સમગ્ર દેશમાં કોરોના વાયરસે ભરડો લીધો છે. મહારાષ્ટ્રની સ્થિતિ વધારે ખરાબ છે કારણ કે, અહીં દેશના સૌથી વધુ કોરોના વાયરસના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં કોરોના વાયરસના કેસના દર્દીઓની સંખ્યા 1 લાખને પાર પહોંચી ચુકી છે ત્યારે ઉદ્ધવ સરકારના મંત્રી અને NCPના દિગ્ગજ નેતા નવાબ મલિક સાથે VTVની ખાસ વાતચીત યોજાઇ હતી. નવાબ મલિકે સરકારની કામગીરી અને વિપક્ષના આક્ષેપો પર આ વાતચીત દરમિયાન સ્પષ્ટતા કરી હતી.
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સાથે VTVની ખાસ વાતચીત
કોરોના વાયરસના સંક્રમણને અટકાવવામાં સફળતા મળી હોવાની કરી વાતચીત
વિપક્ષના આક્ષેપો ફગાવતા ICMRનું પ્રમાણપત્ર સાચું હોવાનું કહયું
મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિકે VTV સાથેની ખાસ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના આંકડા વધારે છે પરંતુ તેના સંક્રમણને અટકાવવામાં અમને સફળતા મળી છે કારણ કે જ્યાં પહેલા દરરોજના 100-150 કેસ સામે આવતા હતા ત્યાં હવે માત્ર 25-30 કેસ જ સામે આવી રહ્યા છે.
નવાબ મલિકે બોર્ડર સીલ કરવાને લઇને જણાવ્યું હતું કે, અમારે ત્યાં સ્થિતિ સ્થિર છે. અમે લોકોએ શરૂઆતના તબક્કામાં બોર્ડર સીલ કરી હતી અને ગૃહમંત્રાલયના આદેશનું સંપૂર્ણ પણે પાલન કર્યું હતું. તો કોરોનાને કારણે મૃત્યુદરની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં અન્ય રાજ્યોની સરખામણીએ મૃત્યુદર માત્ર 3 ટકા જ છે. તો મહારાષ્ટ્રમાં ડબલિંગ રેટ મામલે પણ સફળતા મળી છે.
કોરોનાને લઇને વિપક્ષના આક્ષેપ ખોટા
ઉદ્ધવ કેબિનેટના મંત્રી નવાબ મલીકે વિપક્ષના આક્ષેપ ફગાવતા કહ્યું હતું કે, કોરોનાને લઇને ICMRના સર્ટિફેકિટ કરતા મોટું કોઇ જ પ્રમાણપત્ર હોય તેવું શક્ય નથી. ICMRએ જણાવ્યું છે કે, મહારાષ્ટ્રમાં લોકલ ટ્રાન્સમિશનના કોઇ જ કેસ નથી. ICMRની ટીમ પણ અત્યાર સુધીમાં 2 વખત મહારાષ્ટ્રની મુલાકાત લઇ ચૂક્યું છે અને ICMR કહે છે કે મુંબઇ મોડેલ બેસ્ટ છે તો વિપક્ષના નિવેદનોને અમારે ધ્યાને લેવાની જરૂર નથી.
લોકલ ટ્રેન શરૂ કરવા અંગે નિવેદન
નવાબ મલિકે જણાવ્યું હતું કે, લોકલ ટ્રેન એ મહારાષ્ટ્રની લાઇફલાઇન છે તો આ અંગે કેન્દ્ર સરકારને અમે વારંવાર રજૂઆત કરી છે. જો કે, રેલવે કેન્દ્ર સરકાર હેઠળ આવતી હોવાથી હજી સુધી કેન્દ્ર સરકારે આ બાબતે કોઇ સ્પષ્ટતા કરી નથી.
સંપુર્ણ લૉકડાઉન વધારવા અંગે.....
મહારાષ્ટ્રમાં ફરી સંપૂર્મ લૉકડાઉન અંગે ઉદ્ધવ સરકારના મંત્રીએ જણાવ્યું હતું કે, આ બાબતે સરકારે ટ્વીટ કરીને પહેલા જ જણાવી દીધું છે કે, કોઇપણ પ્રકારનું લૉકડાઉન હવે નહીં લાગુ થાય, મહારાષ્ટ્રમાં મિશન બિગન શરૂ કરવામાં આવ્યું છે અને ધીમે-ધીમે જનતાને છૂટછાટ આપવામાં આવશે. આ સાથે જ એક વાત સ્પષ્ટ છે કે, ઘણા રાજ્યોએ હોટલ, મોલ, તથા ધાર્મિક સ્થળો ખોલવાની મંજૂરી આપી છે પરંતુ અમે હજી સુધી આ બાબતે કોઇ છૂટ આપેલ નથી.