ગુજરાત રાજ્યમાં કોરોનાના વધતા કહેર વચ્ચે નવા નવા ભાજપ પ્રદેશ પ્રમુખ બનેલા સી આર પાટીલ ઉમંગભેર ગુજરાત રાજ્યમાં રેલીઓ યોજી રહ્યા હતા.
આ રેલીઓમાં સોશ્યલ ડિસ્ટન્સિંગની ઐસી તૈસી થવા બાબતે પણ મીડિયા દ્વારા ગંભીર નોંધ લેવાઈ હોવા છતાં સી આર પાટીલ બિન્ધાસ્ત રેલીઓ પર રેલીઓ યોજી રહ્યા હતા. પોતાની શક્તિ પ્રદર્શનમાં વ્યસ્ત પાટીલ છેક હવે કોરોનાથી અટક્યા છે. એવામાં એવી શંકા સેવાઈ રહી છે કે તેમણે સેંકડો લોકોને સંક્રમિત કર્યા હોય તેવું બની શકે.
આજે તેમનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે
એપોલો હોસ્પિટલમાં ગઇકાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જેમાં તેમનો એન્ટિજન રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જ્યારે આજે તેમનો RT PCR ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. જેને લઇને ભાજપ અને પાટીલના આગામી દિવસોના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. તો બીજી તરફ તેના સંપર્કમાં આવેલા નેતાઓ ચિંતામાં મુકાયા છે.
હાલમાં જ કમલમ્ કાર્યાલયમાં કુલ 6 લોકો પણ પોઝિટિવ આવ્યા
એવામાં તેમની જૂનાગઢની રેલીમાં ગરબે ઘુમતા સુરતના મજૂરાના ધારાસભ્ય હર્ષ સંઘવી કોરોના પોઝિટિવ નોંધાયા બાદ ભાજપના પ્રવક્તા ભરત પંડ્યા પણ કોરોના પોઝિટિવ આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તમામ રેલીઓમાં ભરત પંડ્યા C R પાટીલની સાથે જ રહ્યાં હતાં. આ ઉપરાંત હાલમાં જ કમલમ્ કાર્યાલયમાં કુલ 6 લોકો પણ પોઝિટિવ આવ્યા છે. જેથી કહી શકાય કે કમલમ પણ માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન બની ગયું છે. ત્યારે સવાલ એ થાય છે કે શું હવે ગુજરાત સરકાર કમલમને માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરશે કે નહીં.
નિયમ મુજબ કમલમને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવું જરૂરી
એવી ચર્ચા થઇ રહી છે કે પાટીલ જે રીતે કમલમમાં બેઠકો યોજી રહ્યા હતા અને જે રીતે સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો અભાવ જોવા મળતો હતો તે પ્રમાણે કમલમમાં હાજર ઘણા વધુ પ્રમાણમાં લોકો પોઝિટિવ હોવાની શંકા છે. આ પ્રમાણે નિયમ મુજબ તો કમલમને માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરી દેવું જોઈએ. જો કે ગુજરાત સરકાર તેમના શાસક પક્ષના કાર્યાલય ઉપર શું પગલા લે છે તેની ઉપર સૌની નજર રહેલી છે.
સોશ્યલ મીડિયામાં ઉઠી હતી ચર્ચા
મહત્વનું છે કે જે રીતે કોરોનાકાળમાં ભાજપ પ્રદેશ પ્રમુખની રેલીઓ અવિરત યોજાઈ રહી હતી તે જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત હતું. આવામાં સોશ્યલ મીડિયા પર આ રેલીઓને લઈને ભારે ટીકા થઈ હતી અને ચર્ચાનું કેન્દ્ર પણ બન્યું હતું. લોકમુખે એવી ચર્ચા થઈ રહી હતી કે ગરબાના આયોજન માટે મંજૂરી ન મળે પરંતુ ભાજપના કાર્યકરોને ભીડ ભેગી કરીને ગરબા રમવા માટે કોઈ મંજૂરીની જરૂર નથી. બીજી બાજુ પાટીલ કોરોના પોઝિટિવ થયા બાદ એવી પણ ચર્ચા થઈ કે તેઓ શું કામ સરકારી હોસ્પિટલને બદલે એપોલો જેવી પ્રાઈવેટ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. પ્રજાને જ્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને હેલ્મેટ ન પહેરવા જેવી બાબતે દંડ ફટકારવામાં આવી રહ્યાં છે ત્યારે ગુજરાત સરકારે શા માટે ભાજપની રેલીઓ પર કોઈ કાર્યવાહી ન કરી તેની પણ સોશ્યલ મીડિયામાં માંગ ઉઠી હતી.
