વડોદરામાં ચોરીના આરોપસર ડ્રાઇવરને માર મારતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું સામે આવતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
વડોદરામાં ચોરીનો આરોપ લગાવી કર્મચારીને માર્યો હતો માર
બલજિંદર સિંહ નામના કર્મચારીને માર્યો હતો માર
માર મારતા મોત થયાનો પરિજનોનો આક્ષેપ
વડોદરામાં આવેલી કંપનીના કર્મચારીનું મોત નિપજતા પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. વડોદરાના નંદેસરી ખાતે આવેલી કંપનીમાં ડ્રાઇવાર તરીકે કામ કરતો બલજિંદર સિંહ નામનો કર્મચારી ચોરી કરવાના ઇરાદે ઘૂસ્યો હોવાના આરોપસર કર્મચારીને બેફામ માર મારવામાં આવ્યો હતો. ચોરીના આરોપસર પાનોલી ઇંટરમિડીયેટ કંપનીના સિક્યોરીટી ગાર્ડે કર્મચારીને માર માર્યો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા બલજિંદર સિંહને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ચાર દિવસ સુધીની સારવાર કારગત ન નિવડતા આખરે યુવાને હોસ્પિટલ બિછાને આખરી શ્વાસ લીધા હતા. યુવાનનું મોત નીપજ્યું હોવાનું ફરજ પરના તબીબે જાહેર કર્યું હતું. જેને પગલે મારામારીનો બનાવ હત્યામાં પાલટાયો હતો.
બે નાની બાળકીઓ નોંધારી બનતા પરિવારમાં શોક
આ મામલે પરિવારજનોએ હોસ્પિટલમાં રોકકળાટ કરી અને પાનોલી ઇંટરમિડીયેટ કંપનીના સિક્યોરીટી ગાર્ડના માર મારવાને પગલે બલજિંદર સિંહનું મોત નીપજ્યું હોવાના આરોપો લગાવ્યા હતા. ચાર દિવસની સારવાર બાદ યુવાન મોતને ભેટતા પરિવારજનોના આરોપને લઇને નંદેસરી પોલીસે 4 શખ્સો સામે ગુન્હો નોંધી કાર્યવાહી આગાળ ધપાવી હતી. મૃતક બલજિંદર સિંહના પરિવારજનોના હોસ્પિટલમાં કરુણ આક્રંદને પગલે ગમગીની છવાઈ ગઈ હતી. બલજિંદર સિંહ મોત પાછળ જવાબદાર પાનોલી કંપની ખાતે દોડી જઈ મૃતકના પરિવારજનોએ ન્યાય અને વળતરની માંગ ઉઠાવી હતી. બલજિંદર સિંહ નામના યુવાનના મોતને લઈને તેમની બે નાની બાળકીઓ નોંધારી બનતા પરિવારમાં શોક છવાયો છે.
બાળકોના ભણતર સહિતનો ખર્ચ કંપનીવાળા ઉઠાવે તેવી માંગ
બલજિંદર સિંહ ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો. આ મામલે તેમની પત્નીએ જણાવ્યુ કે ગત તા. 6 ના રોજ સવારે બલજિંદર સિંહ વડોદરા જીઆઇડીસીમાં આવેલી કંપનીમાંથી ગાડી કાઢી રહ્યા હતા આ દરમિયાન ગાર્ડે માથાકૂટ કરીને ઢોર માર માર્યો હતો. જેંને લઈને મોત નીપજ્યું છે આથી જવાબદાર કંપનીવાળાઓ મારા બાળકોના ભણતર સહિતનો ખર્ચ ઉઠાવે તેવી મૃતકની પત્નીએ માંગ ઉઠાવી હતી.