શહેરીજનો માટે સારા સમાચાર એ છે કે સિમ્સ હોસ્પિટલનો રેલવે ફ્લાય ઓવરબ્રિજ છેવટે તૈયાર થઈ ગયો છે. અમદાવાદીઓને વિરાટનગર અને રાજેન્દ્રપાર્ક ફ્લાય ઓવરબ્રિજ બાદ હવે આ બ્રિજની ભેટ મળશે.
સિમ્સ હોસ્પિટલનો રેલવે ફ્લાય ઓવરબ્રિજ છેવટે તૈયાર થઈ ગયો
અમદાવાદીઓને વિરાટનગર અને રાજેન્દ્ર પાર્ક બાદ આ બ્રિજની ભેટ મળશે
કોરોના મહામારીને કારણે રેલવે ઓવર બ્રિજના નિર્માણમાં થયો વિલંબ
રેલવે ફ્લાય ઓવરબ્રિજ તૈયાર કરાયો
મ્યુનિ. તંત્ર દ્વારા નવા પશ્ચિમ ઝોન વિસ્તારમાં ઝડપથી વિકાસ પામતા સોલા સાયન્સ સિટી અને થલતેજ, હેબતપુર વિસ્તારોની કનેક્ટિવિટી માટે સિમ્સ હોસ્પિટલથી હેબતપુર 100 ફૂટના ટીપી રસ્તાને જોડતો રેલવે ફ્લાય ઓવરબ્રિજ તૈયાર કરાયો છે. અમદાવાદ-વીરમગામ બ્રોડગેજ લાઇન પર આ ફોર લેન રેલવે ઓવરબ્રિજ રેલવેના નીતિનિયમ રિસર્ચ ડિઝાઇન સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઇઝેશન (આરડીએસઓ) મુજબ નિર્માણ પામ્યો છે.
આ કારણે રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં થયો વિલંબ
જોકે આ રેલવે ઓવરબ્રિજના નિર્માણમાં કોરોના મહામારીના કારણે મુંબઈ સ્થિત રેલવેની તમામ ઓફિસો બંધ રહેવાથી સ્વાભાવિકપણે વિલંબ થયો છે. રેલવે દ્વારા મંજૂરીમાં થયેલા વિલંબથી આ બ્રિજ તેના નિર્ધારિત સમયના દોઢ વર્ષ પછી લોકોપયોગી બનવાનો છે. રેલવે ઉપરાંત સ્ટીલના ઉત્પાદન પર વચ્ચે મુકાયેલા પ્રતિબંધથી પણ આ બ્રિજ વિલંબમાં મુકાયો હોવાનું જાણવા મળ્યું છે. શીલજ બ્રિજની જેમ સિમ્સ હોસ્પિટલના આ બ્રિજમાં અમદાવાદ-વીરમગામની રેલવે લાઇન ઉપર સ્ટીલનું સ્ટ્રક્ચર ઊભું કરાયું છે, જે માટે ગયા જૂન-2021માં રેલવેતંત્ર દ્વારા ચાર કલાકનો મેગા બ્લોક જાહેર કરાયો હતો અને તે દરમિયાન થ્રૂ ટ્રુસ ગર્ડરને લગાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. ઓપન વેબ ગર્ડર તરીકે ઓળખાતા આ ગર્ડરની લંબાઈ ૫૪ મીટર અને પહોળાઈ 20.50 મીટર હોઈ અપ-ડાઉનમાં તે નખાયા છે.
રૂ. 66 કરોડ ખર્ચાયા
સિમ્સ હોસ્પિટલના નિર્માણ પાછળ સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી યોજના હેઠળ આશરે રૂ. 66 કરોડ ખર્ચાયા છે. આ બ્રિજની લંબાઈ 727 મીટર અને પહોળાઈ 16.50 મીટર છે. સિમ્સ હોસ્પિટલ ચાર રસ્તાને ઝાયડસ હોસ્પિટલના ચાર રસ્તા સાથે જોડતો આ બ્રિજ લોકોમાં હેબતપુરબ્રિજ તરીકે પણ ઓળખાય છે. બ્રિજની બંને બાજુ ૩૦૦ મીટર લંબાઈનો એપ્રોચ રોડ તૈયાર કરાયો છે. રેલવેબ્રિજના કુલ ૧૮ સ્પાન હોઈ તેની નીચે 200થી વધુ ફોર વ્હિલર અથવા તો 600 ટુ વ્હિલર પાર્ક થઈ શકશે. ત્રણ મહિના પહેલાં રેલવે બાજુના ત્રણ સ્પાનનું કામ કરાયું હતું. આ ત્રણ સ્પાનના 18 ગર્ડરને પુશિંગ મેથડથી લગાવાયા હતા. ત્યારબાદ સ્લેબ ભરાવાની કામગીરી હાથ ધરાઈ હતી. છેલ્લે ડેકોરેટિવ લાઇટ અને ફિનિશિંગ કરાયું હતું.
ટ્રાફિકની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે
આ રેલવે ઓવરબ્રિજ તૈયાર થવાથી હેબતપુર, થલતેજ, સિંધુ ભવન, સોલા સાયન્સ સિટી વિસ્તાર તેમજ એસજી હાઈવે તરફના મેમનગર, સતાધાર, સૂરધારા સર્કલ વગેરે વિસ્તારનું સીધું જોડાણ થશે તેમજ એસજી હાઈવે સમાંતર રેલવે ઓવરબ્રિજ બનવાથી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ધોરણે ઉકેલ આવશે અને શહેરના નવા પશ્ચિમ ઝોનના છેવાડાના વિસ્તાર સુધી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.
અમદાવાદીઓને શહેરનો 75મો બ્રિજ મળશે
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં દિન-પ્રતિદિન જટિલ બનતી જતી ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા સમયાંતરે એક પછી એક નવા બ્રિજ તૈયાર કરાઈ રહ્યા છે. ટૂંક સમયમાં આ બ્રિજનું લોકાર્પણ થવાથી અમદાવાદીઓને શહેરનો ૭પમો બ્રિજ મળશે. જોકે અમદાવાદમાં એએમટીએસ અને બીઆરટીએસ જેવી જાહેર પરિવહન સેવા એક પ્રકારે નિષ્ફળ નિવડી છે તેમજ મેટ્રો રેલવેનાં હજુ ઠામ-ઠેકાણાં પડ્યાં ન હોઈ રેલવે રોડ કે સાબરમતી નદી પરના બ્રિજ-અંડરપાસ જેવા પ્રોજેક્ટથી શહેરની ટ્રાફિક સમસ્યાનો જલદી ઉકેલ આવે તેમ લાગતું નથી.