ગુજરાતમાં હવે નજીકના દિવસોમાં ચૂંટણી આવી રહી છે. ત્યારે રાજ્યમાં ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષો તેમજ વિવિધ સમાજના કેટલાક આગેવાનો સંપૂર્ણ એક્ટિવ થઇ ગયા છે.
રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પૂર્વે સૌરાષ્ટ્રમાં પાટીદાર આગેવાનો દ્વારા સામાજિક અને રાજકીય શક્તિ પ્રદર્શન કરવામાં આવશે. રાજકોટના ગોંડલ ખાતે આજે 'યુદ્ધ એજ કલ્યાણ' ગ્રુપ દ્વારા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલના અધ્યક્ષસ્થાને આ સમારોહ યોજાશે. ત્યારે કહી શકાય કે કોંગ્રેસ બાદ હવે ભાજપના પાટીદાર નેતાઓની આજે બેઠક યોજાશે. જેમાં કોંગ્રેસના ધારાસભ્ય વીરજી ઠુમ્મર પણ હાજર રહેશે. તદુપરાંત ભાજપના ધારાસભ્ય ગોવિંદ પટેલ પણ આ સંમેલનમાં જોડાશે. એ સિવાય PAAS નેતા અલ્પેશ કથીરિયા સહિત ક્ષત્રિય સમાજના અગ્રણીઓની પણ હાજરી જોવા મળશે.
ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો પણ મેદાને
ઉલ્લેખનીય છે કે, વિધાનસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતમાં તમામ રાજકીય પક્ષો સક્રિય થઇ ગયા છે. પક્ષો પોતપોતાની રીતે રણનીતિ ઘડી રહ્યાં છે. એવામાં કોંગ્રેસની ચૂંટણી રણનીતિ હવે વધારે તેજ બની છે. ત્યારે ગઇકાલે ખોડલધામ ખાતે પાટીદારો સાથે કોંગ્રેસની પણ બેઠક યોજાઇ હતી.
ગઇકાલે ખોડલધામ ખાતે યોજાઇ હતી પાટીદારો સાથે કોંગ્રેસની બેઠક
ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે ગઇકાલે ખોડલધામ ખાતે નરેશ પટેલ સહિત પાટીદાર આગેવાનો સાથે કોંગ્રેસના પાટીદાર સમાજના આગેવાનોની બેઠક યોજાઈ હતી. જેમાં કોંગ્રેસ નેતા મનહર પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો હાજર રહ્યાં હતા.
ચૂંટણી નજીક આવતા કોંગ્રેસના પાટીદાર આગેવાનો મેદાનમાં
બેઠક પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતા મનહર પટેલે જણાવ્યું હતું કે, 'આજે ખોડલધામ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાનોએ ખોડલધામ સંસ્થાના સ્થાપક અને પટેલ સમાજના મોભી નરેશભાઈ પટેલ સાથે શુભેચ્છા મુલાકાત લીધી. ગુજરાતમાં આવનારા દિવસોમાં એક પરિવર્તનનો માહોલ બને અને સરકારની અંદર અમારો હિસ્સો બને અને ગુજરાતની સેવા કરવાની મોકો મળે. તે ભાવના સાથે અમે નરેશભાઈની મુલાકાત લીધી.'