અમદાવાદમાં 8 દર્દીઓની આગમાં જ્યાં મોત થઇ હતી તે શ્રેય હોસ્પિટલના 2 સ્ટાફના વ્યક્તિની ધરપકડ કરાઈ હતી, હવે તેમને જામીન પર છોડી દેવામાં આવ્યા છે.
પોલીસના અહેવાલ પ્રમાણે બાબુ આહીર અને મહેશ ઓડેદ્રા એમ બે સ્ટાફના વ્યક્તિઓની 21 ઓગસ્ટના રોજ ધરપકડ કરવામાં આવી હતી.
આ પહેલા હોસ્પિટલના ટ્રસ્ટી અને સંચાલક ભરત મહંતની પણ ધરપકડ કર્યા બાદ તેમને જામીન ઉપર છોડી દેવામાં આવ્યા હતા. આ મામલે 10 ઓગસ્ટના રોજ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં FIR નોંધવામાં આવી હતી જેમાં IPC કલમ 304A, 336, 337, 338 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.
શું છે મામલો?
નોંધનીય છે કે શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ સવારે ચોથા માળે ICUમાં આગ લાગી હતી. આ આગ શોર્ટ સર્કિટને કારણે લાગી હોવાનું સામે આવ્યું હતું જેમાં 8 કોરોના દર્દીઓના મોત થયા હતા. આ હોસ્પિટલનો કોવિડ હોસ્પિટલ તરીકેનો દરજ્જો પાછો ખેંચી લેવામાં આવ્યો હતો.
FIRના સેક્શનમાં જામીનપાત્ર ગુનો દાખલ થતો હોવાથી તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા
આ મુદ્દે એક પોલીસ અધિકારીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે આ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ તેમની FIRના સેક્શનમાં જામીનપાત્ર ગુનો દાખલ થતો હોવાથી તેમને જામીન ઉપર છોડવામાં આવ્યા હતા. આ ગુનામાં તેમની સ્પષ્ટ ભૂમિકા ચાર્જશીટમાં કહેવામાં આવશે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હોસ્પિટલના દર્દીઓની સુરક્ષાની જવાબદારી આ બે વ્યક્તિઓ ઉપર હતી.