રાજકોટ જિલ્લાના રાજકારણને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન પદેથી સહદેવસિંહ જાડેજાએ રાજીનામું ધરી દેતા જિલ્લાના રાજકારણમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે.. મહત્વનું છે કે રાજકોટ જિલ્લા પંચાયતમાં હાલ ભાજપ શાસનની ધુરા સંભાળી રહ્યું છે. જેમાં ઘણા જિલ્લા પંચાયતના શાસનેને જુથવાદ કોરી ખાતો હોય તેવી ચર્ચાએ જોર પકડયું હતું. પ્રમુખ ભુપત બોદર સામે વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ આજે સહદેવસિંહ જાડેજાએ એકાએક રાજીનામું ધરી દેતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે.
જિલ્લા પ્રમુખની ગેરહાજરીમાં મહામંત્રીને રાજીનામુ આપ્યું
ગોંડલ તાલુકાના ભુણાવાની બેઠક પરથી ચૂંટાયેલા રાજકોટ જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન અને ભાજપના અગ્રણી સહદેવસિંહ જાડેજાએ કારોબારી સમિતિના ચેરમેનપદેથી રાજીનામું આપી દીધું છે. નોંધનીય છે કે ચેરમેન સહદેવસિહ જાડેજા ગઈકાલે સાંજે જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા. અને કોઈ કારણસર જિલ્લા ભાજપ પ્રમુખને સંબોધીને રાજીનામાનો પત્ર તૈયાર કર્યો હતો. આ વેળાએ પ્રમુખ હાજર ન હોવાથી તેમણે મહામંત્રી મનસુખ રામાણીને પત્ર આપી પત્ર પ્રમુખને પહોંચાડી દેવા જણાવ્યું હતું. આમ ભાજપના જિલ્લા પ્રમુખની ગેરહાજરીમાં જ તેમણે રાજીનામુ આપી દીધું હતું.
એકાએક રાજીનામાંને લઈને અનેક સવાલો
તો રાજીનામાં મામલે જિલ્લા પંચાયતનો કોઈ પ્રશ્ન નથી. પરંતુ અન્ય કોઈ બાબતને કારણે તેમણે રાજીનામું આપ્યું હોવાનું જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ બોદરે જણાવ્યુ હતું. અત્રે ઉલ્લેખનીય છે કે સામાન્ય રીતે કમિટીના ચેરમેનો દર સપ્તાહમાં ગુરુવારે અને સોમવારે જિલ્લા પંચાયતમાં જોવા મળતા હોય છે. જ્યારે અમુક ચેરમેન બે દિવસે પણ નથી દેખાતા તેવી સ્થિતિ વચ્ચે સહદેવસિંહ જાડેજા મોટા ભાગે રોજ જિલ્લા પંચાયતમાં હાજર રહેતા હતા. જેંના એકાએક રાજીનામાંને લઈને અનેક સવાલો ઊભા થયા છે.