વલસાડના માલવણ ગામે રવિવારે એક દંપતીએ ઘરકંકાસના કારણે આપઘાત કરી લીધો હતો. ત્યારે હવે આપઘાત કરનાર મૃતક પ્રફુલ પટેલનો વીડિયો સામે આવ્યો છે.
વલસાડના માલવણ ગામે દંપતિનો આપઘાત
ઘરકંકાસમાં પતિ-પત્નીએ ભર્યુ અંતિમ પગલુ
આપઘાત કરનાર મૃતક પ્રફુલ પટેલનો વીડિયો સામે આવ્યો
વલસાડ જિલ્લાના માલવણ ગામમાં આજે પતિ-પત્નીએ આપઘાત કરી લેતાં સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. વલસાડના ડુંગરીના માલવણ ગામમાં આજે ઘર કંકાસને લઈ અને એક દંપતિએ ઘરમાં જ ગળેફાંસો ખાઈ અને જીવનનો અંત આણ્યો હતો. જોકે હવે આ ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે. મરતા પહેલા મૃતક પ્રફુલ પટેલે એક વીડિયો વાયરલ કર્યો છે. આ વીડિયોમાં પોતે તેના સાસુના ત્રાસથી આપઘાત કરી રહ્યો છે, તેઓ એક અંતિમ સંદેશ પણ આપ્યો છે. વીડિયોમાં પ્રફુલ કહે છે કે, 'મારે જીવવું તો ઘણું હતું પણ...પત્ની અને સાસું સામે હારી ગયો.'
તેના અંતિમ સંદેશોમાં શું કહ્યું પતિ પ્રફુલ પટેલે?
પ્રફુલે વીડિયોમાં જણાવ્યું હતું કે, મારે જીવવું તો ઘણું હતું પણ...પત્ની અને સાસું સામે હારી ગયો. સાસુ અને તેની પત્ની રૂપિયાની જ માગણી કરતા હતા. રૂપિયા ન આપે તો ખોટા કેસો કરવાની ધમકી પણ આપતા હતા. પત્નીએ એક વખત ખોટો કેસ કરી જેલમાં પણ બેસાડયો હતો. છેલ્લે આ જ રસ્તો બચ્યો. એ માટે માત્રને માત્ર મારા સાસુ જવાબદાર હતા. ઘર જમાઇ જ રાખવો હતો તો એ રીતે લગ્ન કરી લેતા તો સારુ રહેત, મારી જીંદગી બચી જાત. નહીં મેડ પડે એટલે હવે મરી જ જવાનો.
આ અંતિમ મેસેજમાં તેઓ જણાવી રહ્યા છે કે નાની અમથી વાતમાં તેની સાસુ અને તેની પત્ની તેને પરેશાન કરતા હતા. તેના પર ખોટો કેસ પણ કરીને જેલમાં મોકલ્યો હતો. આપઘાતની ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઇ હતી. બનાવને પગલે ડુંગરી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી.
સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારમાં પત્ની પરિવારથી અલગ રહેવા માંગતી હતી!
પ્રાથમિક રીતે મળતી માહિતી મુજબ પતિ પ્રફુલ પટેલ અને પત્ની પ્રિયંકા પટેલ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અવાર નવાર ઝઘડો થતો રહેતો હતો. દંપતીના આપઘાતનું કારણ ઘર કંકાસ હોય તેવું લાગી રહ્યું છે. સ્થાનિક લોકોમાં ચાલતી ચર્ચા મુજબ છેલ્લા કેટલાક સમયથી આ દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. સંયુક્ત કુટુંબમાં રહેતા પરિવારમાં પત્ની પરિવારથી અલગ રહેવા માંગતી હતી. આ અલગ જ રહેવાની બાબતે પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા.
પતિ એક કંપનીમાં કામ કરતો હતો અને આજે રજા હોવાથી બંને ઘરે હતા. તે સમયે જ ફરી એક વખત ઘરમાં ઝઘડો થતાં પત્નીએ ગળેફાંસો આપઘાત કરી લીધો હતો. ત્યારબાદ પતિએ પણ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
આમ વલસાડ જિલ્લાના માલવણ ગામમાં ઘર કંકાસે એક દંપતીનો ભોગ લીધો છે. આ બનાવને કારણે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ ગઇ છે. આમ ફરી એક વખત વલસાડ જિલ્લામાં ઘર કંકાસને કારણે એક પરિવારનો માળો વિખેરાયો હતો. પોલીસે આ મામલે જરૂરી તપાસ અને કાર્યવાહી હાથ ધરી છે.