વાંસદા તાલુકાના ખેડૂતે આંબાની કલમો તૈયાર કરી બહારના ખેડૂતોને વેચાણ કરી આર્થિક પગભર બન્યા છે અને અનેક લોકોને ઘર બેઠા રોજગારી આપી રહ્યા છે.
વાંસદાના ખેડૂત રાજેશ ગાંવિતની મહેનત રંગ લાવી
આંબાની નવીન કલમ બનાવી ઉભી કરી રોજગારી
ગામના 20થી વધુ લોકોને આપે છે રોજગારી
રોજગારી માટે પોતાનું ઘર છોડીને અન્યત્ર જતા નવસારીના પર્વતીય વિસ્તાર વાંસદાના આદિવાસીઓને આંબાની નવીન કલમ બનાવવાના ઉદ્યોગને કારણે ઘર બેઠા રોજગારી મળી છે. આંબા કલમને કારણે વાંસદાનું નાનુ એવુ ગામ લાછકડી ભારતભરમાં જાણીતું બન્યુ છે.
તાલીમ બાદ આંબાની કલમ બનાવવાનો કર્યો પ્રારંભ
નવસારીનો આદિવાસી પટ્ટાનો વાંસદા તાલુકો પહાડી વિસ્તાર છે. અહીં ખેતી પણ મુશ્કેલીથી થાય છે, જેથી વાંસદાના આદિવાસીઓ રોજગારી માટે આસપાસના તાલુકા તેમજ જિલ્લાઓમાં હિજરત કરતા હોય છે. ત્યારે વાંસદાના લાછકડી ગામના ખેડૂત રાજેશ ગાંવિતે દસ વર્ષ અગાઉ બાયફ સંસ્થામાંથી આંબાની નવીન કલમ બનાવવાની તાલીમ મેળવ્યા બાદ આંબા કલમ બનાવવાનો પ્રારંભ કર્યો હતો.
આજે 30 હજારથી વધુ કલમ બનાવવાનો વ્યવસાય
રાજેશ ગાંવિતના આત્મવિશ્વાસે આંબા કલમ બનાવવામાં નવી તક જોઈ અને 500 આંબાની નવીન કલમ બનાવવાનો વ્યવસાય આજે 30 હજારથી વધુ કલમ બનાવવા પર પહોંચ્યો છે. આજે ગામના 20થી વધુ લોકોને રાજેશ જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં કલમ બનાવવામાં સારી રોજગારી આપે છે. ત્યારબાદ પણ પોતાની 5 એકરની જગ્યામાં ઉગાડેલા 800 આંબાના ઝાડ પર આવતી કેરીને બેડવાની સાથે કલમ બનાવવા માતૃ વૃક્ષમાંથી ડાળી પણ કાઢીને રોજગારી આપી રહ્યા છે.
લાછકડી ગામ ભારતભરમાં જાણીતું બન્યુ
આજે રાજેશની આંબા કલમ ગુજરાત સહિત મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ જેવા રાજ્યોમાં નર્સરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ લાછકડી આવી લઈ જાય છે. સાથે જ પહાડી અને સૂકી જમીનમાં ઉગેલા આંબાની કેસર, દશેરી, રાજપુરી, તોટાપુરી જેવી કેરીઓના પણ સારા ભાવ મેળવી વર્ષે દહાડે 20 લાખથી વધુ આવક મેળવી રહ્યા છે. રાજેશ ગાંવિતથી પ્રેરિત થઈ લાછકડીના અન્ય ખેડૂતો પણ આંબાની નવીન કલમ બનાવી રહ્યા છે.