બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / There is only one temple of Neshya Hanuman Dada in Kheda district where Dada is enshrined in the basement.
Last Updated: 07:12 AM, 7 February 2024
ADVERTISEMENT
ખેડા જિલ્લામાં ઠાસરા તાલુકાના નેશ ગામમાં નેશીયા હનુમાનજી ભોંયરામાં બિરાજમાન છે. ભાવિકોની દરેક મનોકામના પૂર્ણ કરતા સ્વયંભૂ નેશીયા હનુમાનદાદાના મંદિરે મંગળવાર, શનિવાર અને તહેવારોમાં થતી ઉજવણીમાં માનવમહેરામણ ઉમટી પડે છે. ભાવિકો અનેક પ્રકારની મનોકામના લઈ દાદાના શરણે આવી ધન્યતા અનુભવે છે. ભક્તો પર સદાય આશીર્વાદ વરસાવતા દાદાનુ મંદિર પંચકોશી યાત્રાનુ કેન્દ્ર છે.
ADVERTISEMENT
નેશિયા હનુમાનજી મંદિરનું મહત્વ
પૌરાણિક ચમત્કારિક નેશિયા હનુમાનજી મંદિર ભક્તોની માનતા પૂરું કરતું ચમત્કારિક મંદિર છે. કહેવાય છે કે નેશિયા હનુમાન મંદિર મહાભારત કાળમાં યાત્રાધામ ડાકોરમાં જ્યારે ડંકનાથ મહાદેવના સ્થળે ડંક ઋષિનો આશ્રમ હતો તે સમયનું ગણવામાં આવે છે. એક કથા મુજબ નેશ ગામ ડાકોરથી 270 વર્ષ પહેલા વિકસ્યું હોવાનું કહેવાય છે આ જગ્યાએ અજ્ઞાતવાસ દરમિયાન પાંડવોએ વિચરણ કર્યું હતું અને ડાકોર જેટલું જ નેશિયા હનુમાનજી મંદિરનું મહત્વ છે.
ADVERTISEMENT
સ્વંયભુ હનુમાનજીની મૂર્તિ
વર્ષો પહેલા ડાકોર નજીક કાલસર ગામને બ્રાહ્મણના છ પરિવારોએ વિકસાવ્યું હતું અને તે આસપાસ ની જમીનો ખેડતા હતા. ભદ્રાસા ગામના કેટલાક ગોવાળ જંગલ વિસ્તારમાં ગાયો ચરવતા હતા તેમની એક ગાય રોજ એક જ જગ્યાએ ઉભી રહી પોતાના આંચળથી દૂધ અભિષેક કરતી અને ગોવાળને રોજ સ્વપ્નમાં ચમત્કારિક અવાજ સાંભળતો હતો કે મને બહાર કાઢો મને બહાર કાઢો. તેણે આ વાત કાલસર ગામના બ્રાહ્મણને જણાવી અને દશેરાના દિવસે બધા ભેગા મળીને ચમત્કારી જગ્યાએ પહોંચ્યા અને ખોદકામ કરતા સ્વંયભુ હનુમાનજીની મૂર્તિ મળી આવતા બ્રાહ્મણોએ શાસ્ત્રોક્ત વિધિ અનુસાર પૂજન શરૂ કર્યું.
ADVERTISEMENT
પૂજારીની હાલ 19મી પેઢી સેવા પૂજા કરે છે
નેશિયા હનુમાનજી મંદિરમાં દાદાની સેવાપૂજા પેઢીઓથી ગોપાલભાઈના પરિવાર દ્વારા કરવામાં આવે છે અને એ પૂજારીની હાલ 19મી પેઢી સેવા પૂજા કરે છે. પૂજારીના પરિવારમાં એક દીકરો જન્મે છે અને એ જ આ મંદિરમાં સેવા કરે છે. અને પરિવારમાં બે કે તેથી વધુ પુત્રો જન્મે તો તે સાધુ બની જાય અને તેનો વંશ આગળ જતો નથી. જોકે છેલ્લી 7 થી વધુ પેઢીથી પૂજારી પરિવારમાં એક જ પુત્ર છે અને તે જ પેઢીદર પેઢી ક્રમશ નેશિયા હનુમાનજી દાદાની સેવાપૂજા અને દરેક તહેવારોને પરંપરાગત રીતે ઉજવે છે. જેનો દરેક ભાવિકો લાભ લેય છે.
1500 વર્ષથી પણ વધારે જુના વડલાઓ
નેશિયા હનુમાનજી મંદિર 10થી વધુ વડના ઘટાદાર વૃક્ષોની વચ્ચે આવેલુ છે. મંદિરની આસપાસના કુદરતી સૌંદર્ય અને શાંતિપૂર્ણ ભક્તિમય માહોલને કારણે ભાવિકો દર્શન કર્યા બાદ પરિવાર સાથે કલાકો સુધી મંદિરે બેસીને શાંતિનો અનુભવ કરે છે. નેશ અને આજુબાજુના ગામના ભાવિકો વર્ષોથી નિયમિત દાદાના દર્શને આવે છે. નવાઈ કે ચમત્કાર ગણો પણ આસપાસના તમામ વિસ્તાર પૈકી માત્ર આ મંદિરની આસપાસ જ આટલા બધા અને વિશાળ વડલાઓ આવેલા છે. આ વડલાઓ હજારો વર્ષ જુના હોવાનું માનવામાં આવે છે સ્થાનિકોના મતે 1500 વર્ષથી પણ વધારે જુના વડલાઓ છે.
