સ્વામી વિવેકાનંદના ગુરુ દક્ષિણેશ્વરના ઠાકુર શ્રી રામકૃષ્ણ પરમહંસ ભારત દેશના મહાન સંત અને વિચારક હતા. એમને બાળપણથી જ વિશ્વાસ હતો કે ઇશ્વરનો સાક્ષાત્કાર(દર્શન) થઇ શકે છે. આમ, ઇશ્વરની પ્રાપ્તિ માટે એમણે કઠોર સાધના અને ભક્તિમાં જીવન વિતાવ્યું. રામકૃષ્ણ પરમહંસ માનવતાના પુજારી હતા. સાધનાના ફલસ્વરૂપે તેઓ એ નિષ્કર્ષ પર પહોંચ્યા કે સંસારના બધા જ ધર્મો સાચા છે અને એમાં કોઇ ભિન્નતા નથી. ધર્મ એ ઇશ્વર સુધી પહોંચવાના અલગ અલગ રસ્તાઓ છે.
રામકૃષ્ણ પરમહંસનો જન્મ ફેબ્રુઆરી ૧૮, ૧૮૩૬ના દિને બંગાળમાં થયો હતો. એમનું બાળપણનું નામ ગદાધર હતું. સાત વર્ષની નાની વયમાં જ ગદાધરના શિરેથી પિતાનું છત્ર હટી ગયું હતું. આવી વિપરીત પરિસ્થિતિમાં આખા પરિવારનું ભરણપોષણ કપરું થતું ચાલ્યું. આર્થિક કઠિનાઇઓ પણ આવી, છતાં બાળક ગદાધરનું સાહસ ઓછું ન થયું. એમના મોટાભાઈ રામકુમાર ચટ્ટોપાધ્યાય કલકત્તા (કોલકાતા)માં એક પાઠશાળાના સંચાલક હતા. તેઓ ગદાધરને પોતાની સાથે કોલકાતા લઇ ગયા. રામકૃષ્ણનું આંતરમન અત્યંત નિર્મળ, છલના વગરનું અને વિનયશીલ હતું. સંકીર્ણતાઓથી તેઓ જોજનો દૂર હતા. પોતાનાં કાર્યોમાં જ રચ્યાપચ્યા રહેતા હતા.
રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક છે
સતત પ્રયત્નો કરવા છતાં પણ રામકૃષ્ણનું મન અભ્યાસમાં લાગી શક્યું નહીં. કોલકાતા નજીક દક્ષિણેશ્વર સ્થિત કાલીમાતાના મંદિરના અગ્રણી રામકુમારે એમને પુરોહિત તરીકેની જવાબદારી સોંપી, પણ એ કાર્યમાં પણ એમનો જીવ લાગ્યો નહીં. સમય આગળ જતાં એમના મોટાભાઈ પણ દુનિયા છોડી ચાલ્યા ગયા. અંતરમાંથી ઇચ્છા ન હોવા છતાં રામકૃષ્ણજી મંદિરની પૂજા તેમ જ અર્ચના કરવા લાગ્યા હતા. આમ રામકૃષ્ણજી કાલીમાતાના આરાધક બની ગયા.
વીસ વરસની ઉંમરે અવિરત સાધના કરતાં કરતાં માતાની કૃપાથી એમને પરમ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. એમના પ્રિય શિષ્ય વિવેકાનંદજીએ એક વાર એમને પૂછ્યું – મહાશય! શું આપે ઇશ્વરને જોયા છે? મહાન સાધક રામકૃષ્ણે જવાબ આપ્યો – હા, જોયા છે, જે રીતે તમને જોઇ રહ્યો છું, ઠીક એ જ રીતે નહીં પણ એનાથી ક્યાંય વધુ સ્પષ્ટતાથી. તેઓ સ્વયંની અનુભૂતિથી ઇશ્વરના અસ્તિત્વનો વિશ્વાસ કરાવતા હતા. આધ્યાત્મિક સત્ય, જ્ઞાનના પ્રખર તેજ વડે રામકૃષ્ણ પરમહંસજી ભક્તિ જ્ઞાનના પથ-પ્રદર્શક બન્યા હતા. કાલી માતાની ભક્તિમાં તરબોળ થઈ તેઓ ભક્તોને માનવતાનો પાઠ ભણાવતા હતા.
રામકૃષ્ણ પરમહંસજીના શિષ્ય નાગ મહાશયે ગંગાતટ પર જ્યારે બે વ્યક્તિઓને રામકૃષ્ણજી માટે અપશબ્દો બોલતા સાંભળ્યા તો ક્રોધિત થયા પરંતુ પ્રભુને પ્રાર્થના કરી કે એમના મનમાં શ્રદ્ધા જગાવી રામકૃષ્ણજીના ભક્ત બનાવી દો. સાચી ભક્તિને કારણે બંને વ્યક્તિઓ સાંજે રામકૃષ્ણજીના ચરણોમાં પડી ક્ષમા માંગવા લાગ્યા હતા. રામકૃષ્ણજીએ એમને ક્ષમા આપી હતી. એક દિવસ પરમહંસજીએ આમળાં માગ્યાં. આ સમયે આમળાંની ઋતુ તો હતી નહીં. નાગ મહાશયને શોધતાં શોધતાં જંગલમાં એક વૃક્ષની નીચે આમળાં જોવા મળ્યાં, જે તેમણે પરમહંસજીને આપ્યાં. રામકૃષ્ણજી બોલ્યા – તું જ લઇ આવશે એની મને ખાતરી હતી, કેમ કે તારો વિશ્વાસ સાચો હતો.