સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ આજે પીડિતાને મળવા KGMU પહોંચ્યા હતા. સપા પ્રમુખ અખિલેશ યાદવે અહીં ભાજપ પર આકરા પ્રહાર કર્યાં હતા. અખિલેશ યાદવે કહ્યું કે સમાજવાદી પાર્ટી પહેલા દિવસથી પીડિતા સાથે છે. રાજ્ય સરકારની જવાબદારી છે. ઉત્તર પ્રદેશે દેશને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ આપ્યાં છે પરંતુ એક દિકરીને ન્યાય અપાવી શકતાં નથી. અખિલેશ યાદવે કહ્યું કે ભાજપની સરકાર કંઇપણ કહી શકે છે અને કાંઇપણ કરાવી શકે છે.
ઉન્નાવ રેપ પીડિતાની સાથે થયેલા અકસ્માત મામલે પરિવારજનોએ વિરોધ શરૂ કરી દીધો છે. પરિવારજનોએ મૃતક કાકીના અંતિમ સંસ્કાર કરવાને લઇને ઇન્કાર કરી દીધો છે. આ વચ્ચે પરિવારજન લખનઉના કેજીએમયુ ટ્રોમા સેન્ટરની બહાર ધરણાં પર બેસી ગયા છે.
પરિવારજનોનું કહેવું છે કે જ્યાં સુધી પીડિતાના કાકાને પેરોલ નહી મળે ત્યાં સુદી અંતિમ સંસ્કાર કરવામાં આવશે નહીં. પરિવારજનોએ સરકારને પીડિતાના કાકાને પેરોલ આપવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે 28 જૂલાઇના રોજ થયેલા અકસ્માતમાં પીડિતાના કાકીનું મૃત્યું થયું હતું. પોસ્ટમાર્ટમમાં મૃતદેહને રાખી પરિવારજનો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે જણાવ્યું હતું કે જો ઉન્નાવ દૂષ્કર્મ પીડિતા ઇચ્છશે તો સરકાર રાયબરેલી રોડ અકસ્માત મામલે સીબીઆઇ તપાસ કરાવવા તૈયાર છે. આ અકસ્માતમાં બે લોકોનાં મોત થયા હતા જ્યારે પીડિતા અને તેમના વકીલ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
ઉન્નાવ રેપ પીડિતા સાથે થયેલા અકસ્માત મામલે નવો ખુલાસો થયો છે. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત થયેલો ટ્રક સમાજવાદી પાર્ટીના નેતા નંદૂ પાલના મોટા ભાઇ દેવેન્દ્ર પાલનો છે. અકસ્માત બાદ ફતેહપુરના જેલ રોડ પરનું દેવેન્દ્ર પાલનું મકાન બંધ થયેલ છે.
એક મળતી જાણકારી મુજબ દેવેન્દ્ર પાલ લલોલી થાના વિસ્તારના મુત્તોર ગામમાં રહે છે. હાલમાં પોલીસ તેની શોધ કરી રહી છે. ભાજપના ધારાસભ્ય કુલદીપ સેંગર અને તેના ભાઇ મનોજ સેંગર સહિત આઠ અન્ય વિરુધ્ધ રોડ અકસ્માતના મામલે પોલીસે પ્રાથમિક અરજી દાખલ કરી છે.