ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 ઓગસ્ટથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે
અમિત શાહ 3 દિવસ માટે ગુજરાતના પ્રવાસે
અધિકારીઓ સાથે બેઠક યોજાશે
વિકાસના કામો અંગે મેળવશે રિવ્યું
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. 28 ઓગસ્ટથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે રહેશે. મહત્વનું છે કે, ઉત્તર પ્રદેશ બાદ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું આયોજન થવાનું છે. જેને લઈ સરકાર દ્વારા વિકાસના કાર્યો અને પાર્ટી કક્ષાએ પણ કેટલીક કામગીરીઓનું માળખું ગોઠવવાનું શરૂ થઈ ગયું છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે
28 ઓગસ્ટથી 3 દિવસના ગુજરાતના પ્રવાસે
બપોરે 12.00 વાગ્યે અમદાવાદ પહોંચશે
સાંજે કલેક્ટર કચેરી ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજાશે
ગાંધીનગર લોકસભામાં વિકાસનાં કામો અંગે મેળવશે રિવ્યુ
29 સપ્ટેમ્બરે AMCના પદાધિકારીઓ અને ચૂંટાયેલા પાંખ સાથે યોજશે બેઠક
બેઠકમાં શહેરી વિસ્તારના વિકાસના કામો અંગે મેળવશે રિવ્યું
કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ પણ આવશે ગુજરાત
ગુજરાત વિધાનસભાની 2022ની ચૂંટણીને હવે વર્ષ બાકી રહ્યું છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીની રણનિતી તૈયાર કરવા તેમજ પક્ષના સંગઠનના મુદ્દાઓને લઇ ચર્ચા કરવા માટે ભાજપની પ્રદેશ કારોબારીની બેઠકનું આયોજન કરાયું છે. આગામી તારીખ 2 સપ્ટેમ્બરના રોજ કેવડિયા કોલોની ટેન્ટસિટી 2 ખાતે બેઠક યોજાશે. જેના ભાગરૂપે ટેન્ટસીટી 2મા અત્યારથી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકર સહિત ભાજપના નેતાઓએ ટેન્ટસિટીની મુલાકાત કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ સહિત રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ભાજપના અધ્યક્ષ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહેશે.
કલોલ તાલુકાના ગામડાઓ હવે સોલર રૂફ ટોપ યોજના અપનાવશે
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના સંસદીય મતવિસ્તારના કલોલ તાલુકાના ગામડાઓના નાગરિકોને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓથી લાભાન્વિત કરાવશે.આ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા કલેકટર કુલદીપ આર્યની રાહબરીમાં યુજીવીસીએલના અધિકારીઓએ નારદીપુર, પાનસર, સાંતેજ, વડસર, સોજા, બાલવા, શેરીસા, મોટીભોંયણ, પલિયડ, ગોલથરા, નાદ્રી, ધાનોટ, બિલેશ્વરપુરા,આમજા સહિતના ગામોમાં સરપંચશ્રીઓ, સામાજિક, રાજકીય અગ્રણીઓ અને ગ્રામજનો સાથે મીટિંગો યોજી, સોલર રૂફ ટોપ યોજના અપનાવવાના ફાયદા સમજાવ્યા હતા અને રાજ્ય સરકાર શહેરો જેવી સુવિધા ગામડાઓને આપીને સમૃદ્ધ કરવા માગે છે તે અંગે સમજ આપી હતી. અધિકારીઓએ ગામડાઓ સૌર ઊર્જાથી ઝળહળે એ માટેના પ્રયત્નો આદર્યા છે,જેથી લોકોને પણ વીજ બિલમાં ફાયદો થાય. આ વિસ્તૃત માહિતીનો ગ્રામજનો સહિત સૌ કોઇએ હકારાત્મક પ્રતિભાવ આપ્યો હતો એટલું જ નહીં, આ યોજનાની માહિતી મેળવ્યા બાદ તરત જ દસેક લોકોએ સોલર રૂફ ટોપ યોજનાનો લાભ લેવા નોંધણી કરાવી હતી.
વીજ ગ્રાહકોને વીજ બીલમાં રાહત આપવાના હેતુથી અને રહેણાંક ક્ષેત્રે સોલાર રૂફ ટોપનો વ્યાપ વધારવા રાજય સરકાર દ્વારા તા.૦૫.૦૮.૨૦૧૯થી સોલર રૂફ ટોપ યોજના ('સૂર્ય-ગુજરાત') શરૂ કરવામાં આવી છે. રૂફટોપ સિસ્ટમ લગાવવામાં દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે.આ યોજના અંતર્ગત રહેણાંક હેતુનાં ૧,૯૮,૧૬૩ વીજ ગ્રાહકોને ત્યાં સોલર રૂફ ટોપ સીસ્ટમ લગાડવા આવી છે. જેની કુલ વીજ એકત્રિત ક્ષમતા ૭૫૭.૯૦ મેગાવોટ છે.
ગાંધીનગરમાં યુજીવીસીએલ થકી સોલર રૂફ ટોપ યોજનાનો અમલ થવાનો છે. એક જ સ્થળેથી યોજનની માહિતી લોકોને મળી રહે તેવું સુંદર આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. 'સરકાર તમારે આંગણે'એ સૂત્રને જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ સાર્થક કરી રહ્યા છે.