AMCની હેલ્પલાઈન નંબરનું VTV ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક, હેલ્પલાઈનમાં ફોન તો ઉપડે છે પરંતુ કામ નથી થતું, મહાનગરપાલિકાની હેલ્પલાઈનને લઇ સ્થાનિકોમાં રોષ.
AMCની હેલ્પલાઈન નંબરનું રિયાલિટી ચેક
24 કલાક બાદ પણ સમસ્યાનું નથી થતું સમાધાન
સ્થાનિકોએ મહાનગરપાલિકા પર કર્યા આક્ષેપ
મહાનગરપાલિકાને માત્ર ટેક્સ લેવામાં રસ છેઃ સ્થાનિક
અમદાવાદમાં રહેતા તમામ નાગરિકોને પ્રાથમિક સુવિધા આપવાની જવાબદારી મહાનગરપાલિકાની હોય છે. આ માટે મહાનગરપાલિકા અમદાવાદના લોકો પાસેથી વિવિધ પ્રકારનો ટેક્સ પણ ઉઘરાવે છે. આ ટેક્સના રૂપિયા મહાનગરપાલિકા નાગરિકોને મળતી સુવિધામાં ખામી રહે તો તેનું નિરાકરણ લાવવામાં ખર્ચ કરતી હોય છે. આ માટે અમદાવાદ મહાનગરપાલિકાએ રસ્તા, કચરો, ડ્રેનેજ, પાણી અને સ્ટ્રીટલાઈટની ફરિયાદ માટે '155303' ટ્રોલ ફ્રી હેલ્પલાઈન નંબર પણ જાહેર કર્યો છે. જેનું VTVએ રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે.
VTV ન્યૂઝે કર્યું રિયાલિટી ચેક
મહાનગરપાલિકાએ લોકો માટે જે ટોલ ફ્રી નંબર જાહેર કર્યો છે. તેમાં લોકોએ ફોન કરવા માટે ચાર્જ ચૂકવવો પડે છે. સાથે જ રિયાલિટી ચેકમાં જાણવા મળ્યું છે કે, હેલ્પલાઈન નંબરમાં ફરિયાદ નોંધવા સમયે હાજર કર્મચારીઓ ફરિયાદ તો નોંધે છે, પરંતુ ફરિયાદનું નિકારણ ક્યારે આવશે, તે અંગે કોઈ સ્પષ્ટતા કરતા નથી. જેને કારણે નાગરિકોએ સમસ્યાનું સમાધાન થવા સુધી રાહ જોવી પડે છે.
ફરિયાદના 24 કલાક બાદ પણ નહોતું થયું સમાધાન
બોપલ વિસ્તારમાં આવેલી સન ઓપ્ટિમા રેસિડેન્સી પાસે આવેલા લાઈટના પોલ છેલ્લા ઘણા દિવસથી બંધ હતા. જે મામલે અમારા રિપોર્ટરે હેલ્પલાઈન નંબરમાં ફોન કરીને ફરિયાદ કરી હતી. આ ફરિયાદ કરવા સમયે અમારા રિપોર્ટરે હાજર અધિકારીને કેટલા સમયમાં પોલની કામગીરી પૂર્ણ થશે, તે અંગે પણ સવાલ કર્યો હતો. જોકે, આ દરમિયાન અધિકારીએ આ સવાલનો જવાબ ન આપી શકે તેવું કહ્યું હતું. અમારા રિપોર્ટરે ફરિયાદ કરી હતી. તેના 24 કલાક બાદ સમસ્યાનું સમાધાન થયું છે કે, નહીં તે જાણવા બોપલ વિસ્તારની મુલાકાત લીધી હતી. જેમાં ફરિયાદ કર્યાના 24 કલાક બાદ પણ ફરિયાદનું સમાધાન ન થયું હોવાનું સામે આવ્યું છે.
