જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે.
આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિની બદલી
કેન્દ્રની પ્રતિનિયુક્ત પર આદેશ
તમિલનાડુના એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા
જયંતિ રવિએ કેન્દ્ર સરકારને અરજી કરી હતી
ગુજરાતમાં કોરોના વાયરસ મહામારીમાં ગુજરાતમાં સૌથી વધારે ચર્ચામાં રહેનાર અધિકારીઓમાં જયંતી રવિનું નામ સૌથી ઉપર આવે છે. ગુજરાત રાજ્યના આરોગ્ય અગ્રસચિવ હોવાના નાતે સ્વાસ્થ્યની જવાબદારીઑ તેમના શિરે હતી. જોકે મહામારીમાં રૂપાણી સરકાર તેમનાથી નારાજ થઈ હોવાનું પણ વચ્ચે સામે આવ્યું હતું ત્યારે મૂળ તમિળનાડુના IAS અધિકારીએ પ્રતિનયુક્તિ માંગી હતી.
જયંતી રવિ દ્વારા કરવામાં આવેલ માંગ બાદ કેન્દ્ર દ્વારા પ્રતિનયુક્તિ પર આદેશ આપી દેવામાં આવ્યા છે. 1991ની બેચના IAS જયંતી રવિની હવે ગુજરાતમાંથી તમિલનાડુમાં બદલી કરવામાં આવી છે. જયંતી રવિને હવે એરોવિલ ફાઉન્ડેશનના સેક્રેટરી બનાવાયા છે.
ઉલ્લેખનીય છે કે વિખ્યાત ઓરોવિલા ફાઉન્ડેશન મહર્ષિ અને આઝાદીના લડવૈયા મહર્ષિ અરવિદ દ્વારા સ્થપાયેલા ઐતિહાસિક આશ્રમનું સંચાલન કરે છે.
VTVએ માર્ચ મહિનામાં જ આપી હતી માહિતી
નોંધનીય છે કે વર્ષના માર્ચ મહિનામાં જ VTV પાસે જયંતી રવિની બદલીની માહિતી હતી અને સૌથી પહેલા VTV પર તેમની બદલી એરોવીલ ફાઉન્ડેશનમાં થશે તેવી જાણકારી આપવામાં આવી હતી.
કોણ છે જયંતિ રવિ?
17 ઑગસ્ટ, 1967ના રોજ જન્મેલા જયંતી રવિ 1991ની બેચના આઈએએસ (ઇન્ડિયન ઍડમિનિસ્ટ્રેટિવ સર્વિસ) અધિકારી છે. હાલમાં તેઓ ગુજરાતના આરોગ્ય વિભાગના અગ્રસચિવ તરીકે ફરજ બજાવે છે. 3 સપ્ટેમ્બર, 2019ના રોજ તેમણે આરોગ્ય અને કુટુંબ-કલ્યાણ વિભાગનો હવાલો સંભાળ્યો હતો.
15 સપ્ટેમ્બર, 1991ના રોજ તેમણે IAS તરીકેનો પોતાનો પદભાર સંભાળ્યો હતો.
જયંતિ રવિએ ઈ-ગવર્નન્સમાં પીએચ.ડી. (ડૉક્ટર ઑફ ફિલોસોફી) કર્યું છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં તેઓ એમ.એસ.સી (માસ્ટર ઑફ સાયન્સ) થયાં છે. માસ્ટર ઑફ પબ્લિક ઍડમિનિસ્ટ્રેશન (એમ.પી.એ)નો કોર્સ તેમણે હાવર્ડ યુનિવર્સિટીમાંથી કર્યો છે. લંડન સ્કૂલ ઑફ ઇકનૉમિક્સમાંથી તેમણે લીડરશિપ પ્રોગ્રામ કર્યો છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં માસ્ટર્સ કરનારા જયંતી રવિએ સાયન્ટિસ્ટ તરીકે દિલ્હીમાં બે વર્ષ કામ કર્યું છે.
જયંતી રવિ સાબરકાંઠામાં તાલુકા વિકાસ અધિકારી રહી ચૂક્યાં છે અને પંચમહાલનાં કલેક્ટર પણ રહી ચૂક્યાં છે. તેઓ લેબર કમિશનર તેમજ હાયર ઍજ્યુકેશન કમિશનર પણ રહી ચૂક્યાં છે. આમ રાજ્યમાં તેમણે સરકારના વિવિધ વિભાગોમાં કામ કર્યું છે.
અગાઉ મહામારીમાં જ્યંતિ રવિનું કદ વેતરી કઢાયું
રાજ્યમાં કોરોનાને કાબૂમાં લેવામાં ગત વર્ષના મે મહિનામાં નિષ્ફળ રહેલા આરોગ્ય વિભાગથી રૂપાણી સરકાર નારાજ થઈ છે તેવી વાતો થઈ હતી. તે દરમ્યાન સરકારે આરોગ્ય અગ્રસચિવ જ્યંતિના માથે IAS અધિકારી પંકજ કુમારને બેસાડી દીધાં હતા તેમ કહી શકાય. પંકજ કુમાર જે હાલ રેવન્યુ વિભાગમાં ACS છે તેમને આરોગ્ય વિભાગની કોરોનાને લગતી સમગ્ર કામગીરીનો ભાર સોંપ્યો હતો.
મહામારીમાં તેમનું પરફોર્મન્સ સામાન્યથી પણ ખરાબ રહ્યું છે તેઓ તેમના નીચલા અધિકારીઓ અન્ય ખાતાના અધિકારીઓ સાથે ખૂબ રોફ જમાવીને વર્તન કરે છે અને તેમને બરાબર સહકાર નથી આપતા તેવું પણ ચર્ચાયું હતું. જેથી સરકારે તેમનું કદ વેતરવા માટે ચુપકેથી આ મામલામાં અન્ય અધિકારીઓને સામેલ કરી દીધા હતા તેવું જાણવા મળ્યું હતું.
ઓરોવિલ આશ્રમ શું છે?
ઓરોવિલ આશ્રમ પુડુચેરીમાં આવેલો છે. પુડુચેરીમાં ઓરોવિલા એક વૈશ્વિક શહેર છે જે મહર્ષિ અરવિંદ અને મધરના માનવ એકતાના મૂળ સિદ્ધાંત પર આધારિત છે. પુડુચેરીમાં સન 1926 માં મહર્ષિ અરવિંદના હાથે ઓરોવિલ આશ્રમની સ્થાપના થઈ હતી. આશ્રમમાં માનવ કલ્યાણની અનેક પ્રવૃતિઓ કરાય છે. ઓરોવિલ શબ્દનું મૂળ ફ્રેન્ચ ભાષામાં પડ્યું છે. ઓરા અર્થાત સવારનો પહોર, વિલે અર્થાત શહેર. તેનું નામકરણ પણ મહર્ષિ અરવિંદો (1872-1950 ) ને નામે કરાયુ છે. આ આશ્રમની કેટલીક સંસ્થાઓ તમિલનાડુમાં પણ આવેલી છે.