કચ્છના બીદડા ગામે નર્મદા કેનાલમાં પાણી છોડ્યાના 24 કલાકમાં જ કેનાલોમાં પડ્યા મસમોટા બે ગાબડા, ખેતરોમાં ઉભા પાકને નુકસાનની ભીતિ
કચ્છમાં નર્મદા કેનાલમાં 24 કલાકમાં બે ગાબડા
બીદડા ગામે નર્મદા કેનાલમાં મોટું ગાબડું પડ્યું
ગઇકાલે જ નર્મદાના નીરના વાજતે ગાજતે વધામણા કર્યા હતા
કચ્છની સૂકી ધરતી પર નર્મદાના નીર પહોંચે તેવા રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત 6 જુલાઇના રોજ કચ્છ નર્મદા કેનાલમાં નર્મદાના નીરના વધામણા થયા હતા. ઢોલ નગારાના નાદ સાથે ગ્રામજનોએ હર્ષોલ્લાસભેર નર્મદાના નીરને વધાવ્યુ હતું. પરંતુ ગ્રામજનોનો આ ઉંમગ વધુ ન ટક્યો. માત્ર 24 કલાકમાં જ નર્મદા કેનાલમાં મસમોટા બે ગાબડા પડી ગયા.
નર્મદાના નીરના વધામણા બાદ 24 કલાકમાં બે ગાબડા
હજી તો ગઇકાલે જ કેનાલમાં નર્મદાના નીરના ખેડૂતોએ વધામણા કર્યા હતા અને આજે આ પાણી ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયું. કારણ કે કેનાલમાં મસમોટું ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઇ છે. ખેતરોમાં પાણી ઘુસતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે. એક તરફ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં હરખ સમાતો ન હતો, સિંચાઇ માટે હવે પાણીની કોઇ ચિંતા નહી રહે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ 24 કલાકમાં જ તેઓની આશા પર ભ્રષ્ટાચાર રૂપી ગાબડાએ પાણી ફેરવી દીધુ. બીદ઼ડા ગામે નર્મદા કેનાલમાં મોટા મોટા બે ગાબડા પડ્યા.
આને જ ટેસ્ટિંગ કહેવાય- ધારાસભ્ય
તો વીટીવી ન્યૂઝ દ્વારા માંડવીના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા સાથે વાતચીત કરવામાં આવી હતી. તેઓએ આ અંગે નિવેદન આપતા જણાવ્યું કે આને જ ટેસ્ટિંગ કહેવાય. કેનાલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. ટેસ્ટિંગ માટે જ પાણી છોડવામાં આવ્યુ હતું. એટલે ટેસ્ટિંગનો મતલબ જ એ થાય કે ક્યાંક નાની મોટી ક્ષતિ રહી ગઇ હોય, એમાંથી પાણી નીકળતુ હતું. એક બે જગ્યાએ છે નુકસાન છે તેનું કામ ચાલી રહ્યું છે. પાણી વેડફાયુ છે પરંતુ ટેસ્ટિંગ જ આને કહેવાય.
કેનાલની કામગીરી નબળી દેખાઇ રહી છે - અધિકારી, નર્મદા વિભાગ
ત્યારે વીટીવી ન્યૂઝ કચ્છના બીદડા ગામે પહોંચ્યુ હતું. અહીં જોવા મળ્યુ કે કેનાલની નીચેની બાજુ માત્ર માટીનું જ પુરાણ કરવામાં આવ્યું છે. સિમેન્ટ કે કોંક્રિટનું કોઇ કામ જ કરવામાં આવ્યું નથી. પરિણામે ઓછી માત્રામાં પણ પાણી છોડાતા બીદડાના ભાનાતર વાડી વિસ્તારમાં મસમોટા બે ગાબડા પડ્યા હતા. અને હજુ તો ધીરે ધીરે માટીના થર ખસી રહ્યા છે એટલે હજી પણ મોટુ ગાબડુ પડે તેવી ભીતિ સેવાઇ છે. નર્મદા વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેઓએ વીટીવી ન્યૂઝ સાથે વાતચીત કરતા જણાવ્યું કે કામ તો બધુ બરાબર જ છે. પણ આ બાંધકામ વર્ષ 2016-17નું છે. જેમાં કોંક્રિટનું પ્રમાણ ઓછું હતું..પહેલા નાની ક્રેક પડી અને ધીરે ધીરે મોટુ ગાબડુ પડ્યુ.તેઓએ એમ પણ જણાવ્યું કે આ તો માત્ર ટેસ્ટિંગ માટે જ ગઇકાલે પાણી છોડ્યુ હતું,
કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા ક્યાં સુધી ?
ત્યારે અહીં સવાલ એ થાય કે હજી તો ટેસ્ટિંગ માટે પાણી છોડ્યુ છે તો પણ મસમોટા બે ગાબડા પડી ગયા ત્યારે હવે જો પુરતા પ્રમાણમાં પુરજોશથી પાણી છોડવામાં આવે તો ખબર નહીં સ્થિતિ કેવી હોત ? એક તરફ રાજ્યસરકાર દ્વારા નર્મદાના નીર છેવાડાના ગામ સુધી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવે છે પંરતુ કેનાલના કામોમાં ભ્રષ્ટાચારને કારણે પાણી ખેડૂતો સુધી પહોંચતુ નથી.. કરોડોના ખર્ચે કેનાલોનું બાંધકામ કરવામાં આવે છે પરંતુ અહીં તો કો્ન્ટ્રાક્ટરોને માત્ર મલાઇ ખાવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલા ક્યારે ભરાશે, ક્યાં સુધી આવા કટકીખોર કોન્ટ્રાક્ટરોની મનમાની ચલાવી લેવાશે. નબળી ગુણવત્તાની કામગીરી કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરોને કેમ છાવરવામાં આવે છે. શું ટેન્ડર પાસ થયા પછી કામની ગુણવત્તા ચેક કરવામાં આવતી નથી ? આખરે ક્યાં સુધી કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા રહેશે અને તાત પરેશાન થતો રહેશે ?