કોરોના સંકટમાં દેશને ભારે આર્થિક નુકસાન થયું છે. લોકડાઉનના કારણે દેશના દરેક વર્ગને જોરદાર ઝટકો લાગ્યો છે ત્યારે દેશના મંદિરોને પણ લોકડાઉનની મોટી અસર થઇ રહી છે. શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ બંધ થઇ જતાં દાન પણ બંધ થઇ ગયું છે એવામાં દેશના સૌથી ધનાઢ્ય મંદિરે સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.
ટ્રસ્ટે કહ્યું નિર્ણય પાછલા બોર્ડમાં જ નક્કી કરવામાં આવેલ હતો
લોકડાઉનના કારણે આશરે 400 કરોડની આવકનું નુકસાન
હરાજી માટે બે સમિતિઓનું ગઠન
કોરોના વાયરસના કારણે દેશભરમાં ખૂબ માઠી અસર પડી રહી છે ત્યારે દેશનું સૌથી ધનાઢ્ય મંદિર પણ તેનાથી બાકાત નથી. એવામાં સંકટની પરિસ્થિતિમાં મંદિર ટ્રસ્ટ દ્વારા ભક્તોએ દાનમાં આપેલ 23 સંપત્તિઓની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે. આ બધી જ સંપત્તિઓ તમિલનાડુમાં છે. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડ દ્વારા આ સંપત્તિઓની હરાજીઓ માટે બે સમિતિનું ગઠન કર્યું છે. આ સંપત્તિઓ તમિલનાડુના વિવિધ જિલ્લાઓમાં ફેલાયેલી છે જેમાં ખેતીલાયક જમીનથી મકાનો પણ સામેલ છે.
મંદિરમાં નિયમિત ખર્ચ માટે 125 કરોડ રૂપિયાની જરૂર
આ સંપત્તિઓની હરાજીની કિંમત દોઢ કરોડ રૂપિયા રાખવામાં આવી છે. નોંધનીય છે કે મંદિરમાં નિયમિત ખર્ચ, સુરક્ષા અને કર્મચારીઓના વેતન માટે આશરે 125 કરોડ રૂપિયાની જરૂર પડે છે. પરંતુ લોકડાઉનનાં કારણે મંદિરના કપાટ શ્રદ્ધાળુઓ માટે બંધ થઇ જતા આશરે 400 કરોડની આવકનું નુકસાન થયું છે. આ મંદિરની આવકનો મુખ્ય સ્ત્રોત ભક્તોનું દાન જ છે.
મંદિર એફડી અને સોનાનો ઉપયોગ નહીં કરે
જોકે બાદમાં મંદિરના ટ્રસ્ટના ચેરમેન રેડ્ડીએ કહ્યું કે મે મહિના સુધી વેતનને લઈને કોઈ જ તકલીફ થઇ ન હતી અને જૂન મહિના સુધી લોકડાઉન લંબાય તો અમે તેની વ્યવસ્થા પણ કરી લઈશું. તેમણે એમ પણ કહ્યું કે આ નિર્ણય પાછલા બોર્ડ દ્વારા જ લેવામાં આવ્યો હતો જેને વર્તમાન બોર્ડ દ્વારા ફેબ્રુઆરી મહિનામાં તેને મંજુરી આપવામાં આવી અને હાલમાં જ પ્રકાશમાં આવી છે. મંદિર પાસે અબજોનું સોનું અને ફિક્સ્ડ ડીપોઝીટ છે પરંતુ ટ્રસ્ટનું માનવું છે કે તેનાં સાથે ભક્તોની આસ્થા જોડાયેલ હોવાથી તેને અમે હાથ પણ ન લગાવી શકીએ. મંદિર પાસે લગભગ 14000 હજાર કરોડની તો એફડી જ છે.