બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / Big news regarding Rahul Gandhi's punishment in defamation case

BIG BREAKING / રાહુલ ગાંધી કેસ: માનહાનિ કેસમાં સજા સામે અપીલ પર વધુ સુનાવણી 3 મેના રોજ, સેશન્સ કોર્ટે કર્યા જામીન મંજૂર

Malay

Last Updated: 03:31 PM, 3 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં સજા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના મોટા નેતાઓની હાજરીમાં માનહાનિ કેસમાં અપીલ દાખલ કરાઈ છે.

  • રાહુલ ગાંધી સાથે જોડાયેલી સૌથી મોટી અપડેટ 
  • માનહાનિ કેસમાં સજા સામે અપીલ
  • સુરતની કોર્ટમાં અપીલ કરાઈ દાખલ
  • 3 મેના રોજ હાથ ધરાશે સુનાવણી


માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારવામાં આવી છે. સુરતની સેશન્સ કોર્ટમાં સજા સામે અપીલ દાખલ કરવામાં આવી છે. સજા રદ કરવા માટે સેશન્સ કોર્ટમાં અપીલ કરાઈ છે. અપીલના કેસની અરજી પર સુનાવણી 3મેના રોજ થશે. તો બીજી બાજુ માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સેશન્સ કોર્ટ તરફથી જામીન મળ્યા છે. રાહુલ ગાંધીને 13 એપ્રિલ સુધી સેશન્સ કોર્ટે જામીન આપ્યા છે. 

લીગલ ટીમ સાથે સુરત આવ્યા છે રાહુલ ગાંધી
આપને જણાવી દઈએ કે, કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને 'મોદી અટક' સંબંધિત કેસમાં ગુરુવારે (23 માર્ચ, 2023) સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એચ.એચ વર્માની કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. સેશન્સ કોર્ટના આ ચુકાદાને રાહુલ ગાંધીએ ઉપલી કોર્ટમાં પડકાર્યો છે. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી આજે સુરત આવ્યા છે. આ ઉપરાંત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત અને છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ ઉપરાંત કાયદાકીય ટીમ પણ સુરત આવી છે.

'મોદી' સરનેમ પર એવું તો શું બોલ્યા હતા રાહુલ ગાંધી?
વાસ્તવમાં આ સમગ્ર મામલો વર્ષ 2019નો છે. રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના કોલારમાં સામાન્ય ચૂંટણી પ્રચાર દરમિયાન 'મોદી અટક' પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, "બધા ચોરની અટક (સરનેમ) મોદી જ કેમ હોય છે?" વાસ્તવમાં, રાહુલ ગાંધીએ 2019ની લોકસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ 'ચોકીદાર જ ચોર છે'નો નારો આપ્યો હતો. કોંગ્રેસે ત્યારે આની આ પંચ લાઈનને ઘણી હવા આપી હતી અને વિવિધ જગ્યાએ રેલીઓમાં કોંગ્રેસ દ્વારા તેનો ઉલ્લેખ કરવામાં આવતો હતો. કોલારમાં 'મોદી અટક' સાથે સંબંધિત નિવેદનમાં તેમનું નિશાન ભારતીય ઉદ્યોગ પતિ અને ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના પ્રથમ કમિશનર લલિત મોદી, પંજાબ નેશનલ બેંક (PNB) કૌભાંડમાં ફસાયેલા ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા અને પીએમ મોદીની તરફ હતું.

પૂર્ણેશ મોદીએ નોંધાવ્યો હતો કેસ
કેરલના વાયનાડથી લોકસભાના સભ્ય રાહુલ ગાંધીના આ નિવેદન પર ભારતીય જનતા પાર્ટીના નેતા, ધારાસભ્ય અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ આ નિવેદન સામે વાંધો ઉઠાવ્યો હતો, અને તેમની વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાવી હતી. ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 499 અને 500 (માનહાનિ) હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. 

કોર્ટે ફટકારી 2 વર્ષની સજા
જે મામલે ગુરુવારે (23 માર્ચ, 2023) તેમને માનહાનિના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે તેમને બે વર્ષની જેલની સજા ફટકારી હતી. જોકે, આ કેસમાં રાહુલ ગાંધીના જામીન પણ મંજૂર થઈ ગયા હતા. 

કેમ ગઈ સદસ્યતા? 
સજા સંભળાવ્યાનાં 24 કલાકમાં જ રાહુલ ગાંધીનું લોકસભાનું સભ્ય રદ થયું હતું. લોકસભા સચિવાલય દ્વારા નોટિફિકેશન જાહેર કરીને રાહુલ ગાંધીની લોકસભા સદસ્યતા રદ્દ કરી નાંખી હતી. ગુરુવારે 23 માર્ચના રોજ સુરતની કોર્ટ દ્વારા મોદી સરનેમ પર આપેલા વિવાદિત નિવેદન પર માનહાનિ કેસમાં બે વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે જ 15 હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. બે વર્ષની જેલની સજાના કારણે જ નિયમ અનુસાર રાહુલ ગાંધીની સદસ્યતા ગઈ હતી. 

વાયનાડ લોકસભા સીટ પરથી સંસદસભ્ય હતા રાહુલ ગાંધી 
શુક્રવારે લોકસભા સચિવાલય દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં કહેવામાં આવ્યું હતું કે બંધારણની કલમ 102 (1) (e) અને જનપ્રતિનિધિત્વ કાયદા હેઠળ રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જણાવી દઈએ કે, રાહુલ ગાંધી કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી સંસદસભ્ય હતા અને વર્ષ 2019ની ચૂંટણીમાં રાહુલ અમેઠી અને વાયનાડ સીટ પરથી ઉભા હતા. અમેઠીમાં રાહુલ ગાંધીને હાર મળી હતી પણ વાયનાડમાં મોટી જીત હાંસલ થઈ હતી. 

શું કહે છે જનપ્રતિનિધિત્વ કાયદો?
- વર્ષ 1951માં જનપ્રતિનિધિત્વ કાયદો આવ્યો હતો અને આ કાયદાની કલમ 8 માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્ય ગુનાહિત કેસમાં દોષિત ઠેરવવામાં આવે છે તો તે દિવસથી આવનાર 6 વર્ષ સુધી એ સભ્ય ચૂંટણી લડી શકશે નહીં. 
- નોંધનીય છે કે કલમ 8(1) માં એવા અપરાધોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેના હેઠળ દોષિત ઠેરવવામાં આવતા ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં આવે છે. આ કાયદા હેઠળ બે સમુદાયો વચ્ચે નફરત ફેલાવવા, ભ્રષ્ટાચાર, બળાત્કાર જેવા ગુનાઓમાં દોષિત ઠરેલા લોકો ચૂંટણી લડી શકશે નહીં. જો કે આ કાયદામાં માનહાનિની કોઈ ઉલ્લેખ નથી.
- ગયા વર્ષે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાને આ કાયદા હેઠળ અપ્રિય ભાષણના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા બાદ વિધાનસભાની ગુમાવી હતી. 
- આ કાયદાની કલમ 8(3)માં લખવામાં આવ્યું છે કે જો કોઈ સાંસદ અથવા ધારાસભ્યને બે વર્ષ કે તેથી વધુની સજા થાય છે તો તેની સદસ્યતા તરત જ જતી રહે છે અને આવનાર 6 વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવવામાં છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