વડોદરામાં કોર્પોરેશન દ્વારા આપવામાં આવતા દૂષિત પાણીને પગલે શહેરમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વડોદરામાં છેલ્લા 15 દિવસમાં 986 જેટલા લોકો પાણીજન્ય રોગચાળાના ભરડામાં સપડાયા છે. વડોદરામાં કમળાના શંકાસ્પદ 57 કેસ નોંધાયા છે જ્યારે ઝાડાના 869 તો ઝાડા-ઊલટીના 60 કેસ નોંધાયા છે.
આ કેસ મોટા ભાગે આજવા રોડ, વાઘોડિયા, દંતેશ્વર અને હરણી વિસ્તારની હોસ્પિટલમાં નોંધાયા છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓની ભરમાર જોવા મળી રહી છે. મહત્વનું છે કે વડોદરામાં નિમેટા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી આવતું પાણી દૂષિત હોવાનું સામે આવ્યું હતું. ત્યાર બાદ પ્લાન્ટની સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી.
જોકે પ્લાન્ટ રિપેર કર્યા બાદ છોડવામાં આવેલું પાણી પણ દૂષિત હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરના તરસાલી વિસ્તારમાં મ્યુનિસિપલ દ્વારા આપવામાં આવતું પાણી ડહોળું અને દૂષિત હોવાના કારણે હવે શહેરીજનો સ્વચ્છ પાણી ખરીદવા માટે મજબૂર બન્યા હતા.
જેના કારણે શહેરમાં પાણીના વેપારીઓનો પણ વેપાર વધ્યો છે. જેમાં ગઇકાલે વડોદરા શહેરમાં પાણી લેવા માટે સવારથી જ લોકોની લાઈનો લાગેલી જોવા મળી હતી. મહત્વનું છે કે વડોદરામાં છેલ્લા કેટલાક દિવસથી દૂષિત પાણી આવી રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો સામે આવી હતી. જેના કારણે એક વ્યક્તિનું પણ મોત નિપજ્યું હતુ.
શહેરમાં રોગચાળો વધતાં લોકો હવે સ્વચ્છ પાણી ખરીદી રહ્યા છે. આમ વડોદરા શહેરમાં છેલ્લા ઘણા સમયથી દૂષિત પાણીથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે બીજી તરફ વડોદરા મહાનગરપાલિકા હાથ પર હાથ મુકીને બેસી રહ્યું છે અને હજુ પણ વધુ લોકોના મોતની રાહ જોઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.