ગુજરાત કેડરના IAS અધિકારીઓને દિવાળીમાં ખુશખબર મળી શકે છે જેમાં 2005ની બેચના અધિકારીઓનું સેક્રેટરી લેવલ પર પદોન્નતિ (પ્રમોશન)ની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ છે અને હવે ટૂંક જ સમયમાં આદેશ આવે તેવી શક્યતા છે.
2005ની બેચના IAS અધિકારીઓને પ્રમોશન
DPC દ્વારા પ્રમોશનને લગતી પ્રક્રિયા પૂર્ણ કરાઈ : સૂત્ર
પેટાચૂંટણી બાદ નવેમ્બર મહિનામાં આદેશ આવશે : સૂત્ર
સૂત્રો અનુસાર વિવિધ અધિકારીઓને પ્રમોશન આપવાની પ્રક્રિયા DPC ( Departmental Promotion Committee ) દ્વારા સંપૂર્ણ કરી દેવામાં આવી છે અને નામો પણ નક્કી કરી દેવાયા છે. આ બેચમાં નવ અધિકારીઓ છે જેમાંથી બે અધિકારીઓ GAS કેડરમાંથી પ્રમોટ થયેલા છે.
કયા અધિકારીઓને પ્રમોશન ?
આ બેચમાં સુરત મ્યુનિસિપલ કમિશનર બંછા નિધિ પાની ટોપ પર છે જ્યારે તેમના પછી હર્ષદ પટેલનું નામ આવે છે જે ગુજરાત રાજ્ય ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઑથોરીટીના CEO છે અને રીલીફ કમિશ્નર પણ છે.
આ સિવાય આ લિસ્ટમાં અમદાવાદના પૂર્વ કલેકટર અને હાલમાં કેન્દ્રમાં કામ કરી રહેલા વિક્રાંત પાંડે, સર્વ શિક્ષા અભિયાનમાં સ્ટેટ પ્રોજેક્ટ ડાયરેક્ટર પી. ભારતી, MSME (Micro Small and Medium Enterprises)ના કમિશ્નર રણજીત કુમાર, વડોદરાના કલેકટર શાલીની અગ્રવાલ અને વધુ એક અમદાવાદના પૂર્વ કલેકટર અને હાલમાં ગૃહ વિભાગના એડીશનલ સેક્રેટરી કેકે નિરાલા પણ 2005ની બેચના અધિકારી છે.
આ સિવાય આ બેચમાં મહેસાણાના કલેકટર HK પટેલ તથા જામનગરના મ્યુનિસિપલ કમિશ્નર સતીશ પટેલનો પણ સમાવેશ થાય છે. આ બેચમાંથી જેમને પ્રમોશન અપાઈ રહ્યું છે તેમાં વધુ એક અધિકારી મનોજ કોઠારીનું નામ પણ સામેલ છે, તેઓ હાલમાં નર્મદા કલેકટર પદથી નિવૃત્ત થયા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર DPC દ્વારા 2005ની બેચના અધિકારીઓને પ્રમોશન આપવાના આદેશને લગતી બધી જ કાર્યવાહી કરી લેવામાં આવી છે. આ અધિકારીઓને પ્રમોશન મળ્યા બાદ વડોદરાના કલેકટર શાલીની અગ્રવાલ અને મહેસાણાના કલેકટર એચકે પટેલે પોતાના પદ પરથી અન્ય પદ પર જવું પડશે.
પેટાચૂંટણી બાદ થશે બદલી-બઢતી
સામાન્ય બદલીઓને લઈને ઘણા સમયથી રાહ જોવાઈ રહી છે ત્યારે પ્રમોશનના આદેશ પણ પેટાચૂંટણી સમાપ્ત થાય તે બાદ નવેમ્બર મહિનામાં જ આ બદલીઓના આદેશની સાથે જ આવી શકે છે.