અનેક ફરિયાદ કર્યા બાદ પણ ફરિયાદનું સમાધાન નથી થતુંઃ સ્થાનિક
અમારા રિપોર્ટરે કરેલી ફરિયાદનું સમાધાન ન થતાં રિપોર્ટરે બોપલના સ્થાનિક લોકો સાથે વાતચીત કરી હતી. જેમાં સ્થાનિકોમાં પણ AMCની કામગીરીને લઇ રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ AMCની હેલ્પલાઈન પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, હેલ્પલાઈનમાં ફરિયાદ તો નોંધવામાં આવે છે, પરંતુ સમસ્યાનું કાયમી નિરાકરણ થતું નથી. વધુમાં સ્થાનિકોએ કહ્યું હતું કે, AMCના અધિકારીઓ રોડ હોય કે સ્ટ્રીટલાઈટ, એક પણ કામગીરી યોગ્યરીતે કરતા નથી.
જાહેર માર્ગ પર પડેલા રોડના વેસ્ટની કરી હતી ફરિયાદ
અમદાવાદના બોપલ બાદ અમારા રિપોર્ટરે પાલડીની અશોકનગર સોસાયટી પાસે જાહેર માર્ગ પર પડેલા રોડના વેસ્ટની ફરિયાદ કરી હતી. અહીં રોડનું કામ પૂર્ણ થયા બાદ રોડ વેસ્ટ ઉપાડવામાં આવ્યો નથી. જેની ફરિયાદ તો અધિકારીઓએ સાંભળી લીધી, પરંતુ કચરો ઉપાડવાની તસ્દી લીધી નથી.
અવારનવાર બન્યા છે અકસ્માતના બનાવોઃ સ્થાનિક
પાલડી વિસ્તારની સમસ્યાનું સમાધાન ન થતાં અમારા રિપોર્ટરે સ્થાનિકો સાથે ચર્ચા કરી હતી. જેમાં પાલડીના સ્થાનિકોએ AMCના અધિકારીઓએ રોષ ઠાલવ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, અમે રોડ વેસ્ટને લઈને અગાઉ પણ અનેક ફરિયાદ કરી હતી. જેનું 7થી 8 દિવસ બાદ પણ નિરાકરણ આવતું નથી. વધુમાં સ્થાનિકોએ કહ્યું હતું કે, AMCની બેદરકારીથી ઉભી થયેલી આ સમસ્યાને કારણે પાલડીમાં અવારનવાર અકસ્માતના બનાવો અને સિનિયર સિટીઝનના ખાડામાં પડવાના બનાવો પણ બન્યા છે.
હિતેશ બારોટે AMCની આળસનો કર્યો બચાવ
બોપલ અને પાલડી વિસ્તારમાં ઉભી થયેલી સમસ્યાની ફરિયાદનું નિરાકરણ ન થવા પર અમારા રિપોર્ટરે અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ સાથે ચર્ચા કરી હતી. જેમાં હિતેશ બારોટે AMCની આળસનો બચાવ કરીને કહ્યું હતું કે, અમદાવાદમાં ફરિયાદ નંબર 155303 કાર્યરત છે અને અમદાવાદના મોટાભાગના લોકો આ નંબર પર પોતાની ફરિયાદ કરે જ છે. જો ક્યાંય ક્ષતિ આવી હશે, તો અંગે કાર્યવાહી કરવામાં આવશે.
સળગતા સવાલ
- હેલ્પલાઈને હેલ્પની જરૂર છે?
- ફરિયાદ કર્યા બાદ પણ સમાધાન કેમ નહીં?
- AMC હેલ્પલાઈનમાં સમય મર્યાદા ક્યારે નક્કી કરશે?
- લોકો ક્યાં સુધી સમસ્યાના સમાધાનની રાહ જોશે?
- ફરિયાદ કર્યા બાદ સમસ્યાનું સમાધાન ક્યારે?
- લોકોને થતી સમસ્યાનું સમાધાન થશે?
- હલ્પલાઈનમાં સમય મર્યાદા ક્યારે જાણવા મળશે?
- કામગીરીની સમય મર્યાદા કેટલી?