બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 08:41 PM, 15 May 2019
ચોમાસામાં બબ્બે કાંઠે ગાંડી તૂર થતી નદીઓથી વિપરિત દ્રશ્યો ભર ઊનાળે જોવાં મળે છે. જે જળાશયોનાં કાંઠા ફાટફાટ થતા હોય છે તે જળાશયોમાં ઉનાળામાં ક્યાંક ખાબોચિયું ભરેલું જોવાં મળે છે. આને જળસંગ્રહની ગેર વ્યવસ્થા કહેવી કે પછી માનવ ક્ષમતાનો અભાવ કહેવો તે જલ્દી સમજાતું નથી. આ જ કારણ છે કે, ગમે તેટલાં વરસાદ છતાં ભર ઉનાળે ડેમ, જળાશયો અને નહેરો નપાણિયા બની જાય છે.
ADVERTISEMENT
બનાસકાંઠા જિલ્લો ખેતી આધારિત છે. પરંતુ ચાલુ વર્ષે નહિવત વરસાદ થતાં જિલ્લાની જીવાદોરી જેવા સિપુ, દાંતીવાડા અને મુક્તેશ્વર ડેમ ખાલી થઈ ગયાં છે. જેથી ખેડૂતો નહેર આધારિત ખેતી કરી શકતા નથી. ડેમની આસપાસનાં વિસ્તારોમાં પણ પાણીનાં તળ નીચે જતાં ખેતી થઈ શકે તેમ નથી. પરિણામે ખેડૂતોનાં ખેતરો પાણી વિના ઉજ્જડ બની ગયાં છે. સરકારે ડેમ ભરવાની યોજના હેઠળ રૂ.625 કરોડનાં ખર્ચે ચાંગા નર્મદા કેનાલમાં પાઇપલાઇન નાખી દાંતીવાડા અને સિપુ ડેમ ભરવાની યોજના બનાવી હતી. એ યોજના પૂર્ણ થયાંને 5 વર્ષ થયાં પરંતુ આજ દિન સુધી આ ડેમમાં ક્યારેય પાણી આવ્યું નથી. આ ડેમ ભરવામાં આવે તેવી માંગણી ખેડૂતોમાં પ્રબળ બની છે.
રાજ્ય સરકારે 2014માં સિપુ ડેમ ભરવા અને ગામડાઓમાં પાણી પહોંચાડવા તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલનાં હસ્તે આ યોજનાનું લોકાર્પણ કર્યું હતું. આ યોજના હેઠળ 87 ગામો અને 36 પરા વિસ્તારમાં પીવાનું પાણી પહોંચાડવાની યોજના બનાવી હતી. પરંતુ લોકાર્પણ બાદ ક્યારેય સિપુ ડેમમાં પાઈપલાઈન વાટે પાણી નાખવામાં આવ્યું નથી. હાલ એક તરફ ડેમ ખાલી રહેતાં પાણીનાં તળ સુકાઈ ગયાં છે જેથી પીવા અને ખેતી માટે પાણી રહ્યું નથી.
ADVERTISEMENT
તો બીજી બાજુ અધિકારીઓ અને સરકાર પૂરતા પાણી હોવાનાં દાવાં કરી રહી છે. બનાસકાંઠામાં દુકાળનાં સમયે જો પાણી નાખી ડેમ ભરવામાં ન આવે તો રૂ. 625 કરોડનું ખર્ચ કરવા પાછળ હેતુ શો? એવો સવાલ જિલ્લા વાસીઓનાં મનમાં ઊઠી રહ્યો છે. પાઇપ- લાઇનમાં ગેરરીતિ થતાં હલકાં કામની પોલ ખૂલી ન જાય તે માટે સરકાર પાઈપલાઈન વાટે કેનાલમાં પાણી નાખવાનું ટાળી રહી છે કે કેમ? તે પણ એક ગંભીર સવાલ છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.