શું આ પ્રકારની બેદરકારી વ્યાજબી છે?
ફક્ત ગુજરાત કે ભારત નહીં પણ સમગ્ર વિશ્વ કોરોનાના સંકજામાં છે તેવા સમયે કેન્દ્ર સરકાર સોશ્યલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કરવાની અવિરત સૂચના આપી રહી છે. એવા સમયમાં રેલીઓ કાઢીને શક્તિ પ્રદર્શન કરતા સી આર પાટીલ લોકોને શું સંદેશો આપવા માંગે એવી ચર્ચા ઉઠી છે. પાટીલ પોતે જે સેંકડો લોકોના સંપર્કમાં આવ્યા હશે તેમનું કોન્ટેક્ટ ટ્રેસિંગ કેવી રીતે કરવું તે પણ એક સવાલ છે. શાસક પક્ષના પ્રદેશ પ્રમુખ તરીકે પાટીલ પોતે VIP સારવાર લઇ શકે છે પરંતુ તેમના લીધે કોરોના સંક્રમિત થયેલા લોકોની જવાબદારી કોણ લેશે તે એક ગંભીર સવાલ છે. જો આ લોકો કોઈ દર્દીઓ મોતને ભેટ્યા તો શું તેના માટે પાટીલ જવાબદાર હશે તેવી પણ ચર્ચા ઉઠી છે.
કોવિડના તમામ નિયમોની કરી હતી ઐસીતૈસી
ગુજરાતમાં આવનાર દિવસોમાં વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. ત્યાર હવે કોરોના સંકટ વચ્ચે પેટાચૂંટણી પહેલા તેઓ છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. આ અગાઉ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને મંત્રીઓ સાથે બેઠ કરી હતી. સ્વાગત કાર્યક્રમમાં ખોડલધામ અને મંદિરોના દર્શને ગયા, ગામડાઓના કાર્યકરો સાથે મુલાકાત કરી, મોટી સંખ્યામાં રેલીઓ યોજી, નેતાઓ ગરબે રમ્યા, સેલ્ફી અને ગૃપ ફોટો પણ પડાવ્યા. આ દરમિયાન સતત તેઓ અને નેતાઓ દ્વારા સરકારી ગાઇડલાઇનના લીરેલીરા ઉડતા જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગ તો ઠીક પરંતુ કેટલાય નેતાઓએ તો માસ્ક પણ નહોતા પહેર્યા. સભાઓ કરી તેમાં પણ 50 કે 100 નહીં પરંતુ હજારોની સંખ્યામાં લોકો જોવા મળ્યા હતા.
પાટીલની સાથે કાર્યકર્તાઓના ફોટો સેશન વખતે સામાજિક અંતરના ધજાગરા
પાટીલના કાર્યક્રમમાં પણ બેઠક વ્યવસ્થા દરમિયાન અને પાટીલની સાથે કાર્યકર્તાઓના ફોટો સેશન વખતે સામાજિક અંતરના ધજાગરા જોવા મળ્યા હતા. પરંતુ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે સરકારી ગાઈડલાઈન પ્રમાણે જ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોવાનું ગાણું ગાયું હતું.
રોજના 3 હજાર જેટલા કાર્યકરો સાથે ફોટો પડાવતા હતા પાટીલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ ગુજરાત પ્રવાસે હતા. રાજ્યના અનેક વિસ્તારોમાં તેઓ ફરી રહ્યા હતા. તેવામાં તેમની સાથે ટેકનોલોજીની ટીમ પણ સામેલ હતી. રાજ્યમાં પાટીલ મુલાકાત કરતા તમામ કાર્યકરો સાથે ફોટો પડાવતા હતા. કાર્યકરોને સી.આર. પાટીલ સાથેના ફોટાની ફ્રેમ આપવામાં આવે છે. રોજ અંદાજિત 3 હજાર જેટલા કાર્યકરો સાથે ફોટો પડાવતા હતા. તો QR કોડથી મોબાઈલ ફોટો મેળવી શકાય તેવી ટેકનોલોજી ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ હવે પ્રશ્ન એ છે કે પાટીલને કોરોના પોઝિટિવ આવતા શું તેમના સંપર્કમાં આવેલા નેતાઓ અને કાર્યકરોના ટેસ્ટ કરવામાં આવશે?