બે રાજકોટના છે અને એક જામનગરના યુગલે પ્રભુતામાં પગલા પડ્યા, વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેંગ્વેજનો ઉપયોગ કર્યો
રાજકોટમાં અનોખા લગ્ન
નારી સંરક્ષણ ગૃહમાં 3 દીકરીઓના લગ્ન
સાઈન લેંગ્વેજ થી વિધિ કરાઈ
ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કાર પૈકી લગ્ન એ અગત્યની સંસ્કાર વિધિ છે. હિન્દુ સંસ્કૃતિમાં લગ્નએ એક ધાર્મીક વિધિ ઉપરાંત અનોખો ઉત્સવ પણ છે.ત્યારે રાજકોટમાં એક અનોખા લગ્ન યોજાયા હતા. નારી સંરક્ષણ ગૃહની ત્રણ દીકરીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા અને આખું ગૃહ શરણાઈના સૂર અને ઢોલના અવાજથી ગૂંજી ઉઠ્યું હતું.રાજકોટમાં આવેલું નારી સંરક્ષણ ગૃહ એક અનોખા લગ્ન સંસ્કારનું સાક્ષી બન્યું છે.
વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેંગ્વેજનો ઉપયોગ
રાજકોટમાં ઘરેલુ હિંસાના કેસમાં ભોગ બનેલી પીડીત મહિલાઓને તેની અસરમાંથી બહાર લાવીને નવજીવન પ્રદાન કરવા માટે વહિવટી તંત્ર દ્વારા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા નારી સંરક્ષણ ગૃહ ખાતે કુલ ત્રણ દીકરીના લગ્ન થયા છે.જેમાં લગ્ન સંસ્કાર વિધિ મુજબ મંડપ રોપાયા, મહેંદી મુકાઈ અને પીઠી ચોળવામાં આવી હતી. સાથે જ શરણાઈઓ અને ઢોલ પણ ઢબૂક્યા હતા.આ તમામ વિવાહ વિધિમાં શબ્દો નહીં પરંતુ સાઈન લેંગ્વેજનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.ત્રણ યુગલોના લગ્ન કરવામાં આવ્યા હતા.જેમાં બે રાજકોટના છે અને એક યુગલ જામનગરનું છે. જામનગરનું યુગલ મુકબધિર છે.આ દંપતિઓને એક લાખ રૂપિયા અને 50 હજારની વિકલાંગ લગ્ન સહાય આપવામાં આવી છે.
ધામધૂમથી થયા અનોખા લગ્ન
આપને જણાવી દઈએ કે, મુકબધિર યુગલની લગ્ન વિધિ કરાવનાર મહેશ જોષીએ અગાઉ 16 જેટલા મુકબધિરોના લગ્ન કરાવ્યા છે.સગા સંબંધીઓની હાજરીમાં આ યુગલોના લગ્ન યોજાયા હતા.રાજકોટ જિલ્લાના કલેક્ટર અરૂણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ બાળ વિકાસ અધિકારી, જિલ્લા દહેજ પ્રતિબંધક અધિકારી અને નારી સંરક્ષણ ગૃહના મેનેજર સહિતના લોકોએ આ લગ્નોત્સવ માટે તડામાર તૈયારીઓ કરી હતી.