રાજ્ય સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી કરશે. રવિવાર(25 સપ્ટેમ્બર)થી 24 ઓક્ટોબર સુધી ખેડૂતો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે.
VCEની હડતાળ વચ્ચે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે
24 ઓક્ટોબર સુધી ખેડૂતો રજિસ્ટ્રેશન કરાવી શકશે
લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે
આવતીકાલ(25 સપ્ટેમ્બર 2022)થી મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થશે. ખેડૂતો 24 ઓક્ટોબર સુધી રજિસ્ટ્રેશન કરાવી શકશે. લાભ પાંચમથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે. 5,850 પ્રતિ ક્વિન્ટલના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવશે. જેમાં મગ, અડદ અને સોયાબીનની પણ લાભ પાંચમથી ખરીદી થશે. 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે. મહત્વનું છે કે, સાબરકાંઠાના હિંમતનગર માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઇ ચૂકી છે. 3200 બોરી મગફળીની આવક થઇ છે. મોટી સંખ્યામાં ખેડૂતો મગફળી વેચવા પહોંચ્યા છે.
મગફળી ટેકાના ભાવે રજીસ્ટ્રેશન પોર્ટલ
ખેડૂતો ગામ કે વિસ્તાર મુજબ સરકાર દ્વારા નિમણુંક થયેલા VCE ઓપરેટર દ્વારા નીચે આપેલ પોર્ટલ પર અરજી કરવામાં આવે છે. ખેડૂતો APMC (માર્કેટયાર્ડ) પર અથવા eGram Kendra Portal (ગામ પંચાયત કેન્દ્ર) પર જઈને ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવી શકો છો.
VCEની હડતાળ વચ્ચે આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા થશે શરૂ
રાજ્યમાં 16 દિવસથી VCE કર્મચારીઓ આંદોલન કરી રહ્યા છે. VCEની હડતાળ વચ્ચે આવતીકાલથી ઓનલાઇન રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થશે. જોકે ખેડૂતોના ટેકાના ભાવે ખરીદી માટે રજીસ્ટ્રેશનનો VCE બહિષ્કાર કરશે. હડતાળ પર રહેલા VCEએ બહિષ્કાર કરવાની જાહેરાત કરી હતી.
MSP (ટેકાના ભાવ) એટલે શું?
MSP (ટેકાના ભાવ) એટલે Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ કહેવામાં આવે છે. આ ભાવ CACP દ્વારા જયારે પાક નું વાવેતર થવાનું હોય એની પહેલા જ નક્કી કરવામાં આવે છે, ત્યાર બાદ સરકાર તરફથી એક Minimum support price અથવા લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવામાં આવે છે, જે ખેડૂતમિત્રોને માર્કેટ યાર્ડ દ્વારા આપવામાં આવે છે, તો ખેડૂતમિત્રોને ફાયદાની વાત કરીએ તો સરકાર દ્વારા નક્કી કરેલા ભાવ થી નીચા ભાવે ખરીદી નો થાય અને ખેડૂત મિત્રોને પાકનો અનુકૂળ ભાવ મળી રહે.
જાણો કયા પાકના કેટલા ભાવ
થોડા દિવસ અગાઉ કૃષિ મંત્રીશ્રી રાઘવજી પટેલે જણાવ્યુ હતું, કે ગુજરાતના ખેડુતો દ્વારા ખરીફ ઋતુ 2022-23ના મુખ્ય ૧૪ પાકોની ટેકાના ભાવે જે ખરીદી કરવામાં આવે છે તેના ભાવો માટે ખેડૂતો દ્બારા વારંવાર ગુજરાત સરકાર તથા ભારત સરકારમાં પોતાની લાગણીઓ વ્યક્ત કરતા હતા જેના ભાગરૂપે ગુજરાતના પનોતા પુત્ર તથા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આજે વર્ષ 2022-23ના ખરીફ પાકના ટેકાના ભાવ ખરીફ ઋતુની શરૂઆત પહેલા સમયસર જાહેર કરવામાં આવ્યા છે.
મંત્રીએ ઉમેર્યુ કે, રાજ્યના મુખ્ય પાક મગફળીમાં પ્રતિ ક્વિન્ટલ રૂપિયા ૩૦૦નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. 5850, તુવેર પાકમાં રૂ. 300નો વધારો કરી ટેકાનો ભાવ રૂ. 6600, મગ પાકમાં રૂ. 480નો વધારો કરી ટેકાનો ભાવ 7755, તલ પાકમાં રૂ.523નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.7830, અડદ પાકમાં રૂ.300નો વધારો કરી ટેકાનો ભાવ રૂ.6600, કપાસ પાકમાં રૂ.355નો વધારો કરી રૂ.6380 ટેકના ભાવ જાહેર કરેલ છે તેમ તેમણે ઉમેર્યુ છે.
મંત્રીએ ઉમેર્યુ કે, ખરીફના 14 પાકોમાં ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોના હિતમાં લઘુતમ વધારો કરવામાં આવ્યો છે. જેમાં પાક ઉછેરાનારાઓને તેમજ ઉપજ પર વળતરક્ષમ ભાવો મળે તેની ખાતરી કરી શકાય અને પાકના વાવેતરને સુનિશ્ચિત કરવામાં માટે ટેકાના ભાવ જે તે પાકના ખેતી ખર્ચના ઓછામાં ઓછા 50 ટકાથી 85 ટકા સુધીનો નફો મળે તે પ્રમાણે નક્કી કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય તે માટે જુદાજુદા પાકમાં ગત વર્ષ કરતા પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 92 થી 523 સુધીનો વધારો કરવામાં આવેલ છે.