બિપોરજોય વાવાઝોડાની આગાહીને પગલે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. વાવાઝોડાને પગલે બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે. ત્યારે હાલ વાવાઝોડું પોરબંદરથી 810 કિમી દૂર છે.
બિપોરજોય વાવાઝોડાને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર
વાવાઝોડાની દિશા હજુ પણ બે દિવસ ગુજરાત તરફ રહેશે
3 દિવસ બાદ બદલાઈ શકે છે વાવાઝોડાની દિશા
બિપોરજોય વાવાઝોડાની આગાહીને લઈને વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે. ત્યારે હાલ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે. ત્યારે હજુ બે દિવસ વાવાઝોડાની દિશા ગુજરાત તરફ જ રહેશે. તેમજ આગામી 36 કલાક સતત વાવાઝોડું તીવ્ર બનશે. હજુ 3 દિવસ બાદ વાવાઝોડાની દિશા બદલાઈ શકે છે. હાલ વાવાઝોડું પોરબંદરથી 810 કિમી દૂર છે. જેનાથી બંગાળની ખાડીમાં વેલમાર્ક લો-પ્રેશર સર્જાયું છે.
દેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચક્રવાતી તોફાન 'બિપોરજોય'નો ખતરો મંડરાઈ રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાકમાં બિપરજોય વધુ ખતરનાક રૂપ ધારણ કરી શકે છે. આ વાવાઝોડાની અસર ગોવા, મુંબઈ, પોરબંદર અને કરાચીમાં જોવા મળી શકે છે. આ દરમિયાન અહીં ભારે પવન અને વરસાદ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં પણ વિવિધ ભાગોમાં બિપોરજોય વાવાઝોડાની અસર જોવા મળશે, સંભવિત વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે.
ભાવનગરમાં વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ
સંભવિત વાવાઝોડાને લઈને ભાવનગર તંત્ર એલર્ટ થયું છે. તમામ બોટોને બંદર પર પરત બોલાઈ લેવાઈ છે તેમજ ઘોઘા સહિતના બંદર પર હાલ દરિયો શાંત જોવા મળ્યો છે. વાવાઝોડાની સ્થિતિ સામે તંત્ર તૈયારી દર્શાવી છે.
સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરાશે
પાછલા વર્ષો દરમિયાન આવેલા દરિયાઈ વાવાઝોડાને કારણે સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના મૂળ દ્વારકા ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે મૂળ દ્વારકા બંદર તરીકે પણ જાણીતું છે ત્યારે અહીં મોટાભાગની વસ્તી માછીમાર સમાજની છે જેને કારણે સંભવિત વાવાઝોડા થી તેમની મહામૂલી બોટને પણ નુકસાન થવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે જો સંભવિત વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયા કાંઠા પર ત્રાટકે તો મૂળ દ્વારકા બંદર અને ગામમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થશે તેનો ભય ગામ લોકોને મૂંઝવી રહ્યો છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ સંભવિત વાવાઝોડાને લઈને એક્શન પ્લાન ઘડી કાઢવામાં આવ્યો છે તે મુજબ દરિયાઈ વિસ્તારમાં રહેતા ગામ લોકોને વાવાઝોડું દરિયાઈ વિસ્તારમાં સ્પર્શવાની સાથે જ તેમને સ્થળાંતર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે તેવી જિલ્લા કલેકટરે માહિતી આપી છે.
જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કર્યા
આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના અને તારાપુર તાલુકા 15 જેટલા ગામોને બિપોરજોય વાવાઝોડાની આગાહીના પગલે સાવધાન કરવામાં આવ્યા છે, આ સાથે વહીવટી તંત્ર પણ સતર્ક બન્યું છે, ખંભાત તાલુકાના ભાલ વિસ્તારના દરિયા કિનારે આવેલ ગ્રામીણ વિસ્તારને ધ્યાનમાં લઇ આણંદ જિલ્લા વહીવટી તંત્રએ જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ શરુ કર્યા છે.