મૈસુર દુષ્કર્મ કેસમાં પોલીસે 5 આરોપીઓની ધરપકડ કરી છે. બધા જ આરોપી તમિળનાડુના રહેવાસી છે અને મૈસૂરમાં મજૂરીકામ કરતા હતા.
મૈસુર ગેંગરેપમાં પોલીસે કરી કાર્યવાહી
5 આરોપીઓને દબોચી લેવામાં આવ્યા
5માંથી એક આરોપી સગીર
આરોપીઓ અહી ફરવા આવતા હતા અને કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે જે લોકોની ધરપકડ કરી છે તેમાંથી એક સગીર છે. 24 ઓગસ્ટે રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી હતી.
આરોપીઓની ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓમાંથી એકે પીડિતા અને તેના મિત્રને માર માર્યો અને બાદમાં દુષ્કર્મ આચર્યુ હતુ. આરોપીઓની ધરપકડની માહીતી રાજ્યના ગૃહમંત્રી અરાગા જ્ઞાનેન્દ્રએ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇને આપી હતી.
મુખ્યમંત્રીનું નિવેદન
રાજ્યના મુખ્યમંત્રીએ કહ્યું કે અમારી પોલીસે મૈસુર દુષ્કર્મ કેસને ખુબ ગંભીરતાથી લીધો છે. તપાસ માટે 5 ટીમ બનાવવામાં આવી હતી. આરોપીઓ પોલીસ સ્ટેશનમાં છે. મહત્વનું છે કે 24 ઓગસ્ટે મૈસુરમાં ચામુંડી હીલ પાસે 5 લોકોએ એક મેડિકલ વિદ્યાર્થીની પર કથિત રૂપથી ગેંગરેપ કર્યો હતો. ઘટના સમયે પીડિતાનો એક મિત્ર પણ તેની સાથે હતો જેને આરોપીઓએ માર માર્યો હતો.
રાષ્ટ્રીય મહિલા આયોગે લખ્યો પત્ર
આ મુદ્દે રાષ્ટ્રીય મહિલા આયોગે કર્ણાટક DGPને પત્ર લખ્યો હતો. ઘટના બાદ મૈસુર યુનિવર્સિટીએ સાંજે 6 વાગ્યા બાદ લોકોનો કુકરહલ્લી પરિસરમાં પ્રવેશ પર રોક લગાવી દીધી હતી પરંતુ હવે તે નિર્ણય પરત ખેંચી લેવામાં આવ્યો છે.
પૂર્વ CMએ આપી સલાહ
આ ઘટના બાદ વિપક્ષે રાજ્ય સરકાર પર હુમલો કર્યો છે. શુક્રવારે મૈસુર ગેંગરેપ પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી HD કુમારસ્વામીએ તેલંગાણામાં બે વર્ષ પહેલા કરવામાં આવેલી પોલીસ કામગીરી પ્રમાણે રેપિસ્ટ સાથે વ્યવહાર કરવાની સલાહ આપી હતી. જેમાં 2 આરોપીઓને ગોળી મારી દેવામાં આવી હતી.
ગૃહમંત્રીના નિવેદન પર ખળભળાટ
ગૃહમંત્રીએ પીડિતા કેમ સાંજે મોડા સુધી ફરી રહી હતી તેના પર સવાલ ઉઠાવ્યા હતા. જેના પર ખળભળાટ મચી ગયો હતો. પીડિત મહિલાએ સાંજે 7.30 વાગે સુમસાન જગ્યા પર ન જવું જોઇએ તેવા નિવેદન બાદ વિપક્ષે રાજીનામાની માગ કરી હતી