હાલમાં જ કેન્દ્ર સરકાર દ્વારા સવર્ણોને 10 ટકા અનામત આપવામાં આવ્યું છે, જેમાં વિદ્યાર્થીઓને લાભ લેવા માટે બિનઅનામતનો દાખલો લેવો જરૂરી છે. ત્યારે સુરત ખાતે આ દાખલો મેળવવા માટે વિદ્યાર્થીઓ ગત રાત્રીથી જ લાઇનમાં ઉભા રહ્યા છે, પરંતુ નંબર આવશે કે નહી એ જ એક મોટો પ્રશ્ન વિદ્યાર્થીઓને સતાવી રહ્યો છે.
સુરત ખાતે છેલ્લા કેટલાંય સમયથી બિન અનામતના દાખલા લેવા માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે. ગત મોડી રાત્રીથી જ વિદ્યાર્થીઓ લાઇનમાં ઉભા છે, ત્યારે સુરત શહેર વચ્ચે ફક્ત એક જ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે, જેને લઇ વિદ્યાર્થીઓનો મોટો ધસારો રહે છે. આજે પણ 1000 જેટલા વિદ્યાર્થીઓ આ સેન્ટર ઉપર બિન અનામતનો દાખલો લેવા માટે પહોંચ્યા છે, ત્યારે એક સેન્ટર અને ફક્ત બે જ કમ્પ્યુટર ઉપર કામ કરી રહેલા કર્મચારીઓ ગોકળ ગાયની ગતિએ કામ કરી રહ્યા છે.
સુરત શહેર ખાતે એક સેન્ટર ઉપરથી ફક્ત મંગળવારે જ બિન અનામતના દાખલા કાઢી આપવામાં આવે છે. એક દિવસમાં ફક્ત 200 જેટલા દાખલા નિકળતા હોય ત્યારે અધિકારીઓ દ્વારા 700થી વધુ ટોકન આપી દેવામાં આવે છે. જેને લઇ આખો દિવસ ઉભા રહેવા છતાં પણ વિદ્યાર્થીઓનો વારો નહીં આવતા ફરી પાછુ મંગળવારે આવી હેરાન થવું પડે છે.
સરકાર દ્વારા સવર્ણોને અનામત આપવાની શરૂઆત તો કરી દેવામાં આવી, પરંતુ તેના માટે જે વ્યવસ્થા સરકાર દ્વારા કરવામાં આવવી જોઇએ એ વ્યવસ્થા કરવામાં આવી નથી તેને લઇને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વિદ્યાર્થીઓ અને વાલીઓ આ માટે દરેક ઝોન પ્રમાણે સાથે સાથે દરરોજ દાખલા મળે એવી વ્યવસ્થા ગોઠવવાની વાત કરી રહ્યા છે.