ઉન્નાવ બળાત્કાર પીડિતાની કારને ટક્કર મારનાર ટ્રકના ડ્રાઇવર આશિષ પાલે સીબીઆઈ (CBI) ને જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે 28 જુલાઈએ ટ્રક લપસી ગઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો. આશિષ પાલે જણાવ્યું હતું કે ઘટનાના દિવસે તે રાયબરેલીમાં રેતી ઉતારીને પરત ફરી રહ્યો હતો, ત્યારે તેણે સામેથી આવતી કારને વિરૂદ્ધ દિશામાંથી આવતી જોઇ. તેણે કહ્યું કે તે 50 થી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ટ્રક ચલાવતો હતો.
ઉન્નાવ દુષ્કર્મ મામલે મારો કોઇ સંબંધ નથી : ટ્રક ચાલક
ડ્રાઈવરે વધુમાં કહ્યું કે મેં બ્રેક મારવાનો પ્રયાસ કર્યો, પરંતુ ટ્રક કાબૂ બહાર જતી રહી અને તેનો આગળનો ભાગ ડાબી તરફ વળ્યો, જ્યારે તેનો પાછળનો ભાગ જમણી તરફ વળ્યો અને કાર સાથે અથડાઇ પડી. તેણે એમ પણ કહ્યું હતું કે મારો ઉન્નાવ દુષ્કર્મ મામલે કોઈ પણ પ્રકારનો સંબંધ નથી અને હું તેમા સામેલ કોઈને પણ જાણતો નથી. ડ્રાઈવરે સીબીઆઈને કહ્યું કે હું દારૂ પીતો નથી, માત્ર તમાકુ ખાઉં છું.
છેલ્લા ચાર વર્ષથી ચલાવી રહ્યો છે ટ્રક
ડ્રાઇવરે એમ પણ કહ્યું હતું કે તે ફતેહપુરનો રહેવાસી છે અને છેલ્લા ચાર વર્ષથી ટ્રક ચલાવી રહ્યો છે. કાર અકસ્માતમાં ઉન્નાવ દુષ્કર્મ પીડિતા અને તેના વકીલને ગંભીર ઈજા થઈ હતી. તે જ સમયે, આ અકસ્માતમાં ભોગ બનનારના બે સંબંધીઓનું મોત નીપજ્યું હતું. ત્યારથી પીડિતાની હાલત નાજુક છે અને તેણીને લખનઉની હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવી છે.
પીડિતા છેલ્લા છ દિવસથી વેન્ટિલેટર પર
નોંધનીય છે કે, 19 વર્ષીય પીડિતા છેલ્લા છ દિવસથી વેન્ટિલેટર પર છે અને તેને ન્યુમોનિયા થઇ ગયો છે. બળાત્કાર કેસમાં મુખ્ય આરોપી ભાજપના પૂર્વ નેતા ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર છે. આરોપ છે કે પીડિતા જ્યારે 4 જૂન, 2017 ના રોજ નોકરીની શોધમાં તેને મળવા ગઈ હતી, ત્યારે ધારાસભ્યએ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ગયા અઠવાડિયે સુપ્રીમ કોર્ટે ઉન્નાવ બળાત્કારને લગતા તમામ કેસ દિલ્હીમાં સ્થાનાંતરિત કરવાનો આદેશ આપ્યો છે.