25 જાન્યુઆરીના રોજ, દેશભરમાં રીલીઝ થનાર શાહરુખ ખાનની પઠાન ફિલ્મને લઈને ગુજરાતમાં VHPએ વિરોધ ન કરવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતનાં થિયેટરોમાં રીલીઝ થશે પઠાન
હિન્દુ સંગઠનો દ્વારા નહીં કરવામાં આવે વિરોધ
VHPના ગુજરાતના ક્ષેત્રમંત્રી દ્વારા કરવામાં આવ્યું એલાન
લોકો પોતાની વિવેક બુદ્ધિ વાપરી ફિલ્મ જોવા જાય: VHP
ફિલ્મમાંથી દ્રશ્યો દૂર કરવામાં આવ્યા હોવાથી લેવામાં આવ્યો નિર્ણય
બોલિવૂડમાં કિંગ ખાન તરીકે જાણીતા શાહરુખ ખાનની ફિલ્મ પઠાનને લઈને ગુજરાત સહિત દેશભરમાં ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, બૉયકોટ બોલિવૂડના નારા સાથે આ વિરોધ કરવામાં આવી રહ્યો હતો ત્યારે ફિલ્મની રીલીઝના એક દિવસ પહેલા જ VHP દ્વારા વિરોધ પાછો ખેંચી લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
બોલ્ડ સીન હટાવી દેવામાં આવ્યા છે: VHP
પઠાન ફિલ્મની રીલીઝ મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ ( VHP ) ગુજરાત ક્ષેત્ર મંત્રીએ VTV સાથે ખાસ વાતચીત કરી હતી, અશોક રાવલે જણાવ્યું હતું કે પઠાન ફિલ્મમાં ઘણા વાંધાજનક અશ્લીલ દ્રશ્યો હતા, જેને લઈ અમારો વિરોધ હતો કે આવી ફિલ્મ રજૂ ન થવી જોઈએ. પરંતુ સમગ્ર હિન્દુ સમાજની માંગને ધ્યાને લઈ સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મમાં 40 થી 45 જેટલા વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવ્યા છે. જેને લઈ આવતીકાલે રીલીઝ થનાર ફિલ્મનો હવે કોઈ વિરોધ નથી, ફિલ્મમાં કપડાના કલર અને મોટા ભાગે બોલ્ડ સીન દૂર કરી દેવામાં આવ્યા છે. લોકો પણ સામાન્ય વિવેકબુદ્ધિ વાપરી ફિલ્મ જોવા જાય, અને સેન્સર બોર્ડને ટકોર કરવામાં આવી છે કે આવા સીન પહેલેથી જ દૂર કરી દેવા જોઈએ, ભવિષ્યમાં પણ ફરી આવું ન થાય તેનું ધ્યાન રાખવા સેન્સર બોર્ડને રજૂઆત પણ કરવામાં આવી છે. સેન્સર બોર્ડના નિર્ણયને લઈ સમગ્ર હિન્દુવાદની જીત છે.
હાલમાં જ આસામના CMએ પણ પઠાન ફિલ્મને સુરક્ષા આપવાનું એલાન કર્યું હતું
દેશના અનેક રાજ્યોમાં એક સાથે હિન્દુ સંગઠનો દ્વારા પઠાનનો વિરોધ કરવામાં આવ્યો હતો, અનેક ફાયરબ્રાન્ડ નેતાઓ તથા સંતો દ્વારા આ મુદ્દે નિવેદનો આપવામાં આવ્યા હતા. આસામમાં પણ વિરોધને લઈને જ્યારે આસામના મુખ્યમંત્રી હિમ્નતા બિસ્વા સરમાને સવાલ કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું હતું કે કોણ શાહરુખ ખાન? હું નથી ઓળખતો. બાદમાં બીજા દિવસે તેમણે જ ટ્વિટ કરીને માહિતી આપી કે શાહરુખ ખાને રાતે બે વાગ્યે ફિલ્મના વિરોધને લઈને ફોન પર ચિંતા વ્યક્ત કરી છે, હું કાયદો અને વ્યવસ્થાને લઈને આશ્વાસન આપું છું.
હર્ષ સંઘવી સાથે મુલાકાત કરવા ગયા હતા ગુજરાતનાં થિયેટર માલિકો
નોંધનીય છે કે ગુજરાતમાં ભારે વિરોધને જોતાં ગુજરાતનાં થિયેટર માલિકો પણ કાયદો અને વ્યવસ્થાને લઈને ગુજરાતનાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક કરવા ગયા હતા અને તે સમયે પણ સંઘવી દ્વારા તમામ લોકોને સુરક્ષાનું આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું.
PM મોદીએ નેતાઓને કરી હતી ટકોર
નોંધનીય છે કે દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કારોબારો દરમિયાન પણ દેશના વડાપ્રધાન મોદી દ્વારા ભાજપના નેતાઓને ટકોર કરવામાં આવી હતી કે બોલિવૂડની તમામ ફિલ્મો પર કોમેન્ટ કરવી જરૂરી છે? આ ટકોરની અસર પણ ભાજપના મોટા ગજાના નેતાઑ પર પડી હતી.
યોગી આદિત્યનાથને સુનિલ શેટ્ટીએ કરી હતી અપીલ
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ જ્યારે મુંબઈના પ્રવાસે ગયા ત્યારે તેમણે બોલિવૂડના અનેક કલાકારો સાથે મુલાકાત કરી હતી, આ મીટિંગ દરમિયાન અભિનેતા સુનિલ શેટ્ટીએ યોગીને અપીલ કરી હતી કે બોલિવૂડના તમામ એક્ટર ખરાબ નથી હોતા. બધા ડ્રગ્સ નથી લઈ રહ્યા, બૉયકોટ બોલિવૂડ બંધ થવું જોઈએ. આટલું જ નહીં સુનિલ શેટ્ટીએ કહ્યું હતું કે તમે PM મોદીને પણ આ સંદેશ પહોંચડો.
શું હતો સમગ્ર વિવાદ?
નોંધનીય છે કે સૌથી પહેલા પઠાન ફિલ્મનું પહેલું ગીત બેશરમ રંગ જ્યારે રીલીઝ કરવામાં આવી ત્યારે અભિનેત્રી દિપીકા પાદુકોણની બિકિનીના રંગને લઈને વિવાદ ભડક્યો હતો. લોકોએ કહ્યું હતું કે જાણી જોઈને બિકિનીનો રંગ ભગવો રાખવામાં આવ્યો છે અને તે હિન્દુ ધર્મનું અપમાન છે. જોકે આ પહેલેથી જ ટ્વિટર સહિતના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર પઠાનનો બૉયકોટ કરાશે તેવા હેશટેગ ટ્રેન્ડ કરાવવામાં આવ્યા હતા, આમિર ખાનની ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફ્લોપ ગઈ તે બાદથી જ લોકો કહી રહ્યા હતા કે હવે શાહરુખ ખાનની ફિલ્મ ફ્લોપ કરાવવામાં આવશે.