ભારત-ચીન વચ્ચે છેલ્લા કેટલાક અઠવાડિયાથી ચાલી રહેલા તણાવમાં થોડા નરમ સંકેત જોવા મળી રહ્યા છે. ચીની સેના હવે ગલવાન ઘાટીથી 1-2 કિલોમીટર પરત હટી ગઇ છે.
ચીન સામે ભારતની કૂટનીતિક જીત
ચીને પોતાનું સૈન્ય પરત બોલાવવું પડ્યું
ઉલ્લેખનીય છે કે, સમાચાર એજન્સી ANIના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે NSA અજિત ડોવાલ અને ચીનના વિદેશમંત્રી વાંગ યી વચ્ચેની વાતચીત સૌહાર્દપૂર્ણ અને અગમચેતી પર આધારિત હતી. સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, શાંતિનું ફરીથી સંપૂર્ણ પુન:સ્થાપન માટે બંને સાથે મળીને કામ કરવાની ચર્ચા થઈ છે અને આવી ઘટનાઓ ભવિષ્યમાં ન બને.
ભારતના પગલા ચીને કરી પીછેહઠ
આપને જણાવી દઇએ કે, ચીન સેના જો પાછી હટી હોય તો તેની પાછળ ભારતના કેટલાક રણનીતિ-રાજકીય અને રાજનાયક પગલાઓ જવાબદાર છે જે છેલ્લા કેટલાક દિવસથી સતત આગળ વધારવામાં આવી રહ્યા છે. જેમાં પહેલા તો ભારતે સીમા પર ફોજ વધારી, ફાઇટર પ્લેન તૈનાત કર્યા, ચીન વિરૂદ્ધ દુનિયાભરમાં માહોલ બનાવ્યો, અમેરિકા સહિત કેટલાય દેશોએ નિવેદન આપ્યા.
આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે લદ્દાખની મુલાકાતે પહોંચ્યા. તો કેટલીય એપ્સ પર પ્રતિબંધ લાદ્યો અને ચીની કંપનીઓના ટેન્ટર રદ્દ કરી દીધી અને સરવાળે પરિણામ એવું આવ્યું કે, ચીને પીછેહઠ કરવી પડી.
લદ્દાખની મુલાકાતે પહોંચ્યા હતા પ્રધાનમંત્રી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચીન સાથેના તણાવ વચ્ચે તાજેતરમાં સરપ્રાઇઝ મુલાકાત લેવા લેહ પહોંચ્યા છે. પીએમ મોદી સાથે સીડીએસ બિપિન રાવત પણ લેહ પહોંચ્યાં છે. પીએમ નરેન્દ્ર મોદી નીમૂની ફોરવર્ડ પોસ્ટ પર પહોંચ્યાં. અહી પીએમ મોદીએ સીનિયર અધિકારીઓ અને ITBP અને સેનાના જવાનો સાથે વાતચીત કરી.
59 એપ્સ પર લાદ્યો પ્રતિબંધ
સરકારે ટિકટોક, વીચેટ સહિત કુલ 59 ચાઇનીઝ મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પછી આ એપ્સ બપોરે 12 વાગ્યાથી ગૂગલ પ્લે સ્ટોરથી હટતા જોવા મળ્યા હતા. હવે મંગળવારે ટિકટોક ભારત દ્વારા એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે.
આર્થિક ક્ષેત્રે પણ પહોંચાડ્યું નુકસાન
કેન્દ્ર સરકારે ગંગા નદી પર મહાત્મા ગાંધી સેતુની સમાંતર બનનારા એવા મહાસેતુના પ્રોજેક્ટને લગતા ટેન્ડરને રદ કર્યુ છે. આ પ્રોજેક્ટમાં ચીની કંપનીઓ શામેલ હતી. બિહાર સરકારના ઉચ્ચ સત્તાવાર સૂત્રોએ રવિવારે કહ્યું કે કેન્દ્ર દ્વારા આ ટેન્ડર રદ કરવામાં આવ્યો છે કારણ કે આ પ્રોજેક્ટ માટે પસંદ કરાયેલા ચાર કોન્ટ્રાક્ટરોમાંથી બે ચીની કંપનીઓ હતી.
સમગ્ર પ્રોજેક્ટ માટે મૂડી ખર્ચ 2,900 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. આમાં 5.6 કિ.મી. લાંબી મુખ્ય બ્રિજ, અન્ય ટૂંકા પુલ, અન્ડરપાસ અને રેલ ઓવરપાસનો સમાવેશ થાય છે. એવું મનાઈ રહ્યું છે કે 15 જૂને પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ચીની સૈનિકો સાથેની અથડામણમાં ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા વિવાદ અને 20 ભારતીય સૈનિકોની શહાદતની પૃષ્ઠભૂમિમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.
લદ્દાખમાં સૈન્યની હાજરી વધી
ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે ભારતે લદ્દાખમાં પોતાના સૈનિકોની હાજરી બમણી કરી દીધી છે. ભારતે આ પગલું ભરવું પડ્યું કારણ કે ચીની સેના આ ક્ષેત્રની વાસ્તવિક પરિસ્થિતિને બદલવાનો પ્રયાસ કરી રહી છે. સુરક્ષા એજન્સીઓની જુદી જુદી સમીક્ષાઓમાં આ વાત બહાર આવી છે. સેનાએ સમગ્ર લદાખ ક્ષેત્રમાં 40 થી 45 હજાર સૈનિકોને તૈનાત કર્યા છે.
લડાકુ વિમાન દ્વારા ભારતે કર્યું શક્તિ પ્રદર્શન
LAC પર ચીન સાથેના તણાવ વચ્ચે સરહદ પર ભારતે પોતાની ગતિવિધિઓ ઝડપી બનાવી છે. ભારતીય વાયુસેનાએ બોર્ડર નજીકના એરબેઝ પર પહેલાથી જ પોતાના યુદ્ધ વિમાનો તૈનાત કર્યા છે. સુખોઇ Su-30MKI અને એરફોર્સના મિગ-29 વિમાનની સાથે અપાચે હેલિકોપ્ટર પણ સરહદ પર ઉડતા નજર આવ્યા હતા. ભારતે ચીન સરહદ પર શક્તિ પ્રદર્શન કર્યું છે.