પુષ્ય નક્ષત્રમાં ઘણીવાર આપણે વ્યક્તિને સોનુ- ચાંદી કે કોઇ કિંમતી વસ્તુ ખરીદતી જોઇ હશે. શા માટે પુષ્ય નક્ષત્રનું આટલુ મહત્ત્વ હોય છે? શા માટે લોકો આ નક્ષત્રમાં કિંમતી વસ્તુ, જમીન, મકાન, ધાર્મિક વસ્તુઓની ખરીદી કરે છે? શા માટે તેની ખરીદી શુભ માનવામાં આવે છે અને આ વખતે પુષ્ય નક્ષત્ર ક્યારે આવે છે?
જ્યોતિષશાસ્ત્રમાં 27 નક્ષત્રોમાંથી આઠમું પુષ્ય નક્ષત્ર હોય છે. તેને નક્ષત્રોના રાજા માનવામાં આવે છે. આ નક્ષત્રના સ્વામી શનિ છે, તે ચિરસ્થાયિત્વ પ્રદાન કરે છે અને આ નક્ષત્રના દેવતા ગુરુ છે. ગુરુનો કારક સોનુ છે. બીજી તરફ આ નક્ષત્રના ચાર ચરણ કર્ક રાશિમાં હોય છે. જેના કારણે આ નક્ષત્ર કર્ક રાશિ અને તેના સ્વામી ગ્રહ ચંદ્રમાના પ્રભાવમાં પણ આવે છે. આજ કારણ છે કે આ દિવસે શનિ અનુસાર વાહન, ગુરુને અનુસાર સોનુ અને ચંદ્ર મુજબ ચાંદી ખરીદવાનુ શુભ માનવામાં આવે છે.
આ વખતે પુષ્ય નક્ષત્ર 21 ઓક્ટોબર સોમવારની સાંજથી શરુ થઇને 22 ઓક્ટબર મંગળવારની સાંજ સુધી રહેશે. તેનો અર્થ એ છે કે સોમ પુષ્પ અને ભૌમ પુષ્પ એમ બે પુષ્ય નક્ષત્ર હશે. આ દિવસે સિધ્ધા અને સાધ્ય યોગ હોવાથી બંને દિવસોનું મહત્ત્વ વધી જાય છે.
સોનપુષ્પમાં સોના અને ચાંદીની ખરીદી અને તેમાં રોકાણને લાભકારી માનવામાં આવ્યુ છે. આ દિવસે સોનુ અને ચાંદી ખરીદીએ તો તેનું શુભ ફળ મળે છે. આ દિવસે પુસ્તકો, ચોપડા અને ધાર્મિક વસ્તુઓ પણ ખરીદી શકાય છે. મંગળને જમીન અને ખેતીનો કારક ગ્રહ માનવામાં આવે છે તેથી મંગળ પુષ્ય પર વાહન, મકાન, પ્લોટ અને કૃષિ ભુમિ, ઘર સજાવટની વસ્તુઓ કે સોફાની ખરીદી પણ ઉત્તમ ફળ આપે છે.
આ દિવસે ખરીદાયેલુ સોનુ કે ચાંદી અક્ષય સિધ્ધ થશે અને વ્યક્તિ તેમા દરેક તરફથી લાભ જ પ્રાપ્ત કરશે. ઘણી વાર એવુ બનતુ હોય છે કે મુશ્કેલ સમયમાં વ્યક્તિએ પોતાનું સોનુ કે ચાંદી વેચવા પડે છે, પરંતુ પુષ્ય નક્ષત્રના વિશેષ મુહુર્ત અને સિધ્ધ યોગમાં ખરીદવામાં આવેલું સોનુ કે ચાંદી અક્ષય હોય છે. મતલબ એ કે તે સ્થાયી હોય છે અને તેને કદી વેચવાનો વારો આવતો નથી, પરંતુ તે સાથે લક્ષ્મી લાવે છે.