બહેન સાથે બહાર નીકળેલા 5 વર્ષના બાળક પર કુતરાઓએ હુમલો કરી મારી નાખ્યો. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો
રખડતાં કૂતરાઓએ 5 વર્ષના બાળકનો જીવ લીધો
હુમલો કરી બાળકને કુતરાઓ બાંધકામ સાઈટ પર ખેંચી ગયા
લોહીલુહાણ બાળકનું ગંભીર ઇજાઓને કારણે મોત
નાગપુરમાં રખડતાં કૂતરાઓએ 5 વર્ષના બાળકને મારી નાખ્યો હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના નાગપુરથી લગભગ 60 કિલોમીટર દૂર શહેરના ધંતોલી વિસ્તારની છે. જ્યાં બહેન સાથે બહાર નીકળેલા 5 વર્ષના બાળક પર કુતરાઓએ હુમલો કરી મારી નાખ્યો હતો. જેને લઈ હવે કાટોલ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો હતો.
મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના કાટોલ શહેરમાં શનિવારે એક 5 વર્ષના છોકરા પર કેટલાક રખડતા કૂતરાઓએ હુમલો કરીને તેને મારી નાખ્યો હતો. બાળકની બહેન પણ ત્યાં હાજર હતી, પરંતુ તે તેના નાના ભાઈને બચાવી શકી ન હતી. વિરાજ રાજુ જયવર નામનો છોકરો તેની બહેન સાથે ફરવા માટે બહાર હતો, ત્યારે કેટલાક રખડતા કૂતરાઓએ તેના પર હુમલો કર્યો. જ્યારે રાજુની બહેને કૂતરાઓને ભગાડવાનો પ્રયાસ કર્યો, ત્યારે કુતરાઓ રાજુને એક બાંધકામ સાઈટ પર ખેંચી ગયા બાદ તેના પર હુમલો કર્યો હતો.
બાળકને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ લઈ જવાયો
સ્થાનિક પોલીસ જણાવ્યું હતું કે, રાજુના માતા-પિતા અને ત્યાંથી પસાર થતા કેટલાક લોકો તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જ્યાંથી રાજુને લોહીના ખાબોચિયામાં લથપથ હાલતમાં હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો. જોકે ગંભીર ઇજાઓને કારણે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.
રાજસ્થાનમાં તાજેતરમાં 9 વર્ષના બાળક પર કુતરાએ હુમલો કર્યો હતો
વિગતો મુજબ રાજસ્થાનના જયપુરમાં પણ તાજેતરમાં 9 વર્ષના બાળક પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. જે બાદમાં સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ કેદ થયા હતા. જોકે માસુમની સારવારમાં વ્યસ્ત હોવાને કારણે માસુમના પરિવારજનો આજ સુધી પોલીસમાં ફરિયાદ કરી શક્યા નથી. 19 મેના રોજ શાળાએથી ઘરે આવ્યા બાદ તે ઘરની બહાર રમી રહ્યો હતો. ત્યારે કોલોનીમાં હાજર 5 રખડતા કૂતરાઓએ અચાનક ઘરની બહાર રહેતી 9 વર્ષની દક્ષાને ચારે બાજુથી ઘેરી લીધી હતી.