ગુજરાતમાં એક તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો પ્રચાર અને મતદાન ચાલી રહ્યું છે. તો બીજી તરફ લોકો ભૂલી ગયા છે કે, કોરોના આપણી વચ્ચે જ છે. લોકોની બેદરકારીના કારણે તંત્રએ ફરી કન્ટેઈનમેન્ટ જોનની યાદી જાહેર કરી છે. અમદાવાદના ખોખરા અને શીલજના ત્રણ વિસ્તારો સહિત 27 મકાનો માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનની યાદી જાહેર કરાઈ છે. જો કે, આજના આંકડા પ્રમાણે અમદાવાદમાં નવા કેસની સંખ્યા 70 જ્યારે, ગ્રામ્ય લેવલે 2 કેસ નોંધાયા છે.
ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં ગઇકાલે એક દિવસમાં કોરોનાના 283 નવા કેસ નોંધાયા હતા. જોકે દેશના 6 રાજ્યમાં ફરી એકવાર કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. જેમાં સૌથી વધુ ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સૌથી વધુ છેલ્લા એક દિવસમાં 6281 કેસ નોંધાયા છે. જે દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર ગુજરાત માટે ચિંતાની બાબત છે. તેવામાં હવે ડૉક્ટરો પણ ચેતવી રહ્યા છે.
પાડોશી રાજ્યોમાંથી ગુજરાત આવતા તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ થશે
ગુજરાતના પડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે. જેને ધ્યાને લઇને રાજ્ય સરકારે સડક પરિવહન માર્ગે બોર્ડર ચેકપોસ્ટ ઊભી કરી આ રાજ્યોમાંથી આવતાં તમામ મુસાફરોનું સ્ક્રીનીંગ હાથ ધરવાનું નક્કી કર્યું છે. વધુમાં અમદાવાદ, વડોદરા, સુરત, ભાવનગર અને રાજકોટ જેવા મહાનગરપાલિકા વિસ્તારમાં રેલ્વે સ્ટેશનો પર સ્ક્રીનીંગ હાથ ધરવામાં આવશે. તો સાથે રાજ્યના તમામ એરપોર્ટ ઉપર દેશ-વિદેશથી આવતા તમામ યાત્રિકોનું સ્ક્રીનીંગ હાથ ધરાશે.
8 લાખથી વધુ વ્યક્તિઓને અપાયો વેક્સિનનો પ્રથમ ડોઝ
રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,13,582 વ્યક્તિઓનું પ્રથમ ડોઝનું અને 67,300 વ્યક્તિઓના બીજા ડોઝનું રસીકરણ પુર્ણ થઇ ચૂક્યું છે. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળી નથી.
અમદાવાદ હોસ્પિટલ અને નર્સિંગ એસો.એ મુખ્યમંત્રીને પત્ર લખી વ્યક્ત કરી ચિંતા
મુખ્યમંત્રી વિજય રુપાણીને એસો.ને પત્ર લખીને રાજ્યમાં માસ્કના નિયમનો કડક અમલ કરવા માંગ કરી છે. રાજ્યમાં સોશિયલ ડિસ્ટન્સનું પણ કડકપણે અમલ કરવા જણાવ્યું છે. એસો.એ પત્રમાં લખ્યું કે, છેલ્લા કેટલાક દિવસથી લોકો બેફિકર બની ગયા છે. રાજ્યમાં કોરોનાને કેસ વધી શકે છે. બીજા રાજ્યમાં કેસ વધી રહ્યા છે.