દેશમાં કોરોના વાયરસના રોજ સામે આવી રહેલા નવા કેસને કારણે સરકારી હોસ્પિટલો પર દબાણ વધી રહ્યું છે. એવામાં ખાનગી હોસ્પિટલો પાસેથી મદદ મેળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મોંઘી હોય છે, જે દરેક દર્દીના પહોંચની બહાર હોય છે.
હોસ્પિટલોએ આ મહામારીના સમયે સંક્રમણના દર્દીઓની ફ્રીમાં સારવાર કરવી જોઇએ : સુપ્રીમ કોર્ટ
દેશમાં કોરોના વાયરસના રોજ સામે આવી રહેલા નવા કેસને કારણે સરકારી હોસ્પિટલો પર દબાણ વધી રહ્યું છે. એવામાં ખાનગી હોસ્પિટલો પાસેથી મદદ મેળવવાનો વિચાર કરવામાં આવી રહ્યો છે, પરંતુ ખાનગી હોસ્પિટલોમાં સારવાર મોંઘી હોય છે, જે દરેક દર્દીના પહોંચની બહાર હોય છે.
સુપ્રીમ કોર્ટે તેને ધ્યાને લેતા કેન્દ્ર સરકાર પાસેથી ખાનગી હોસ્પિટલોને લઇને જાણકારી માંગી છે. કોર્ટે બુધવારે પૂછ્યું કે જો ખાનગી હોસ્પિટલ ફ્રીમાં કોરોના વાયરસનો ઇલાજ નથી કરી શકતી, તો સરકારે આ હોસ્પિટલોને ફ્રીમાં જમીન કેમ આપી?
ચીફ જસ્ટિસ એસએ બોબડેએ સૉલિસિટર જનરલ તુષાર મેહતાએ પૂછ્યું, પ્રાઇવેટ હોસ્પિટલો માટે સરકાર ફ્રીમાં જમીન ઉપલબ્ધ કરાવે છે અથવા ખુબ જ ઓછો ચાર્જ લે છે. એવામાં આ હોસ્પિટલોએ આ મહામારીના સમયે સંક્રમણના દર્દીઓની ફ્રીમાં સારવાર કરવી જોઇએ. સુપ્રીમ કોર્ટે સરકારને પૂછ્યું કે શું પ્રાઇવેટ હોસ્પિટલોમાં કોરોના વાયરસના દર્દીઓની સારવારને લઇને ખરેખર કોઇ મુશ્કેલી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચે સૉલિસિટર જનરલને એ પ્રાઇવેટ હોસ્પિટલોનું લિસ્ટ બનાવવા કહ્યું છે, જેમને ચેરિટી ગ્રાઉન્ડ પર જમીન ફ્રીમાં અલૉટ કરાઇ હતી. કોર્ટે આ મામલે એક સપ્તાહમાં રિપોર્ટ સોંપવા કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આપે આવી હોસ્પિટલો વિશે જાણકારી મેળવવી જોઇએ. આ હોસ્પિટલોમાં ચેરિટી ગ્રાઉન્ડ પર શું કામ હોય છે. આ મામલે સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે આ ટિપ્પણી કરી.
સચિન જૈને અરજીમાં દાવો કર્યો હતો કે પ્રાઇવેટ હોસ્પિટલ કોવિડ 19 દર્દીઓની સારવાર માટે 10થી 12 લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જ્યારે આ સારવારમાં કોઇ સર્જરી પણ થતી નથી. કોર્ટે કેન્દ્ર સરકારને જવાબ દાખલ કરવા માટે એક સપ્તાહનો સમય આપ્યો છે. હવે એક સપ્તાહ બાદ આ મામલે હવે પછી સુનાવણી થશે.