ભાજપ નેતા શુભેન્દુ અધિકારીએ આજે એક નિવેદનમાં કહ્યું હતું કે લોકોએ કોરોનાની સામે પીએમ મોદીની રસી લેવી પડશે. તેમની સામે બોલવું એ લોકતંત્રની સામે બોલવા જેવું છે.
પીએમ મોદીની રસી તો લેવી જ પડશે : ભાજપ નેતા
અમને પીએમ મોદીનો ચહેરો પણ નથી જોવો : મમતા બેનરજી
પીએમ મોદીની સામે બોલવું તે લોકતંત્રની સામે બોલવા જેવુ છે : અધિકારી
બંગાળ ચૂંટણીના પ્રચારમાં એક તરફ જ્યાં ભાજપ અને ટીએમસી ખૂબ જ તાકાતથી એકબીજાને હરાવવા માટે મચી પડ્યા છે, તેવા સમયે બંને તરફથી ખૂબ જ આક્રમકતાથી નિવેદનબાજી કરવામાં આવી રહી છે. બંગાળ સીએમ મમતા બેનરજીએ તેમની એક સભામાં કહ્યું હતું કે ભાજપને અલવિદા, અમે ભાજપને નથી ઈછતાં, અમને પીએમ મોદીનો ચહેરો પણ નથી જોવો. વધુમાં તેમણે કહ્યું હતું કે અમે રમખાણો, લૂટ, દુર્યોધન, દુશાસન અને મીર જાફર પણ નથી જોઈતા.
કોરોનાની સામે પીએમ મોદીની રસી લેવી જ પડશે
તેજ સમયે ભાજપના નેતા શુભેન્દુ અધિકારીએ કહ્યું હતું કે લોકોએ કોરોનાની સામે પીએમ મોદીની રસી લેવી જ પડશે. તે ચૂંટાયેલા વડાપ્રધાન છે. તેમની સામે બોલવું તે લોકતંત્રની સામે બોલવા જેવુ છે. પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રસી નથી, એટલા માટે આપણે પીએમ મોદીની રસી લેવી જ પડશે.
મહત્વનું છે કે બંગાળમાં લડાઈ હવે વધુને વધુ તીવ્ર બની રહી છે, રાજ્યના મુખ્યમંત્રી અને ટીએમસી પ્રમુખ મમતા બેનરજીએ નંદીગ્રામથી ચૂંટણી લડવાનું એલાન કર્યું છે, તો સામે ભાજપ તરફથી પણ ચૂંટણી લડવાનું એલાન કરી ચૂકેલા શુભેન્દુ અધિકારીએ નંદીગ્રામથી જ ચૂંટણી લડવાનું નક્કી કરીને પડકાર ફેંક્યો હતો કે જો તેઓ મમતા દીદીને હરાવી ન દે તો તેઓ રાજનીતિ છોડી દેશે.
ટીએમસી એક પ્રાઇવેટ કંપનીની જેમ કામ કરી રહી છે
હાલમાં જ એક જનસભાને સંબોધિત કરતાં તેમણે કહ્યું હતું કે ટીએમસી એક પાર્ટી નહીં પણ પ્રાઇવેટ કંપનીની જેમ કામ કરી રહી છે, એની સિવાય મમતા દીદીના રાજનીતિક કૌશલ પર પણ સવાલો ઊભા કરી દીધા હતા. તેમણે કહ્યું હતું કે જો મમતા બેનરજીને બિહારથી ચૂંટણી રણનીતિકાર બોલાવવાની જરૂર પડી રહી છે તો મતલબ એ જ છે કે ભાજપ રાજ્યમાં લીડ મેળવી ચૂક્યું છે.