વાયુ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન સેવાને અસર પડી છે. ઓખા, વેરાવળ, પોરબંદર, ભૂજ ભાવનગર, જામનગર જતી ૧૪ જેટલી ટ્રેનો આજે પણ રદ્દ કરવામાં આવી છે. વાવાઝોડાની અસર સમાપ્ત થયા બાદ ટ્રેનો શરૂ કરવામાં આવશે તેવી અપેક્ષા પ્રવાસીઓને હતી, પરંતુ ટ્રેન રદ્દ થતાં મુસાફરો રેલવે સ્ટેશન પર રઝળી પડ્યા હતા.
ગઈ કાલે મુંબઇથી આવતી ટ્રેનો સૌરાષ્ટ્રના બદલે માત્ર અમદાવાદ સુધી દોડાવાઇ હોવાના કારણે મુસાફરો અધવચ્ચે રઝળી પડયા હતા. વાયુ વાવાઝોડાને લઈને અપાયેલા એલર્ટને લઈને એસટી સેવા અને રેલવે સેવાને અસર થઈ છે. અને મુસાફરોની હાલાકીની આ સ્થિતિનો ટ્રાવેલ્સવાળા ગેરલાભ લઈ રહ્યા છે.
વાવાઝોડાના એલર્ટના કારણે કેટલીક એસટી બસો રદ કરી દેવાઈ છે. કેટલીક એસટી બસોના રૂટ ટૂંકા કરી દેવામાં આવ્યા છે. ત્યારે મુસાફરો મજબૂરીમાં ખાનગી વાહનમાં જવા મજબૂર બન્યા છે. આ સંજોગોમાં ખાનગી વાહન સંચાલકો અને ટ્રાવેલ્સ સંચાલકો પોતાની મન મરજીનું ભાડું વસૂલતા જોવા મળ્યા છે.
મજબૂરીના માર્યા મુસાફરો ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે. અને બમણાં ભાડાં પૈસા આપીને પણ તેઓ ઘરે પહોંચવાનું પસંદ કરે છે. બીજી તરફ મુંબઇમાં રેલવે ટ્રેક પર મરામત સહિતનાં કામકાજને લઇને મુંબઇથી અમદાવાદ આવતી ટ્રેનો પાંચેક કલાક મોડી પડી હતી. જેના કારણે મુસાફરોની મુસાફરી યાતનાસભર બની ગઇ છે.
બીજી તરફ સવારે અમદાવાદ એરપોર્ટ પર દિલ્હીથી આવતી ઈન્ડિગો, એર ઇન્ડિયા, ઈથોપિયન,એર કેનેડા, એશિયન એર, અને સ્પાઇસ જેટની ફ્લાઇટ ચાર કલાક મોડી પડતાં સેંકડો મુસાફરો અટવાયા છે.