રાજ્યમાં ઢોર નિયંત્રણ કાયદમાં સરકારે પીછેહઠ કરી તેમ છતાં હજુ પણ માલધારીઓ પારોઠના પગલાં ભરવાના મૂડમાં નથી, આ પડકાર સરકાર સામે ઊભો છે, ત્યાં હવે ગૌભક્તો સરકાર સામે મેદાને પડ્યા છે.
ગૌશાળા-પાંજરાપોળને 500 કરોડ સહાયનો મામલો
ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આંદોલનના રસ્તે
ગૌ શાળા સંચાલકોએ વિરોધ કરતા થઇ અટકાયત
સહાય ન ચૂકવાય ત્યાં સુધી ઉગ્ર આંદોલનની ચીમકી
રાજ્ય સરકારે ગત બજેટમાં પાંજરાપોળના નિભાવ માટે 500 કરોડની જોગવાઈ કરી હતી અને વ્યક્તિગત દેશી ગાયના નિભાવ માટે 500 કરોડની જોગવાઈ કરી હતી. પરંતુ હજુ સુધી સંતોષકારક રીતે આ સહાય પાંજરાપોળ સંચાલકોને કે, ગાયપાલકોને મળી નથી. ત્યારે ચૂંટણીના પડઘમ વચ્ચે સંચાલકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લા ગૌભક્તોએ આવેદનપત્ર આપી 48 કલાકમાં ગૌ પોષણ યોજનાનો લાભ નહીં મળે તો ગૌ શાળાઓની તમામ ગાયો તાલુકા મથકની કચેરીઓમાં છીડી દેવાની ચીમકી આપી હતી. અલ્ટિમેટમ પુર્ણ થવા છતાં પણ સરકારે કૉઈ જાહેરાત ન કરતાં આજે બનાસકાંઠામાં ગૌ શાળા સંચાલકોએ ગાયો છોડી મૂકવાનો સિલસિલો ચાલુ કર્યો છે. બનાસકાંઠાના ડીસા, રાધનપુરમાં સંચાલકોએ વિરોધ નોંધાવતા પાંજરાપોળમાંથી ગાયો છોડી હતી. આ વચ્ચે વિરોધ કરી રહેલા સંચાલકોની ઠેરઠેર અટકાયત થતા ગૌ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સહાય નહીં આપે ત્યાં સુધી ઉગ્ર લડત ચાલુ રાખવા ગૌ ભક્તોની ચીમકી ઉચ્ચારી હતી.
ગાયો છોડી દેવાતા પોલીસે સંચાલકોની કરી અટકાયત
લાખણીમાં ગૌશાળાની ગાયો છોડી દેવાતા પાંજરાપોળ સંચાલકોની પોલીસે અટકાયત કરી હતી. ડીસા DySP સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ગૌ શાળા અને પાંજરાપોળની સહાય ન મળતા લાખણીમાં ગૌ શાળાની ગાયોને છોડી મુકાઇ હતી. સરકાર દ્વારા 500 કરોડની સહાય મંજૂર કરાયા બાદ પણ અપાયા નથી. ગૌ ભક્તોએ ગાયોને હાઇવે પર છોડી દેતા વાહનોની લાઈનો લાગી હતી.
સંચાલકોની અટકાયત બાદ રોષે ભરાયા ગૌ પ્રેમીઓ
બનાસકાંઠાના ડીસામાં પાંજરાપોળમાંથી ગાયો છોડવાનો મામલે સંચાલકોની અટકાયત કરાતા અન્ય સંચાલકો હાઇવે પર પહોંચ્યા હતા. માલગઢ નજીક સંચાલકો દ્વારા રાધનપુર હાઇવે રોકવાનો પ્રયાસ કરાયો હતો. ઠેરઠેર ગાયો છોડવા મામલે સંચાલકોની અટકાયત કરાઇ હતી. ગૌ પ્રેમીઓ રોષે ભરાતા હાઇવે પર પહોંચ્યા હતા.
ડીસા અને સુઈગામમાં ગૌપ્રેમીએ કર્યો વિરોધ, વિરોધ કરી રહેલા સંચાલકોની અટકાયત
સહાય મળતા ગૌશાળા-પાંજરાપોળના સંચાલકો અને ગૌપ્રેમીઓએ અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. સંચાલકો ભીખ માંગવા રોડ પર નિકળ્યા હતા. તો બીજી તરફ સુઇગામમાં પણ ગૌભક્તોએ વિરોધ નોંધાવ્યો હતો. સુઇગામની સરકારી કચેરીમાં ગાયો છોડીને વિરોધ નોંધાવ્યો હતો. જે મામલે સુઇગામ પોલીસે ગૌભક્તોની અટકાયત કરી છે. તો બીજી તરફ ડીસાના એલિવેટેડ બ્રિજ પર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ રસ્તા વચ્ચે જ ટાયર સળગાવી વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરી રહેલા 10થી વધુ સંચાલકોની પોલીસે અટકાયત કરી હતી. ડીસા નેશનલ હાઇવે પોલીસે ખુલ્લો કરાયો હતો.
