ગુજરાતમાં હજુય કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ યથાવત રહેશે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આજે પણ રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહેલી છે.
ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની શક્યતા
દ. ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે
દક્ષિણ-પશ્ચિમ ચોમાસું વિદાય લેવાની તૈયારીમાં
આજે રાજ્યમાં દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં વરસાદ પડી શકે છે. જેમાં નવસારી, વલસાડ, ડાંગ, દમણ અને દાદરા-નગર હવેલીમાં આજે મેઘરાજા ખાબકશે. મહત્વનું છે કે, હવે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ધીમે-ધીમે વિદાય લેવાની તૈયારીમાં છે. એવામાં હવામાન વિભાગે ગઇકાલે આગાહી કરતા જણાવ્યું હતું કે, આગામી તા. 23 અને 24 સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાંથી હજુ ચોમાસાએ વિદાય લીધી ન હોય તેમ 23 સપ્ટેમ્બરે અમદાવાદમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે.
નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા નથી
આગામી 26 સપ્ટેમ્બરથી નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ થઈ રહ્યો. ત્યારે કોરોનાને લઇને નવરાત્રીના આયોજનો પર રોક લગાવી દેવામાં આવી હતી. પરંતુ હવે કોરોનાએ કેડો છોડતા નવરાત્રીના આયોજનો અંગે છૂટ મળી છે આવી સ્થિતિમાં ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ નવરાત્રિમાં વરસાદ વેરી બનશે તેવી ગરબા રસિકો અને ગરબા આયોજકોને ચિંતા સતાવી રહી હતી. આ સ્થિતિમાં હવામાન વિભાગ દ્વારા સત્તાવાર રીતે કરવામાં આવેલી આગાહી મુજબ આ વખતે નવરાત્રિ દરમિયાન વરસાદની શક્યતા ખુબ જ નહીવત છે. નવરાત્રીમાં વરસાદ પડે તેવી કોઈ શક્યતા ન હોવાથી ગરબા રસિકોને રાહત થઇ છે.
ગઇકાલે 22 તાલુકાઓમાં પડ્યો હતો વરસાદ
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ગઇકાલે 22 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. જેમાં ગણદેવીમાં સૌથી વધુ સવા પાંચ ઈંચ વરસાદ જ્યારે જલાલપોરમાં 4.5 ઈંચ, પલસાણામાં 3.5 ઈંચ, નવસારીમાં 3.5 ઈંચ જયારે વઘઈમાં 2.5 ઈંચ, સુબિરમાં સવા બે ઈંચ જયારે ઉમરગામ અને વાંસદામાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો છે.