જમ્મૂ કાશ્મીરમાં બુધવારે અને ગુરુવારે થયેલ બરફવર્ષા બાદ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કાશ્મીર ખીણના ઉચ્ચ પર્વતીય વિસ્તારોમાં થયેલ બરફવર્ષાને કારણે એલઓસીની પાસે હિમપ્રપાતમાં સેનાના બે જવાન શહીદ થયા છે. શહીદ થયેલ જવાન કુપવાડા નજીક એલઓસી પર તહેનાત હતા.
જમ્મૂ કાશ્મીરમાં બરફવર્ષા બાદ જનજીવન ખરાબ રીતે પ્રભાવિત
એલઓસીની પાસે હિમપ્રપાતમાં સેનાના બે જવાન શહીદ
કાશ્મીરના ઉચ્ચ પર્વતીય ક્ષેત્રમાં બુધવારે મોડી રાત્રે 2 ફૂટ સુધી બરફવર્ષા થઇ
કાશ્મીરના ઉચ્ચ પર્વતીય ક્ષેત્રમાં બુધવારે મોડી રાત્રે 2 ફૂટ સુધી બરફવર્ષા થઇ છે. એવામાં ઉત્તરી કાશ્મીરના તમામ ભાગમાં જનજીવન ખરાબ રીતે પ્રભાવિત થયું છે. કુપવાડામાં બરફવર્ષા બાદ એલઓસી પાસે થયેલ ભૂસ્ખલનમાં સેનાના બે જવાન શહીદ થયા છે. આ બંને જવાન હિમસ્ખલન દરમિયાન બરફમાં દટાઇ ગયા હતા. શહીદ જવાનોના નામ અખિલેશ પટેલ (રીવા, મધ્ય પ્રદેશ) અને ભીમ બહાદુર (દેહરાદુન, ઉત્તરાખંડ) છે.
કાશ્મીરમાં ગુરુવારે થયેલ ભારે બરફવર્ષાને કારણે ખીણનો સંપર્ક આખા દેશથી કપાઇ ગયો હતો. બરફવર્ષાને કારણે જમ્મૂ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગને વાહનવ્યવહાર માટે બંધ કરવો પડ્યો હતો. શ્રીનગર એરપોર્ટથી આવતી-જતી તમામ ફ્લાઇટને રદ્દ કરી દેવાઇ હતી.
શ્રીનગરના ડેપ્યૂટી કમિશનર શાહિદ ઇકબાલ ચૌધરીએ જણાવ્યું કે યુદ્ધ સ્તર પર રાહત કાર્ય ચાલી રહ્યું છે. તેમણે કહ્યું કે બરફ હટાવવા માટે 45 મશીનોને કામે લગાવાયા છે. જળભરાવ ન થાય તેને સુનિશ્ચિત કરવા માટે પંપ પર જનરેટરોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.