છોડતાં....છોડતાં...અંતે અલ્પેશ ઠાકોરે કોંગેસ છોડી જ દીધી. છોડતાં...છોડતાં શબ્દ એટલાં માટે વાપરવો પડ્યો છે કે, બે વર્ષ પહેલાં કોંગ્રેસમાં વાજતે ગાજતે જોડાયેલાં અલ્પેશ ઠાકોર બે વર્ષની અંદર જ અનેક વાર કોંગ્રેસ સામે નારાજગી જાહેર કરી ચૂક્યાં હતાં. વાત શંકર ચૌધરીને મળવાની હોય કે, વાત પાર્ટી વિરૂદ્ધ છાનાછૂપી એક જૂથ થવાની હોય. અલ્પેશે બધું કરી લીધું હતું. અંતે તે જ થયું પોતે તો ગયાં સાથે સાથે પોતાનાં બે સાથીદારને પણ લેતાં ગયાં. ભલે ધારાસભ્ય પદેથી તેમણે રાજીનામું નથી આપ્યું પરંતુ હવે તેમનો આત્મા કોંગ્રેસમાં નથી. ત્યારે શું તેમનાં જવાંથી કોંગ્રેસને કોઈ ફરક પડશે?
બે વર્ષ પહેલાં રાજ્યની વિધાનસભા ચૂંટણી પહેલાં તામજામ સાથે કોંગ્રેસમાં જોડાયેલાં અલ્પેશ ઠાકોરનું દિલ બે વર્ષમાં જ કોંગ્રેસથી ધરાઈ ગયું. જનતાની સેવા કરવા માટે કોંગ્રેસનું પ્લેટફોર્મ પસંદ કરનારા ઠાકોર યુવા નેતા અલ્પેશે બે વર્ષ દરમિયાન અનેક વખત કોંગ્રેસનું નાક દબાવવાનો પ્રયાસ કરી જોયો. પરંતુ જ્યારે તેમને લાગ્યું કે અહીં મહત્વાકાંક્ષા સંતોષાશે નહીં તો તેમણે કોંગ્રસમાં અવગણના અને અપમાનું બહાનું આગળ ધરીને ધારાસભ્ય સિવાયનાં તમામ પદેથી સોશિયલ મીડિયાનાં માધ્યમથી રાજીનામું ધરી દીધું.
તેમનાં રાજીનામાને પગલે પગલે તેમનાં બે સાથી બેચરાજીનાં ધારાસભ્ય ભરતજી ઠાકોર અને બાયડનાં ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પણ કોંગ્રસનાં પ્રાથમિક સભ્યપદેથી છેડો ફાડી નાખ્યો. એવું અનુમાન છે કે, આ ત્રણેય ધારાસભ્યો ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે. ભલે તેમણે કોઈ પક્ષમાં નહીં જોડાવાનું નિવેદન આપ્યું હોય. કેમ કે આ રાજકારણ છે. એક શક્યતા એ પણ છે કે પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપીને અને ધારાસભ્ય પદે ચાલુ રહીને તેઓ કોંગ્રેસ પર દબાણ બનાવી શકે છે અને આ રીતે તેઓ કોંગ્રેસનાં વર્ચસ્વ વાળી સ્થાનિક બોડીઓમાં મલાદાર ખાતું માગી શકે છે. બદલામાં તેઓ કોંગ્રેસને બહારથી સમર્થન પણ કરી શકે છે. પરંતુ જો આવું ન થાય તો તે સ્થિતિમાં શું રાજ્યમાં કોંગ્રેસને કોઈ નુકસાન થઈ શકે છે?
