નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંને ભાઇઓ હવે દુનિયામાં નથી રહ્યાં, અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં મંગળવારે 77 વર્ષની વયે નરેશ કનોડિયાનું અવસાન થયું હતું. નરેશ કનોડિયાને 20 ઓકટોબરને મંગળવારે શ્વાસ લેવામાં તકલીફ થતાં હોસ્પિટલમાં લવાયા હતા. કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ હોવાથી હોસ્પિટલના કોરોના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા.
નરેશ કનોડિયા માટે અબ્બાસ-મસ્તાનનું નિવેદન
મેરુ-માલણ ફિલ્મે રેકોર્ડ બ્રેક કર્યા હતા
સુપરસ્ટાર હોવા છતાં કોઇ એટિટ્યુડ નહોતો
થોડા દિવસની સારવાર બાદ તેમનુ મૃત્યુ થયુ હતુ. બાદમાં તેમના પુત્ર હિતુએ તેમના અગ્નિ સંસ્કાર કર્યા હતા. નરેશ કનોડિયા અભિનેતાની સાથે સાથે ધારાસભ્ય પણ હતા. તેમના અવસાન બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, વિજય રુપાણી સહિતના રાજનેતાઓ અને કલાકારોએ શ્રદ્ધાંજલિ આપી હતી.
નરેશ કનોડિયા સાથે કામ કરી ચૂકેલ બોલિવૂડ જોડી અબ્બાસ-મસ્તાને કહ્યું કે, હજુ બે-ત્રણ દિવસ પહેલાં જ હિતુ કનોડિયા સાથે વાત કરીને નરેશભાઈની તબિયત પૂછી હતી. અને આજે અચાનક આ દુ:ખદ ખબર મળ્યા. થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા. એવુ લાગ્યુ કે નજર સામેથી એક ફલેશબૅક પસાર થઈ ગયો.
વધુમાં તેમણે કહ્યું કે, એક સમયે જ્યારે અમે સંઘર્ષ કરી રહ્યાં હતા ત્યારે મેરુ-માલણ ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર હતા અને બ્રેકમાં સાથે લંચ લેતા હતા, ત્યારે નરેશ ભાઇ ચોક્કસપણે આવીને પૂછતાં હતા કે, ‘અરે ભાઈઓ જમવાનું બરાબર છે ને, કોઈને કશી તકલીફ તો નથીને?’ બાદમાં મેરુ માલણ ફિલ્મે બધા રેકોર્ડ બ્રેક કર્યા હતા.
નરેશ ભાઇએ એક બાદ એક સુપરહિટ ફિલ્મો કરી અને ગુજરાતી સિનેમાના સ્ટાર બની ગયા પરંતુ તેમના પગ હંમેશા જમીન પર જ રહ્યાં. નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા બંને ભાઇઓએ ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અનોખુ યોગદાન આપ્યુ છે.