ADVERTISEMENT
અદ્ભૂત ચમત્કારો
સ્વંયભુ નેશિયા હનુમાનજીના ઘણા ચમત્કાર ભક્તોને થયા છે એવો જ ચમત્કાર ની વાત કરીએ તો જુના મંદિરને તોડી નવુ મંદિર બનાવવાનું કામ શરુ કર્યુ ત્યારે દાદાએ સંકેત દ્વારા મનાઈ કરી અને તોડફોડનુ કામ રોકવામાં આવ્યુ. જુના મંદિરને શિખર સાથે તેવું જ રાખી તેના ઉપર આજના નવીન મંદિરનું બાંધકામ કર્યું જે આજે યથાવત છે. મંદિરના ઘુમ્મટ ઉપરના શિખરે બનાવેલ ગોખમાંથી જૂનું શિખર આજે પણ દ્રશ્યમાન થાય છે.
ADVERTISEMENT
વિઝા માટે ભાવિકો દાદાને શીશ ઝુકાવે છે
નેશિયા હનુમાનજી સાક્ષાત બિરાજમાન છે દાદાના દર્શન કરી માનતા રાખનાર દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. નિસંતાન દંપતિ, આર્થિક સંકટથી ઝઝૂમતા પરિવારો અને વિદેશના જવા વિઝા માટે ભાવિકો દાદાને શીશ ઝુકાવી જોડી માનતા રાખે છે. અને તેમની મનોકામના પૂર્ણ થાય છે. મંદિરે આવતા ભાવિકોની મનોકામના પૂર્ણ થાય છે અને ભાવિકોની સંખ્યામાં વધારો થતા મંદિર પાસે નાની મોટી રેકડી ચલાવતા સ્થાનિક લોકોની ધંધા રોજગારીમાં પણ સુધારો થયો છે. માનતા પૂર્ણ ભાવિકો પોતાની યથાશક્તિ પ્રમાણે દાદાને તેલ, સિંદૂર, સુખડી, નાળિયેર અને આકડાની માળા ચઢાવે છે. નેશિયા હનુમાનજી મંદિરમાંથી કોઈ પણ પ્રકારનો પ્રસાદ વેચવામાં નથી આવતો, જે ભોગ ભગવાનને ધરાવવામાં આવે છે તે જ પ્રસાદ ભાવિકોને પ્રસાદ રૂપે આપવામાં આવે છે.
વાંચવા જેવું: ગુજરાતનું તેજોમય સ્થળ: ફુલના ઢગલાની પાસે દૈવત આકાશવાણી થઈ, એક ચુંદડી કરે છે મનોકામના પૂર્ણ
પ્રસાદ સાંજ સુધી સ્વાદિષ્ટ, બીજા દિવસે સ્વાદવિહીન
ખેડા જીલ્લામાં નેશિયા હનુમાનદાદાનુ એક જ મંદિર એવુ છે જ્યાં દાદા ભોંયરામાં બિરાજમાન છે. મંગળવાર અને શનિવારે મંદિરે ભાવિકોનુ મહેરામણ ઉમટી પડે છે. દાદા પ્રત્યે ભાવિકોની આસ્થા શનિવારે મંદિરે મેળાનો માહોલ સર્જે છે. મૂળ નેશ ગામની જગ્યાએ પહેલા રબારી ભરવાડનો નેશડો હતો જેના ઉપરથી ગામનુ નામ નેશ પડ્યું. ગામની નજીક જ મહીસાગર નદી ભદ્રાસામાંથી પસાર થાય છે. પાવાગઢ તરફ જતા સંઘ હનુમાનજીના મંદિરે રોકાઈ દર્શન કરી ભોજન પ્રસાદી લઈ આગળ પ્રયાણ કરે છે. નેશિયા હનુમાનજી મંદિરમાં ધરાવાતા પ્રસાદ અન્નકૂટ પણ ચમત્કારી છે જે સાંજ સુધી સ્વાદિષ્ટ રહે છે અને બીજા દિવસે પ્રસાદમાં સ્વાદ રહેતો નથી. મંદિર પંચકોશી યાત્રાનું કેન્દ્ર છે. જેમાં ડાકોરના રણછોડજી, ખીજલપુરના હનુમાનજી, ચૂંનેલના હનુમાનજી અને ડાકોર રણમૂકતેશ્વર મહાદેવ મંદિરના દર્શન કરે તો ભાવિકોને વિશેષ ફળ મળે છે અને આ યાત્રાનુ યજ્ઞ કર્યા જેટલુ ફળ મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.