ડીસામાં મંત્રી કીર્તિસિંહ વાઘેલાની ગાડી રોકી કરાયો વિરોધ
ગૌ પ્રેમીઓ દ્ધારા મંત્રી કીર્તિસિંહ વાઘેલાની ગાડી રોકી વિરોધ કરાયો હતો. આ દરમિયાન પોલીસ અને ગૌપ્રેમીઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ડીસામાં જલારામ મંદિર પાસે મંત્રીની ગાડી આગળ બેસી વિરોધ નોંધાવ્યો હતો.
સરકાર ગૌ માતાના નામે ચૂંટણી જીતી, હવે ભૂલી ગઈ : અમિત ચાવડા
આ મામલે વિપક્ષ દ્વારા રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. વડોદરામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું કે, ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકો આંદોલન કરી રહ્યા છે. સરકાર ગૌ માતાના નામે ચૂંટણી જીતી હવે ભૂલી ગઈ છે. લમ્પી વાયરસથી હજારો ગાયોના મોત થયા છે. સરકાર કોઇ યોગ્ય વ્યવસ્થા નથી કરી રહી.
ગઇકાલે ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારમાં સંપૂર્ણ બંધ પળાયું
રાજ્યમાં એક તરફ ઢોર નિયંત્રણ કાયદાના વિરોધમાં આજે માલધારીઓઓ દૂધબંધી કરી દીધી હતી તો બીજી તરફ માલધારીઓ દ્વારા હવે ગૌમાતા સહાયની જાહેરાતના અમલ માટે માગણી પ્રબળ બનાવી દેવાઈ છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠાના, પાટણ અને થરાદ અને ડિસામાં ખુબ જ રોષ જોવા મળી રહ્યો છે. અહીં ગૌભક્તો દ્વારા સંપૂર્ણ બંધનું એલાન અપાયું હતું જેને વિવિધ સંગઠનોનો જબરો પ્રતિસાદ સાંપડ્યો હતો.
ગઇકાલે ગૌશાળાને સહાયના વિરોધમાં રાધનપુર સાંતલપુર તેમજ વારાહી રહ્યું સજ્જડ બંધ રહ્યું હતું. વિવિધ વેપારી એસોસિએશનોએ બંધને ટેકો આપ્યો હતો. તો બીજી તરફ બંધના એલાનને લઇ થરાદ વહેલી સવારથી બંધ રહ્યું હતું. વેપારીઓએ ગૌમાતાના લાભાર્થે પણ થરાદ બંધને સમર્થન આપ્યું હતું.
ત્યારે ગૌશાળાના નિભાવમાં સરકારની ઉપેક્ષાના વિરોધમાં ડીસામાં પણ શહેરના મોટા ભાગના વેપારી એસોસિએશનએ બંધને ટેકો જાહેર કર્યો હતો. આથી સમગ્ર શહેરના બજારો સજ્જડ બંધ રહ્યા હતા. ડીસામાં ગૌશાળા પાંજરાપોળ સંચાલકો સહિત ગૌ પ્રેમીઓએ રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. ગઇકાલે ડીસામાં મોટાભાગના વેપારી એસોસિએશને બંધને ટેકો જાહેર કરતા સમગ્ર શહેરના બજારો બંધ રહ્યા હતા.
શું છે મામલો અને શા માટે થઇ રહ્યો છે વિરોધ ?
આપને જણાવી દઈએ કે, છ મહિનના અગાઉ રાજ્ય સરકાર દ્વારા ગૌશાળા પાંજરાપોળોને રૂ. 500 કરોડની સહાયની જાહેરાત કરવામાં આવી હતી. આ સહાય જાહેર કર્યાના 6 મહિના થયા છતા પણ સહાય પેટે એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી. આવો આક્ષેપ બીજા કોઈ નહીં પરંતુ ખુદ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો કરી રહ્યા છે. જેને લઈને ઉત્તર ગુજરાતની તમામ ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ગઇકાલે ગૌમાતાઓના લાભાર્થે આજે બંધનું એલાન આપ્યું હતું. જોકે તેમ છતા કોઈ ઉકેલ ન આવતા આજ રોજ ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોએ ગાયોને છોડી મૂકી હતી. હવે ગૌભક્તો આગામી સમયમાં સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. ત્યારે ચૂંટણી પહેલા સરકાર ગૌશાળા માટે ફંડ રિલીઝ કરીને વિરોધને ઠારી શકે છે કે કેમ તે જોવું રહ્યું.
લમ્પી વાયરસને લીધે ગૌ શાળા પાંજરાપોળોનો ખર્ચ ડબલ થયો
રાજ્યમાં ઠેરઠેર લમ્પી વાયરસ કાળો કહેર વર્તાવી રહ્યો છે જેના કારણે ગૌ શાળા પાંજરાપોળોનો ખર્ચ પણ બમણો થઈ ગયો છે જેથી ગૌ વંશ મુશ્કેલીમાં છે. આવી ગંભીર પરિસ્થિતિમાં અમો ગૌશાળા અને પાંજરાપોળની સંચાલકો તે ગાયોને ભૂખથી તડપતી ગાયોના મૃત્યુનું પાપ અમારા શિરે લઇ શકીએ તેમ નથી. અને સરકાર દ્વારા કોઈ જ સહાય ન ચુકવાતા અમારે નાં છૂટકે ગૌશાળા અને પાંજરાપોળોને પોતાના પશુઓ છોડવાની ફરજ પડી રહી છે.