15 હજારના રમકડાં રમતો ચાંદબાબુના દીકરાને પણ RTEનું એડમિશન
અમદાવાદની શાળાઓમાં VTVના મેગા ઓપરેશનમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં RTE અંતર્ગત ખોટા દસ્તાવેજોના આધારે પૈસાદાર વાલીઓએ પોતાના બાળકોને સ્કૂલમાં એડમિશન અપાવ્યા હોવાનું સામે આવ્યું છે. અમીરો કેવી રીતે RTE અંતર્ગત પ્રવેશમાં ગોલમાલ કરી રહ્યાં છે તેનો ચોંકાવનારો ખુલાસો સ્ટિંગ ઓપરેશનમાં VTVએ કર્યો છે.
ગુજરાતી પ્રજા હંમેશા દાનવીર રહી છે અને લોકોને કંઈક ને કંઇક નવું આપવાનું વિચારતી હોય છે પરંતુ જ્યારે સરકારી સ્કીમનો લાભ આવે ત્યારે કેટલાંક લોકો કઈ રીતે સરકારી સ્કીમ તેઓને લાગુ પડતી નથી અને ખોટા પુરાવા ઊભા કરીને તેઓ લાભ લેવા પહોંચી જાય છે. ત્યારે VTVએ કેટલાંક વાલીઓના RTEમાં લીધેલા એડમિશન ચકાસ્યા અને ડોક્યુમેન્ટ એનાલિસ્ટની મદદ લીધી તો સામે ચોંકાવનારી વિગતો આવી છે. ત્યારે આ વાલીઓએ RTE હેઠળ એડમિશનમાં શું કૌભાંડ કર્યા છે તે જોઇએ...
કેવી રીતે થયો ખુલાસો?
અમારી ટીમે અને અલગ-અલગ સ્કૂલો પર RTE અંતર્ગત અપાતા ડોક્યુમેન્ટની ચકાસણી કરી.તપાસ કર્યા બાદ અનેક લોકોએ ખોટા દસ્તાવેજ રજૂ કરી એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.અમારી ટીમે ડોક્યુમેન્ટ વેરીફાઈ કરીને તે વાલીઓનો સંપર્ક કર્યો અને ખોટા એડમિશન લીધા હોવાનું બહાર આવ્યું છે.આ તમામ લોકોનું RTE ફોર્મ અને આવકના સ્ત્રોતની સરખામણી કરતા પોલ બહાર આવી હતી.
અમીર વાલીઓની 'ગરીબ' આવક એકસરખી
ખાનગી શાળામાં ગરીબોની યોજનામાં લાભ લેવા અનેક લોકો મથામણ કરી રહ્યાં હોય છે. ત્યારે અમદાવાદના એક વાલી ઐયાશ અહેમદ કાઝી એરપોર્ટ પર જોબ કરે છે અને તેઓએ 13 હજાર પગાર દર્શાવ્યો છે. પરંતુ તેમને તો પોતાનું મકાન પણ છે અને તેમના ઘરમાં અનેક પ્રકારની સુખ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. પરંતુ અહીંયા મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે જો ઐયાશનો પગાર 13 હજાર હોય તો તે લાખોનું રિટર્ન કેવી રીતે ભરે છે?
ત્યારે VTVના સ્ટિંગ ઓપરેશનમાં તપાસ દરમ્યાન સામે આવ્યું કે, ઐયાશ અહેમદ કાઝી અઢી લાખનું રિટર્ન ભરે છે પરંતુ તેઓએ પોતાના આવકના દાખલામાં પોતાના ઘરની આવક માત્ર દોઢ લાખ બતાવી છે. વાલી લાખોનું રિટર્ન ભરે છે છતાં 13 હજારનો પગાર દર્શાવી ગરીબ સાથે સરખામણી કરી ખોટી રીતે પોતાના બાળકનું RTE હેઠળ એડમિશન કરાવી રહ્યાં છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2022
ઘરે બાળકને રમવા માટે છે 10થી 15 હજારની મોંઘી ગાડી
અહીં બીજા એક વાલીની જો વાત કરીએ તો અંશારી ચાંદબાબુએ ખોટા દસ્તાવેજના આધારે સ્કૂલમાં RTE અંતર્ગત એડમિશન લીધું છે. તેમની પાસે પોતાનું ઘર, વ્હીકલ, ફ્રીજ સહિતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. માત્ર કહેવાતા ગરીબ માણસના ઘરે બાળકને રમવા માટે 10થી 15 હજારની તો મોંઘી ગાડી છે છતાં તેઓ કહી રહ્યાં છે કે અમે ગરીબ છીએ.
આવકના દાખલા મિલીભગતને કારણે બેફામ અપાયા?
શાળાઓમાં ખોટી રીતે RTE હેઠળ એડમિશન મેળવતા પૈસાદાર વાલીઓને આખરે કેવી રીતે ઓછી આવકવાળા દાખલા પુરા પાડવામાં આવે છે. શું તેમાં કોઇની મિલીભગત છે કે પછી તંત્ર પણ તેનાથી અજાણ છે? શું આ વાલીઓએ ખોટા દસ્તાવેજો રજૂ કરીને ઓછી આવકવાળા દાખલા મેળવ્યાં છે કે કેમ જેવાં અનેક સવાલો અહીં ઊભા થાય છે.
આમ, તો શાળા સંચાલકો આ તમામ વાતથી અજાણ હોય છે અને ખોટા પુરાવા રજૂ કરનારને તેઓ ઓળખી શકતા નથી. પરંતુ તેઓ પણ આ પ્રકારે ખોટું કરનારા સામે કાર્યવાહી થાય તેવી આશા સેવી રહ્યાં છે. જો કે અમુક શાળા સંચાલકો પણ આ વાત જાણતા હોય તેવાં પણ આક્ષેપો થઈ રહ્યાં છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) May 23, 2022
DEOની કામગીરી પર સૌથી મોટો સવાલ
તમને જણાવી દઇએ કે, અમદાવાદની અનેક સ્કૂલો એવી છે કે જેઓને RTEમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓના વાલીઓ સાચા છે કે ખોટા તે ચેક કરાવવા માટે ડોક્યુમેન્ટ એનાલિસ્ટ એજન્સીને કામ આપતી હોય છે. ખરેખર તો આ કામ DEO કે સરકારે કરવાનું હોય છે પરંતુ DEO પોતાની ફરજ ચૂકી રહ્યાં હોવાથી સ્કૂલોએ આ કામગીરી જાતે કરવી પડે છે. જેમાંથી અનેક વિગતો અમારી ટીમના હાથે લાગી છે અને આ વિગતોમાં ખરેખર આવકના દાખલા કરતા વધુ આવક ધરાવતા વાલીઓ સામે આવ્યા છે.