ભારતીય ટીમ અત્યારે ન્યૂઝીલેન્ડનાં પ્રવાસે છે. વન ડે સીરીઝમાં કારમા પરાજય બાદ હવે ટેસ્ટ સીરીઝમાં ભારત પાસે બદલો લેવાનો મોકો છે. વન ડે સીરીઝમાં હારનું એકમાત્ર કારણ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન હતું. ઈન્ડિયાના દિગ્ગજ ખેલાડી ઈજાના કારણે ટીમથી બહાર છે. જેથી ટેસ્ટમાં ઓપનિંગ કોની સાથે કરાવવી તે કોહલીની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે.
વન ડેમાં હાર્યા બાદ હવે ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટકરાશે ટીમ ઈન્ડિયા
ન્યૂઝીલેન્ડ સામે પાંચમી વન ડેમાં રોહિત શર્મા ઈજાગ્રસ્ત થઇ ગયા હતા જે બાદ તેઓ ક્રિકેટથી દૂર થઇ ગયા. જે બાદ ભારતીય ટીમને વન ડેમાં તેનું પરિણામ ભોગવવું પડ્યું હતું. ભારતની હાર માટે ઘણા વિશેષજ્ઞોએ રોહિતની ગેરહાજરીને ગણાવ્યું હતું. ટેસ્ટમાં પણ રોહિત શર્માની ગેરહાજરીને કારણે ટીમ ઈન્ડિયાને ભારે નુકસાન થઇ શકે છે. કેપ્ટન કોહલીની પણ સૌથી મોટી સમસ્યા એજ છે કે ઓપનીંગમાં કોને ઉતારવા. મયંક અગ્રવાલ ઓપનિંગ કરે તો તેમની સાથે કોણ આવશે તે હાલમાં કોહલીના ગળાનું હાડકું બની ગયું છે.
ટેસ્ટમાં ઓપનિંગ કરવા માટે બે દાવેદાર છે, પૃથ્વી શો અને શુભમન ગિલ. બંને બેટ્સમેન ખૂબ શાનદાર બેટિંગ કરે છે પરંતુ ઓછા અનુભવના લીધે બંનેનું પ્રદર્શન સતત નથી રહ્યું. પ્રેક્ટીસ મેચમાં બંનેના ખરાબ પ્રદર્શનના કારણે કેપ્ટનની ચિંતામાં વધારો થયો છે. ગિલ અને શો બંને ઝડપથી રન બનાવવાના ચક્કરમાં વિકેટ ખોઈ બેશે છે.
પ્રેક્ટીસ મેચમાં હનુમા વિહારીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું જે બાદ તેમની ઓપનિંગ કરવાની અટકળો શરુ થઇ ગઈ હતી. હનુમા વિહારીએ પણ કહ્યું હતું કે ટીમ કહેશે તે ક્રમથી બેટિંગ કરવા તે તૈયાર છે. હવે તે જોવાનું મહત્વનું રહે છે કે કોહલી ટેસ્ટમાં કોને મોકો આપે છે.