બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
બહુ જ જાણીતી પંક્તિઓ છે કે,'મંઝિલ ઉન્હી કો મિલતી હૈ, જિનકે સપનો મેં જાન હોતી હૈ, પંખો સે કુછ નહીં હોતા, હોંસલો સે ઉડાન હોતી હૈ.' આપણે બધાએ આ પંક્તિ અઢળક વખત સાંભળી હશે, પરંતુ આ પંક્તિઓને ખરેખર જીવી રહ્યા છે અને જીવીને સાચી કરી બતાવી છે વિશ્વના નંબર વન તીરંદાજ શીતલદેવીએ. જેમ તમે હેડલાઈનમાં વાંચ્યુ તેમ શીતલદેવીને હાથ નથી, પરંતુ તેમ છતાંય તેઓ નંબર વન તીરંદાજ છે. કેવી રીતે? તો એ જાણવા માટે શીતલદેવીની આખી સફર જાણવી જરૂરી છે.
શીતલદેવીની લાઈફ જબરજસ્ત ધીરજ અને દ્રઢ સંકલ્પનો પર્યાય છે. પરંતુ અફસોસની વાત એ છે કે KBCમાં આવતા પહેલા તેમને દેશના ખૂબ જ ઓછા લોકો જાણતા હતા. આ આપણું દુર્ભાગ્ય છે કે જે ખેલાડી વિશ્વસ્તરે ભારતને ગૌરવાન્વિત કરે છે, દેશનું નામ રોશન કરે છે, તેના વિશે ખૂબ ઓછા લોકોને ખ્યાલ છે. શીતલ દેવી એશિયાઈ પેરા ઓલોમ્પિકમાં બે ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીતી ચૂક્યા છે, અને સાથે જ તેઓ વિશ્વના નંબર 1 તીરંદાજ છે.
ADVERTISEMENT
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડના અંતરિયાળ ગામ લોઈધરમાંથી આવતા શીતલદેવીની ઉંમર માત્ર 16 વર્ષની છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે શીતલદેવીએ તીરંદાજીની શરૂઆત માત્ર 15 વર્ષની ઉંમરે કરી છે. એટલે કે એક વર્ષની ટ્રેનિંગમાં જ તેઓ ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે સફળતા અપાવી રહ્યા છે. શીતલદેવી ફોકોમેલિયા નામની બીમારીથી પીડિત છે. આ બીમારીને કારણે તેમને જન્મથી જ બે હાથ નથી. આમ તો આપણે બીમાર પણ પડીએ તો કોઈના પર આધારિત થઈ જઈએ છીએ, પરંતુ શીતલદેવીએ આવી સ્થિતિમાં જ તીરંદાજીની ગેમ જેમાં તીર ચલાવવા માટે તાકાતની જરૂર પડે છે, તેવી ગેમમાં મેડલ્સ જીત્યા છે.
શીતલદેવી બાળપણમાં રમતા રમતા પોતાના ઘરની આસપાસ રહેલા ઝાડ પર ચડતા હતા, જેને કારણે તેમના ધડની ક્ષમતા વધી છે. પરંતુ માત્ર આટલું કાફી નહોતું. તીરંદાજી કરવા માટે હજી ઘણી બાબતો મહત્વની છે. 2021માં ભારતીય સૈન્ય દ્વારા આયોજિત સ્થાનિક ગેમ્સમાં જ્યારે તેમણે તીરંદાજી કરી, ત્યારે તેમને પગથી તીરંદાજી કરતા જોઈને હાજર બધા જ ચોંકી ઉઠ્યા હતા. જે બાદ તેમને કૃત્રિમ હાથ લગાવવાની પણ કોશિશ કરવામાં આવી. પરંતુ ટેક્નિકલી આ શક્ય ન બન્યું. પરંતુ શીતલે હિંમત ન હારી અને કટરામાં શ્રાઈન બોર્ડ સ્પોર્ટ્સ કોમ્પલેક્સમાં આગળની ટ્રેનિંગ શરૂ કરી.
ADVERTISEMENT
ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ શીતલના કોચ અભિલાષા ચૌધરી અને કુલદીપ વેદવાને અન્ય એક પેરા એથ્લિટ સ્ટ્રટ્ઝમેનની ટેક્નિક પરથી પ્રેરણા લીધી અને શીતલના ખભા એક રિલીઝર લગાવવામાં આવ્યું. જે તીરંદાજી માટે પણછને ખેંચવામાં શીતલને મદદ કરે છે. જો કે હાથ વગર માત્ર ખભા અને ગરદનથી પણછ ખેંચવી ખૂબ જ મુશ્કેલ કામ છે. આ માટે શીતલદેવીએ પહેલા દિવસમાં 50 એરો મારવાની શરૂ કરી અને છ મહિના બાદ સોનીપતમાં યોજાયેલા પેરા ઓપન નેશનલ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતીને પોતાની સફલતાની શરૂઆત કરી. બાદમાં તો શીતલદેવીએ મેડલનો જાણે વરસાદ કરી દીધો. એટલે સુધી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમની સફળતા અંગે ટ્વિટ કરીને વખાણ કર્યા હતા.
શીતલદેવીના જુસ્સાએ તેમને સફળ તો બનાવ્યા જ છે, સાથે જ તેમના ગામને પણ ફાયદો કરાવ્યો છે. લોઈધર ગામમાં હજી કેટલાક દિવસો પહેલા બસ પણ નહોતી પહોંચતી હવે અહીં શીતલદેવીના નામે બસસ્ટેન્ડ છે. ગામની સ્કૂલનું નામ પણ શીતલદેવીના નામ પરથી રાખવામાં આવ્યું છે. વિપરિત પરિસ્થિતિમાં માત્ર પોતાના જુસ્સાથી જગ જીતી જનાર શીતલદેવીને આ દેશે આપેલું નાનકડું સન્માન છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.