અલ્પેશ જે ઠાકોર સમાજમાંથી આવે છે ગુજરાતમાં તેમની સંખ્યા 15થી અઢાર ટકા માનવામાં આવે છે. આ સમાજનું વર્ચસ્વ ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં જોવા મળે છે. ઠાકોર સમાજ લોકસભાની લગભગ ચાર બેઠકો પર પ્રભુત્વ ધરાવે છે. બનાસકાંઠા, પાટણ અને મહેસાણા બેઠકો પર ઠાકોર સમાજ નિર્ણાયક પ્રભુત્વ ધરાવે છે. આ ઉપરાંત રાજ્યમાં 40 ટકા કરતાં વધારે વસ્તીવાળાં સમગ્ર ઓબીસી વર્ગ પર ઠાકોર સમાજનો ખાસ્સો પ્રભાવ છે. કોંગ્રેસને ઉત્તરગુજરાતની પાટણ અને બનાસકાંઠા આ બે બેઠક પર વધારે આશા છે કેમ કે બે વર્ષ પહેલા આ વિસ્તારમાં આવેલા પુરમાં ભાજપની ગેરવ્યવસ્થાનાં કારણે અહીનાં લોકોને જે નુકસાન વેઠવું પડ્યું હતું તે લોકોનાં મનમાંથી ભુસાયું નથી.
મહેસાણા અને પાટણ જિલ્લા સાથે જોડાયેલા અલ્પેશ ઠાકોર અને તેના મિત્રો ધવલશસિંહ ઝાલા અને ભરતજી ઠાકોરે હવે જ્યારે કોંગ્રેસથી છેડો ફાડી નાખ્યો છે ત્યારે તેઓ અહીં કોંગ્રેસને કોઈ પણ હિસાબે માત આપવા કમરકસી શકે છે. પરંતુ ઠાકોર સેનામાંથી અલ્પેશ ઠાકોરનાં આ નિર્ણયનાં વિરોધમાં ઉભા થયેલાં સૂર નજર અંદાજ કરી શકાય તેમ નથી. કેમકે અલ્પેશ જે ઠાકોર સેનાનું અપમાન થતું હોવાનો આક્ષેપ લગાવી રહ્યાં છે તે ઠાકોર સેનાનાં મહેસાણા એકના પ્રમુખ જ કહી રહ્યાં છે કે, અલ્પેશનાં નિર્ણય સાથે તેઓ સંમત નથી.
અલ્પેશ ઠાકોરનાં રાજીનામા બાદ તેમને કોંગ્રેસ વતી ધારાસભ્યનો મેન્ડેટ આપનારા મતદારોમાં નરાજીગી તો જોવાં મળે છે સાથે સાથે તેમનાં મનમાં અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. જેનો જવાબ કદાચ અલ્પેશ ઠાકોર પાસે નહીં હોય. મતદારોનાં મનમાં એ સવાલ ઊભો થઈ રહ્યો છે કે, શું કોંગ્રેસ-ભાજપ પાસે ગમતું માગી લેવાનું આ પોલિટીક્સ છે? શું મંત્રી બનવાની તમારી મહત્વાકાંક્ષા સજીવન થઇ છે?
સમાજનાં રાજકારણમાં ભાજપ કોંગ્રેસ જાળમાં ફસાઇ રહ્યાં છે? શું ચૂંટણીનાં સોદા લોકોનું ભલુ કરી શકશે? શું સમાજનાં નામે રાજકીય પક્ષોને તમે ફાયદો કરાવો છો? શું ભોળા સમાજને ભોળવીને તમે તમારો ફાયદો ઇચ્છો છો? ગુજરાતમાં આંદોલનકારી પર તમે અવિશ્વાસ જન્માવવા માગો છો? સામાજિક હિતની તમારી લડાઇ એ શું માત્ર દેખાડો હતી? પદનું પોલિટી~સ તમારે મન સમાજના હિત કરતા પણ વ્હાલું છે? અપક્ષને મદદ કરીને તમે આડકતરી રીતે કોને મદદ કરી રહ્યાં છો? આવાં અનેક સવાલ એ જનતાનાં મનમાં ઊઠી રહ્યાં છે જેને જાણ કર્યા વગર તમે તેમને મેન્ડેટનો અનાદર કર્યો છે.