT
મહાદેવના મંદિરે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે
સામાન્ય રીતે મહાદેવના મંદિરે કૃષ્ણ જન્મોત્સવ ઉજવાતો નથી પરંતુ બિલેશ્વર મહાદેવની પ્રથમ પૂજા ભગવાન શ્રીકૃષ્ણએ કરી હોવથી બિલેશ્વર મહાદેવના મંદિરે દર શ્રાવણ વદ આઠમે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવે છે.અને રાત્રિ ના બાર વાગે કૃષ્ણ જન્મોત્સવ બાદ ભગવાન બિલેશ્વરની આરતી કરવામાં આવે છે. બિલ્વગંગા નદીના તટ પર બિરાજતા બિલનાથ મહાદેવના મંદિરમાં દરરોજ સવાર સાંજ મંત્રોચ્ચાર સાથે ભગવાન શ્રી બિલનાથ મહાદેવ, ગંગામાતા અને પાર્વતીમાતાની મહિમા પૂજા થાય છે, દીવાની ઝળહળતી જ્યોત, ગુગળના ધૂપ અને ઢોલ, નગારા,શંખનાદ સાથે ભક્તિમય માહોલમાં દાદાની આરતી થાય છે. આરતી સમયે ભક્તોમાં અનેરો ઉત્સાહ અને આનંદ જોવા મળે છે, આરતી બાદ હર હર મહાદેવના નાદ સાથે જય ઘોષ બોલાવવામાં આવે છે. એક સમયે બિલીપત્રના વૃક્ષોનુ વન હતુ તે આજે બિલેશ્ર્વરગામ છે અને બીલનાથ મહાદેવનુ મંદિર પોરબંદર જિલ્લાના બીજા મંદિરોથી અલગ વિશેષતા ધરાવે છે.
વાંચવા જેવું: જય બજરંગબલી! આ ભૂલ કરી તો દાદા આપશે દંડ, મીઠું ખાધું મુશ્કેલીમાં પડશો
ADVERTISEMENT
શ્રાવણ માસની અમાસે મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે
પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો શ્રી બિલનાથ દાદાના શિવલિંગ પર ગંગાજળ અને દૂધ ચડાવી બીલીપત્ર અર્પણ કરી દાદાના આશીર્વાદ મેળવે છે શ્રાવણમાં દાદાને અવનવા શણગારો કરી ભસ્મ અને ચંદનના તિલક કરવામાં આવે છે. ભક્તો શ્રી બિલનાથ મહાદેવને પ્રસાદનો થાળ ધરાવી પરિવારજનો સાથે મહાપ્રસાદનો લાભ લઈ મહાદેવને શીશ નમાવી સુખ અને શાંતિ પ્રાપ્ત કરી ભક્તિભાવ સાથે ચિંતામુક્ત બને છે. શ્રાવણ માસની અમાસના દિવસે મહાદેવના મંદિરે ભવ્ય મેળો ભરાય છે મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો પોતાના પરિવારજનો સાથે દાદાના દર્શન કરવા ઊમટી પડે છે બિલનાથ મહાદેવના ધામમાં પહોંચતા જ અદભુત તેમજ અવિસ્મરણીય શાંતિનો અનેરો આનંદ પ્રાપ્ત થાય છે. પોરબંદર જિલ્લાથી ત્રીસ કીલોમિટરના અંતરે રાણાવાવ તાલુકાના બિલેશ્વર ગામે બિલ્વગંગા નદીના તટ પર મનોરમ્ય ભગવાન બીલનાથ મહાદેવનું શિવધામ પ્રસિધ્ધ કીર્તિમાન સ્થળ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.