છેલ્લા ઘણા સમયથી ગુજરાત સહિત દેશભરમાં મેઘરાજા મહેરબાન થયા છે, જો કે ઇન્દ્રદેવ હદથી વધુ મહેરબાન થાય ત્યારે સામાન્ય માનવોના જીવન અને તેના સપનાઓ કડડભૂસ થતાં હોય છે, કઇંક આવી જ ઘટના હાલમાં પંચમહાલ જિલ્લામાં બનવા પામી હતી, જેમાં પાલ્લી ગામમાં એક મકાન વધુ વરસાદમાં પડી જતાં કુલ 3 માનવ જિંદગીઓ કાળના ખપ્પરમાં હોમાઈ ગઈ હતી.
પંચમહાલના જિલ્લામાં ભારે વરસાદના કારણે એક મકાન ધરાશાયી
સરકારી આવાસ યોજનનાની કામગીરી પર ઊભા થઈ રહ્યા છે સવાલો
દેશના દરેક ગરીબ પરિવારને 2022 સુધી પાકું મકાન દેવાના વચન સાથે સતત બીજી વાર પૂર્ણ બહુમતી સાથે સત્તા પર આવેલી મોદી સરકારના રાજમાં કદાચ દેશના અમુક ગરીબોને ઘર તો મળી રહ્યા છે પરંતુ તેની બહુ મોટી કિંમત તેમની પાસેથી કાળ દેવતા વસૂલી રહ્યા છે. પંચમહાલ જિલ્લાના પાલ્લી ગમે ખૂબ જ વરસાદ થતાં એક સરકારી આવાસ યોજનાનું મકાન ધરાશાયી થઈ ગયું હતું. જેમાં એક મહિલા અને બે પુરુષો સહિત કુલ 3 લોકોના મોત થતાં 3 માનવ જિંદગીઓ સમાપ્ત થઈ ગઈ હતી.
સરકારી મકાન યોજનાની નબળી કામગીરીનો ઉત્તમ નમૂનો
ઘણા ગરીબ પરિવારોને જો કે સરકારી આવાસ યોજનામાં મકાનો તો મળી જતાં હોય છે પરંતુ આવા મકાનોની બાંધકામ ક્વોલિટી અંગે હમેશા જ વિવાદ થતો રહેતો હોય છે. હાલમાં જ કડડભૂસ થઈને તૂટી પડેલું મકાન સરકારી આવાસ યોજનાનું જ હતું અને હજી માત્ર 5 વર્ષ પહેલા જ એટલે કે 2016-17 માં જ તેનું બાંધકામ કરવામાં આવ્યું હતું. ત્યારે આટલા ટૂંકા ગાળામાં જ આ મકાનનું તૂટી જવું તે બાંધકામની ક્વોલિટી સામે ગંભીર સવાલો ઊભા કરે છે. હવે તો એક જ પ્રશ્ન જનતા પૂછવા માંગે છે કે આખરે કયા સુધી ગરીબો એ સરકારના ભ્રષ્ટાચારની કિમત પોતાનો જીવ આપી ને ચૂકવવી પડશે? આખરે ક્યાં સુધી?